Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જામનગરમાં બેઠક યોજી કોવિડ-૧૯ની પરિસ્થિતિની સમીક્ષા કરી : જી.જી.કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

જામનગર:જામનગરમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ત્યારે આજરોજ ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ જામનગરની મુલાકાત લીધી હતી. જ્યાં જામનગર જિલ્લાના આરોગ્યતંત્ર અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અગ્ર સચિવશ્રીએ કોવિડ-૧૯ની પરિસ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવી આવશ્યક સૂચનો કર્યા હતા.
             જેમાં અગ્ર સચિવએ ગંભીર દર્દીઓ અને ઓક્સિજન પર રહેલા દર્દીઓ વિશે વધુ માહિતી મેળવી  જિલ્લા અને શહેરમાં વધુ પોઝિટિવ કેસ ધરાવતા વિસ્તારના ઝોન માર્કિંગ કરવા અને તે વિસ્તારોના સઘન સર્વેલન્સ કરવા સૂચિત કર્યુ હતું. આ સાથે જ જામનગરમાં હાલમાં ગંભીર કેસોમાં મૃત્યુ આંક વઘ્યો છે તેને ધ્યાને લઇને ટ્રીટમેન્ટ અને પ્રોટોકોલ વિશે વધુ ચર્ચા કરવામાં આવી હતી.
             આ તકે અગ્ર સચિવએ જણાવ્યું હતું કે,જામનગરમાં હાલમાં ૩૫૮ જેટલા કેસ નોંધાયેલા છે ત્યારે સંક્રમણને વધુ અટકાવવા અને સાથે જ જો આ સંક્રમણ વધે તો આગોતરી તૈયારીઓના ભાગરૂપે જામનગરમાં  લોકોને હોમ આઈસોલેશનની વ્યવસ્થા અપનાવવા અને રિવર્સ આઇસોલેશન એટલે કે વૃદ્ધો-બાળકો કે અન્ય ગંભીર રોગ ધરાવતા જેવા કે ડાયાબિટિસ, બી.પી વગેરેના દર્દીઓ જે આ રોગમાં વધુ ભોગ બને છે તેવા લોકોને અલગ ઘરમાં રહેવા જવું, જ્યાં પોતે કવોરેન્ટાઇન રહેવું તેમ અપીલ કરી હતી.

              વળી જામનગરમાં સંક્રમણને અટકાવી શકાય એ હેતુથી  આયુષ વિભાગ દ્વારા સૂચિત કરેલ દવાઓ/ઉકાળા વગેરે ખૂબ અસરકારક નીવડે છે તો આગામી દિવસોમાં જામનગરમાં રહેલ આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ઉકાળા વિતરણ જેવી પ્રવૃત્તિઓ પણ વધુ થશે તેમજ દરેક વિસ્તારોમાં સર્વે કરતી ટીમને ઓકસીમીટર આપવામાં આવશે જેના થકી વિસ્તારમાં સ્ક્રીનિંગ દરમ્યાન લોકોનું ઓક્સિજન લેવલ માપીને જેનું ઓક્સીજન લેવલ ૯૪થી નીચે હશે તે જાણી એસિમ્પ્ટોમેટિક સંક્રમિત દર્દીને પણ જાણી શકાશે અને ૯૦થી ઓક્સિજન સેચ્યુરેશન ઘટતાં તે વ્યક્તિને સારવાર આપવાની તાત્કાલિક જરૂર પડતી હોય છે ત્યારે દર્દીઓમાં ઉત્પન્ન થતી ગંભીર સ્થિતિને તાત્કાલિક સારવાર દ્વારા અટકાવી શકાશે

               આ ઉપરાંત ધનવંતરી રથ દ્વારા દરેક વિસ્તારોમાં આરોગ્ય સર્વેલન્સ અને આરોગ્યની અન્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જે લોકો ચાલી નથી શકતા તેઓ ૧૦૪  હેલ્પ લાઇન પર ફોન કરે તરત જ તેમના ઘર સુધી તેમની સારવાર માટે ટીમને મોકલી આપવામાં આવે છે તેમ અગ્રસચિવએ ઉમેર્યુ હતું.  

