Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

વિસાવદરના રૂપાવટીમાં નિંદ્રાધીન ખેડૂત પર ખૂની હુમલો : હત્યાની કોશિષ

મોટર સાયકલ પર આવેલા ત્રણ શખ્સો તૂટી પડયા

જુનાગઢ, તા. ૧૩ : વિસાવદરના રૂપાવટીમા નિંદ્રાધીન ખેડૂત ઉપર ખૂની હુમલો કરી અને ગંભીર ઇજા પહોંચાડીને ત્રણ શખ્સો નાસી જતા વાડીએ રખોપુ કરતા ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ બનાવ અંગે પોલીસમાં થયેલી ફરીયાદની વિગતો એવી છે કે રૂપાવટી તાલુકાના છાલડા ગામે રહેતા પરેશ મનજીભાઇ ખોડદીયા (ઉ.વ.૩૭) નામનો કિશાન યુવાન તેની રૂપાવટી ગામની સીમમાં આવેલ વાડીએ રખોપુ કરવા રાત્રીના સમયે સુતો હતો.

ત્યારે મોડી રાત્રે એક મોટર સાયકલ પર ત્રણ અજાણ્યા શખ્સો આવી ચડયા હતાં અને કોઇપણ જાતના વાંક વગર ત્રણેય જણા લોખંડના પાઇપ તેમજ લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો.

આ હુમલામાં પરેશભાઇને ગંભીર ઇજા પહોંચાડી તરણેય ઇસમો એજ બાઇક ઉપર નાસી ગયા હતાં.

ઇજાગ્રસ્ત ખેડૂતને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. પોલીસે હુમલાખોરો સામે કલમ ૩૦૭ વિગેરે મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.(૮.૭)

 

(11:07 am IST)