Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

કચ્છમાં વધુ એક મોત સાથે કોરોનાના ખપ્પરમાં ૪૦ હોમાયા : કોંગ્રેસી અગ્રણી નવલસિંહ જાડેજા સહિત ૨૭ પોઝિટિવ સાથે કુલ કેસ 813

અંજાર ૧૦, ભુજ ૬, ગાંધીધામમાં ૩ કેસ સાથે સતત કોરોનાના કેસમાં વધારો

ભુજ : હવે સમગ્ર કચ્છ કોરોનાના ભરડામાં આવી ગયું છે. સતત વધતી મોતની સંખ્યા અને પોઝિટિવ કેસ સાથે કચ્છમાં કોરોનાએ ફફડાટ ફેલાવ્યો છે. વધુ એક જિંદગીનો કોરોનાએ ભોગ લેતાં હવે કોરોનાનો મૃત્યુ આંક વધીને ૪૦ થઈ ગયો છે. ભુજની કોવિડ હોસ્પિટલમાં વાલજીભાઈ મારવાડા (ઉ.૭૧, ભુજ)નું મોત નીપજ્યું હતું. કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા હવે ૮૦૦ ને વળોટી ગઈ છે. આજે ૨૭ કેસ સાથે કુલ કેસ ૮૧૩ થઈ ગયા છે. કચ્છના રાજકીય અગ્રણી નવલસિંહ જાડેજાને કોરોના પોઝિટિવ ડિટેકટ થયો છે.  કોંગ્રેસી નેતા અને કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નવલસિંહ જાડેજા  રાપરના કોંગ્રેસી અગ્રણી કોરોના પોઝિટિવ દર્દી ભચુભાઈ આરેઠીયા ને મળ્યા હતા. નવલસિંહ જાડેજા સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા પછી તેમણે ખાનગી લેબમાં રીપોર્ટ કરાવ્યો હતો. અત્યારે તેઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. કચ્છમાં હોટસ્પોટ એવા અંજારમાં ૧૦, ભુજમાં ૬ અને ગાંધીધામમાં ૩ ઉપરાંત મુન્દ્રામાં ૩, અબડાસા ૨, રાપર ૨, ભચાઉ ૧ કેસ નોંધાયા છે.
કચ્છના અત્યાર સુધીના કોરોનાના આંકડા આ પ્રમાણે છે. એક્ટિવ કેસ ૨૩૯, સાજા થયેલા દર્દીઓ ૫૩૪, મૃત્યુ પામનાર ૪૦ જ્યારે નવા ૨૭ કેસ સાથે કુલ ૮૧૩ કેસ નોંધાયા છે.

(11:04 pm IST)