Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

જુનાગઢમાં પત્નિ સાથે ઝઘડો થતાં કેમિકલ છાંટી સળગી ગયેલા સાગર પ્રજાપતિનું રાજકોટમાં મોત

પત્નિ અલ્પા સાથે નાની નાની વાતે ઝઘડા થતાં હોઇ ત્રાસી ગયાનું યુવાને જણાવ્યું હતું

રાજકોટ તા. ૧૩: જુનાગઢમાં ઝાંઝરડા રોડ પર મધુરમ્ સોસાયટી પાસે મંગલધામ-૩માં રહેતાં સોરઠીયા પ્રજાપતિ યુવાન સાગર કિશોરભાઇ જેઠવા (ઉ.૨૮)એ તા. ૭ રાત્રે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં કલોરીનેશન માટે ઉપયોગમાં લેવાતા ફોરમેલિન નામના કેમિકલને પોતાના શરીરે છાંટી અગ્નિસ્નાન કરી લેતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પત્નિ અલ્પા સાથેના ઝઘડાથી ત્રાસીને પગલું ભર્યાનું તેણે જણાવ્યું હતું. સારવાર દરમિયાન આજે આ યુવાનનું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

સાગર  બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. તેના લગ્ન સાડા ચાર વર્ષ પહેલા રાજકોટની અલ્પા સાથે થયા હતાં. સંતાનમાં એક દિકરી છે. સાગર પ્રજાપતિ જુનાગઢડની મધુરમ્ હોસ્પિટલમાં નોકરી કરતો હતો. પત્નિ અલ્પા સાથે નાની-નાની વાતે સતત ઝઘડા થતાં હોઇ પોતે ખુબ કંટાળી જતાં આ પગલુ ભરી લીધાનું તેણે સારવાર ચાલુ હતી ત્યારે જણાવ્યું હતું. આજે સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જુનાગઢ પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(11:38 am IST)