Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ખંભાળીયા પંથકમાં વાવણીના શ્રીગણેશઃ વિજળી પડતા ૪ પશુના મોત

શહેરમાં વરસાદી ઝાપટા,ગ્રામ્ય વિસ્તારોમાં ૧ થી દોઢ ઇંચ વરસાદ

ખંભાળીયા તા. ૧૩ :.. કાલે બપોરે તથા સાંજે વરસાદના હળવા ઝાપટા પડયા હતા જયારે ખંભાળીયા - પોરબંદર રોડ પર વિઝલપરા, કેશોદ, રામનગર વિસ્તારમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડતા ખેતરો પાણીથી તરબોળ થઇ ગયા હતા તથા ઠેરઠેર પાણી ચાલતા થઇ ગયા હતા તથા પાણીના ખાડા ઠેરઠેર ભરાઇ ગયા હતા.

માધુપુર ગામે વરસાદની સાથે વિજળી પડતા ચાર પશુ - ત્રણ બળદ અને એક ભેંસના મોત નિપજયા હતાં. જો કે વિજળી પડતા વખતે આસપાસ કોઇ લોકો ન હોય જાનહાની માનવની અટકી હતી પણ ચાર પશુના મોત નિપજયા હતાં.

ભાણવડ રોડ પરના ગામોમાં પણ એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડતા સર્વત્ર ઠંડક સાથે પાણી - પાણી થઇ ગયું હતું.

તાલુકાના માધુપુર પીપળીયા તથા કલ્યાણપુર તાલુકાના કલ્યાણપુર, ધતુરીયા કેનેડી, તથા અનેક ગામોમાં ૧ાા થી ર ઇંચ જેટલો વરસાદ પડતા તથા હજી વરસાદની આગાહી હોય વહેલો તે પહેલો ના ન્યાયે વાવણા શરૂ કરી દીધા છે.

ખંભાળીયા - કલ્યાણપુર પંથકના ગામોમાં ઘણા સ્થળે ખેડૂતોએ આજે વાવાણી શરૂ કરી છે. ત્યારે ભીમ અગીયારસ આજે છે. વર્ષો પહેલા ભીમ અગિયારસ પહેલા જ વરસાદ પડતો  તેથી વાવણી માટે આ શ્રેષ્ઠ મુહૂર્ત ગણાતું અને આજે વર્ષો પછી આજ મુહૂર્તમાં કેટલાક ખેડૂતો વાવણી કરી રહ્યા છે.

દેવભૂમિ જિલ્લામાં સતત ત્રણ દિવસથી જિલ્લા કલેકટર શ્રી ડો.નરેન્દ્રકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ તેમ દ્વારા સમગ્ર જિલ્લામાં વ્યવસ્થા ગોઠવાઇ હતી. જિલ્લામાં તમામ તાલુકામાં મામલતદાર કચેરીએ તથા જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ તથા દરેક ગામોના તલાટી તથા મંત્રીઓ અને સરપંચોના દ્વારા વ્યવસ્થા ગોઠવીને ૫૦ હજાર ઉપરાંતના લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યુ હતુ તથા દરેક સ્થળે રહેવાની વ્યવસ્થાની સાથે ફુડ પેકેટ તથા પાણી અને આરોગ્ય  સેવાઓ પણ પુરી પાડવામાં આવી હતી.

હાલ ઉપરથી જણાવાયા મુજબ હવે વાવાઝોડું કાંઠાને વધુ અસર નહી કરે આ પવનની ગતિ ૫૦ થી ૬૦ કિલી.ની રહેશે. તથા વરસાદની આવવાની વધુ સંભવના હોય આ દિશામાં તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ છે.

જોકે હજુ આજે પણ આશ્રયસ્થાના ચાલુ રહેશે તથા તેમાં માણસોને રહેવાની સુચના અપાઇ છે તથા તેમના માટે નાસ્તા પાણીની વ્યવસ્થા પણ કરાઇ છે.

કાલે રાત્રે રાજય સરકાર તરફથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ નિમાયેલા રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારનું આગમન થયું હતું તથા તેમણે સમગ્ર જિલ્લાની સ્થિતિ જાણી હતી તથા સંબંધિત અધિકારીઓ સાથે થયા વિચારણા કરી હતી તથા માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. તથા સાંસદ પુનમબેન માડમ પણ ખંભાળિયા આવ્યા હતા.

કુદરતી આફતો વખતે દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત આટલી સુંદર કામગીરી જોવા મળી હતી. દરેક અધિકારીઓ દ્વારા જિલ્લા અધિકારીથી માંડીને તળાટી મંત્રી સુધી એટલી સુંદર કામગીરી થઇ હતી કે તંત્ર દ્વારા થયેલ કામગીરી લોકોને ઉડીને આંખે વણગે તેવી હતી.

જિલ્લામા વિકાસ અધિકારીએ વખતોવખત પોતાની વોઇસ કલીપ નાખીને અધિકારી કામગીરીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું જે ખુબજ વાયરલ થઇ હતી.

(12:58 pm IST)