Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

જીઆઇડીસીના લીધે ટંકારા તાલુકામાં ઉદ્યોગો વિકસશે- સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થશે :

વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ટંકારા તાલુકાના છત્તર મિતાણામાં બનેલ જીઆઇડીસીના ૧૨૭ પ્લોટની ફાળવણી લાભાર્થીઓને ડ્રો દ્વારા કરાઇ

મોરબી : મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના છત્તર મિતાણા ગામે બનેલ જી.આઇ.ડી.સી.(ગુજરાત ઇન્ડ્રસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન)ના ૧૨૭ પ્લોટની લાભાર્થીઓને ફાળવણી ડ્રો દ્વારા મોરબી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કરી હતી.

મોરબી જિલ્લાની નવી જીઆઇડીસીના ઉધોગકારોને દેશના વિકાસમાં મહત્તમ ફાળો આપવાની શુભેચ્છા પાઠવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતુ કે મોરબી જિલ્લાના ટંકારામાં છત્તરમાં જીઆઇડીસી પ્લોટની ફાળવણી સંપૂણ પારદર્શક રીતે, કોઇની પણ ભલામણ વગર, સૌ ઉધોગકારોની વચ્ચે પારદર્શક રીતે ડ્રોના માધ્યમથી કરવામાં આવી છે. જીઆઇડીસીએ ગુજરાતનું ગૌરવ છે. ગુજરાતના વિકાસમાં જીઆઇડીસીનું મહતમ યોગદાન રહેલું છે. ઉધોગો થકી અનેક લોકોને રોજગારી મળે છે. તેથી જીઆઇડીસીના વિકાસ માટે આત્મનિર્ભર ગુજરાત પેકેજમાં રૂ. ૪૫૮ કરોડ ફાળવવામાં આવ્યા છે. કોરોના સંકટને કાબુમાં રાખવા રાજય સરકારે અનેક પગલા લીધા છે. જેનાથી કોરોનાના કેસો ઘટી રહ્યા છે. ઉધોગોના વિકાસ માટે ભારત સરકાર અને રાજય સરકારે અનેક પગલા લીધા છે. અનેક યોજનાઓ બનાવી છે. જેનો વધુમાં વધુ લોકોએ લાભ લેવો જોઇએ.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની પ્રગતિ વિશેનો ઉલ્લેખ કરી સહર્ષ  જણાવ્યું હતું કે ગુજરાતે અનેક ક્ષેત્રોમાં નવા નવા આયામો સ્થાપિત કર્યા છે. ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાં પણ ગુજરાત મોખરે છે. ત્યારે દેશના નકશામાં ગુજરાતે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશન તરીકે સ્થાન મેળવ્યુ છે.

જી.આઇ.ડી.સી. દ્વારા  ઉધોગો ફુલે ફાલેએ અને ગુજરાતની વસ્તુઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કિંમત અને ગુણવત્તામાં સર્વશ્રેષ્ઠ બને તે માટેની શુભેચ્છા મુખ્યમંત્રીશ્રીએ ઉધોગકારોને પાઠવી હતી.

        ટંકારા તાલુકાના છત્તર મિતાણા ગામે બે વર્ષ પહેલા નવનિર્માણ પામેલ જીઆઇડીસી ૨૪.૬૮ હેકટર વિસ્તારમાં ફેલાયેલી છે. જેમાં ૧૫૭ પ્લોટ પૈકી એમ.એસ.એમ.ઇ.ના ૧૨૭ પ્લોટની ફાળવણી મુખ્યમંત્રીના હસ્તે ડ્રો દ્વારા કરાઇ હતી. આ પ્લોટ માટે ૧૧૪૩ અરજીઓ આવેલ હતી. આ જીઆઇડીસીના કારણે ટંકારા તાલુકામાં ઉદ્યોગો વિકસશે. જેથી સ્થાનિક લોકોને રોજગારી પ્રાપ્ત થશે. મોરબી જિલ્લાનો વધુ આર્થિક વિકાસ થશે. આ જીઆઇડીસી માટે રાજય સરકાર - એમ.એસ.એમ.ઇ(સૂક્ષ્મ, મધ્યમ, લઘુ ઉધોગો) દ્વારા અનુદાન આપવામાં આવ્યું છે. 

કોરોના મહામારીમાં અર્થતંત્રને મજબુત કરવા રાજય સરકારે રૂા.૧૪ હજાર કરોડનું ‘આત્મ નિર્ભર ગુજરાત’ પેકેજ જાહેર કર્યુ છે. આ પેકેજનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરાયુ હતું

આ પ્રસંગે મોરબીથી ઉધોગકારશ્રી  પ્રકાશ વરમોરાએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતુ કે, અમારા વેપારી એસોસીએશનની તમામ માંગણીઓ મુખ્યમંત્રીશ્રીએ સ્વીકારી છે. જે મુખ્યમંત્રીશ્રીની પારદર્શકતા, સંવેદનશીલતા અને નિર્ણયકતા દર્શાવે છે. અમે સૌ ઉધોગોના માધ્યમથી દેશના જીડીપીને વધારવામાં યોગદાન આપી શકીશું. કોરોનાના સંકટના સમયમાં આત્મનિર્ભર ગુજરાત પેકેજ પણ ઉધોગોને ઇધણ પૂરુ પાડશે. આ માટે અમે રાજય સરકારના આભારી છીએ.

        આ પ્રસંગે જીઆડીસીના ચેરમેનશ્રી બલવંતસિંહ રાજપૂતે સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રી સાથે અગ્ર સચિવશ્રી  મનોજદાસ, મેનેજીંગ ડાયરેકટરશ્રી  થેરાશન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

      આ તકે મોરબીમાં જિલ્લા કલેકટરશ્રી જે.બી.પટેલ,  જીઆઇડીસીના રિજિયોનલ મેનેજરશ્રી દર્શન ઠાકર, ઉદ્યોગકારો, લાભાર્થીઓ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

(1:03 pm IST)