Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

દ્વારકાના જગતમંદિરમાં કાલે અક્ષય તૃતીયા ઉત્સવઃ વેબસાઈટ પર દર્શનઃ કોરોનાને લઈને પ્રતિબંધો હોવાથી પૂજારીઓ જ પરંપરા નિભાવશે

દ્વારકાધીશ મંદિરમાં અક્ષય તૃતીયાનો ઉત્સવ ઉજવવાની પરંપરા પૂજારી પરિવાર નિભાવશે જેના દર્શન વેબસાઈટ પર થશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૧૩ : જગ વિખ્યાત જગત મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશજીના મંદિરમાં અક્ષય તૃતીયા ના દર્શન સાથેનો ઉત્સવ લોકડાઉન જેવી સ્થિતિને લઈને મંદિર પરિસરમાં માત્ર પૂજારી પરિવારજનોની સેવા-પૂજા અને ઉત્સવ આરતી સાથે યોજાશે જો કે, હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાના ઉત્સવ દર્શનનું વિશેષ મહત્ત્વ હોય જેથી દ્વારકાધીશ મંદિરની વેબ સાઈટ ઉપરથી ઉત્સવના દર્શનનો લાભ ભાવિકો લઈ શકશે.

કાલે તા. ૧૪ મેના શુક્રવારે દ્વારકાધીશજીના દર્શનના નિત્યક્રમ મુજબ સવારની મંગળા આરતી દર્શન થશે તે પછી સવારે ૧૦-૩૦ વાગ્યા થી ૧૨-૩૦ સુધી દર્શન બંધ રહેશે. ત્યારબાદ અક્ષર તૃતીયાની ઉત્સવ આરતીના દર્શન બપોરે ૧૨ વાગ્યાથી ૧-૩૦ વાગ્યા સુધી થશે.

સાંજના દર્શન ઉત્થાપન સાથે નિત્યક્રમ મુજબ થશે. હાલમાં કોવિડ-૧૯ ના નિયમોનું ચૂસ્ત પાલન દેવસ્થાન સમિતિ અને પૂજારી ગણ દ્વારા જાળવવામાં આવી રહ્યું છે. છતાં મનોરથ અને ધ્વજાજીના મનોરથ અને પૂજારી દ્વારા ભોગ સેવા વિગેરેનો નિત્યક્રમ રાબેતા મુજબ જળવાઈ રહ્યો છે. (તસ્વીર : દિપેશ સામાણી, દ્વારકા)

(11:44 am IST)