Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

કચ્છના રસ્તાઓ ઉપર ભમતું મોત : અકસ્માતમાં અંજારમાં ત્રણ મહેશ્વરી યુવાન અને માંડવી રોડ ઉપર ભુજના એક ભાનુશાલી યુવાનનું મોત

 ભુજ તા. ૧૩ : રવિવારે રાત્રે કચ્છના રસ્તાઓ ઉપર મોત ભમતું હોય તેમ કાળચક્ર ફરી વળ્યું હતું. માર્ગ અકસ્માતના બે અલગ અલગ બનાવોમાં કુલ ૪ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યાં હતા. અંજારના સિનુગ્રા ગામના ત્રણ યુવાનો મધરાતે બાઇક ઉપર હાઇવે હોટલ ઉપર ચા પીવા જતા હતા ત્યારે અંજાર મુન્દ્રા હાઇવે ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા ત્રણેય યુવાનોના જીવનદીપ બુઝાયા હતા. સ્થળ ઉપર વિનોદ નાનજી મહેશ્વરી, અશ્વિન મહેશ્વરીના અરેરાટી ભર્યા મોત નિપજયા હતા. જયારે વીરેન્દ્ર મહેશ્વરી નામના ત્રીજા યુવાનને ઇજાગ્રસ્ત પરિસ્થિતિમાં અંજાર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. પણ, ઇજાગ્રસ્ત યુવાન વિરેન્દ્રનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જોકે, સિનુગ્રાના ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, વિરેન્દ્રને બચાવી શકાયો હોત પણ પૂરતી તબીબી સારવાર ન થઈ શકતા આ આશાસ્પદ યુવાને જીવ ગુમાવવો પડ્યો હતો.ઙ્ગ

ભુજ માંડવી રોડ ઉપર ખત્રી તળાવ પાસે રાત્રે કાર અને બોલેરો વચ્ચે ટક્કર સર્જાઈ હતી. જેમાં કારમાં સવાર ભુજના બે ભાનુશાલી યુવાનો યોગેશ મોતીલાલ ચાંદ્રા અને દિનેશ ત્રિકમભાઈ ચાંદ્રા ગંભીર ઈજાઓ થઈ હતી.

આ અકસ્માતમાં યોગેશ મોતીલાલ ચાંદ્રાનુ કરુણ મોત નીપજયું હતું. અકસ્માતના આ બનાવમાં બોલેરો ચાલકે કાર રોંગ સાઈડમાં આવતી હોવાની પોલીસ ફરિયાદ કરી છે. જયારે અંજારના અકસ્માતના બનાવમાં અકસ્માત સર્જનાર વાહન ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:30 pm IST)