Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળાનું ઉદઘાટન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૩: જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોના મહામારી બાદ વર્ષ ૨૦૨૨માં આ વર્ષે શ્રાવણી લોકમેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે શુક્રવારે ધારાસભ્ય જામ્યુકોના પદાધિકારીઓ અધિકારીઓ કોર્પોરેશનના સભ્યોની ઉપસ્થિતિમાં આ લોકમેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

શ્રાવણી લોકમેળાના ઉદઘાટન પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આપણે કોરોનાનો સામનો કરી રહ્યા છે હવે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે પરંતુ લમ્પી વાઇરસને કારણે પશુઓના મૃત્યુમાં ઘટાડો થાય તે આવશ્યક છે.

 મેયર શ્રીમતી બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી કોરોનાનો સામનો કર્યા બાદ આ વર્ષે પ્રથમ વખત પરંપરાગત શ્રાવણ માસમાં તા.૧૨/૮/૨૦૦૦ થી ૨૭/૮/૨૦૨૨ સુધી લોકમેળાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે જામનગર વાસીઓ રંગેચંગે લોકમેળા નો આનંદ માણી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે, શ્રાવણી લોકમેળામાં સ્વચ્છતાનું ધ્યાન રાખશે તેની પણ મેયર એ ટકોર કરી હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારિયાએ જણાવ્યું હતું કે પ્રતિવર્ષ જામનગર મહાનગરપાલિકા દ્વારા આઠ કે દસ દિવસના મેળાનું આયોજન હાથ ધરવામાં આવે છે પરંતુ આ વર્ષે ૧૫ દિવસથી વધુ સમયનું શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત લોક મેળામાં યુવાનો બાળકો તેમજ વડીલો માટે વિવિધ રાઇડસો  ની ગોઠવણ કરવામાં આવેલી છે પ્રતિ વર્ષ કરતા આ વર્ષે શહેરીજનોએ રંગેચંગે આ મેળાના ઉત્સવને ઊજવી શકે તે માટે ૧૫થી વધુ દિવસો માટેનું આયોજન હાથ ધર્યું છે અવનવી વિવિધ રાઈડ્સની લોકો મોજ માણી શકે તેની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે ઉપરાંત ટિકિટના નક્કી કરેલા દર મુજબ જ ભાવ લેવાનું જણાવવામાં આવ્યું છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ માસ નિમિત્તે આયોજીત લોક મેળામાં નું આયોજન માનનીય કમિશનર વિજયકુમાર ખરાડીના માર્ગદર્શન   હેઠળ સોલિડ વેસ્ટના ઇજનેર મુકેશ વરણવા, એસ્ટેટ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર નિતીન દીક્ષિત વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તેમજ કોઈપણ જાતની અગવડતા ઉભી ન થાય તે માટે વિવિધ પ્રકારના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફાયર સ્ટાફ, મેડિકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ, પ્રાથમિક સારવાર કેન્દ્ર સતત કામગીરી કરશે.

આ લોકમેળામાં યુસીડી વિભાગ દ્વારા દિન દયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત ૧૧ સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં હાથ બનાવટની વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં  ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર ચેરમેન મનીષભાઈ કટારીયા શાસક પક્ષના નેતા શ્રીમતી કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી  સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન શ્રીમતી હર્ષાબા  પી. જાડેજા ,વિરોધ પક્ષના નેતા આનંદભાઈ રાઠોડ, મા. કમિશનરવિજય કુમાર ખરાડી સાહેબ, કોર્પોરેટરશ્રીઓ , કોર્પોરેશનના વિવિધ વિભાગીય અધિકારીઓ યુસિડી વિભાગના મેનેજરો  ઉપસ્થિત રહ્યા હતા.(તસવીરોઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(1:23 pm IST)