                આ સાથે જ વર્ષાઋતુમાં ગત વર્ષ જામનગરમાં ડેન્ગ્યુના કેસ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા તે આ વર્ષ અટકાવી શકાય તે માટે અગ્રસચિવશ્રીએ લોકોને અનુરોધ કર્યો છે કે, સામાન્ય રીતે ઉનાળામાં લોકો પક્ષીઓ માટે પાણી રાખવા પક્ષી કુંજ રાખતા હોય છે પરંતુ તેની અંદરનું પાણી વાસી થતાં તેમાં મચ્છરના પોરા બને છે અને તેનાથી ડેન્ગ્યુના મચ્છર ઉત્પન્ન થાય છે. આ માટે હાલમાં લોકો આ પક્ષી કુંજને સાફ કરી રાખી દે અથવા તો તેમાં રોજ સ્વચ્છ પાણી ભરે અને આવી જ અન્ય તકેદારીઓ થકી ડેન્ગ્યુને અટકાવવામાં પોતાનો અનન્ય સહયોગ આપે.
                 આ સમયે વહીવટી તંત્રની કામગીરીને સરાહનીય ગણાવીને સાથે જ લોકોને અનુરોધ કર્યો હતો કે સંક્રમિત વિસ્તારમાંથી આવતા લોકો સ્વેચ્છાએ તંત્રને જાણ કરે. સાથે જ લોકો માસ્કનો ઉપયોગ કરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને વારંવાર હાથ ધુએ તેનાથી આપણે સુરક્ષિત રહેશું અને વધુમાં વધુ લોકો આરોગ્ય સેતુનો ઉપયોગ કરી સુરક્ષિત રહેવા માટે આ સતર્કતાનું પગલું ભરે. બેઠકમાં રિસર્ચના અનુસંધાને પણ ચર્ચા કરવામાં આવી જેમાં તંત્ર દ્વારા  કોવિડની આપવામાં આવતી  એલોપથી સારવાર સાથે આયુષ ચિકિત્સા કે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિને પણ સામેલ કરીને નીરોગી બનવા વિશેની સારવાર પદ્ધતિ પર સંશોધન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સાથે જ હોમ આઇસોલેશનના પેકેજીસ વિષે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં જામનગરના ખાનગી ડોક્ટરોને પણ સામેલ કરવામાં આવશે, તેમના પેકેજીસ થકી જે તે ડોક્ટર પોતાના પેશન્ટને સારવારની સુવિધાઓ આપી શકશે.  આ ઉપરાંત કોવિડ કેર સેન્ટર,પી.એચ.સી. સી. એચ. સી માં પણ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની  સુવિધાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો. આ રોગમાં  દર્દીને ઓક્સિજનની  આવશ્યકતા ગમે ત્યારે થઈ શકે છે તેને ધ્યાને રાખીને  દરેક સેન્ટરમાં  આ સુવિધા સાથે  લોકોની સારવારને  વધુ  બહેતર બનાવી શકાશે. આમ, દરેક બાબતોને ધ્યાને રાખીને જામનગરમાં સંક્રમણ વધે નહીં  અને  સારવારને પણ વધુ સારી રીતે આગળ વધારી શકાય તે અંગે સમગ્રતયા સમીક્ષા કરવામાં આવી હતી.
                     આ બેઠકમાં પ્રભારી સચિવ શ્રી એસ.એમ.પટેલ, કલેકટરશ્રી રવિશંકર, કમિશનરશ્રી સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ, પોલીસ અધિક્ષકશ્રી શરદ સિંઘલ, રિજીયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ડો. રૂપાલી મહેતા, શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રી નંદિની દેસાઈ, જી.જી.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ શ્રી દિપક તિવારી, કોરોના નોડલ ડો. શ્રી એસ.એસ. ચેટર્જી વગેરે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(7:54 pm IST)