Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

એ બાળા જામનગરનાં કૃષ્ણનગરમાં રહેતી ઇશા વણિક હોવાનું ખુલ્યુ : સાવકી માતા ઘર છોડીને જતી રહી છે : પિતા અને સાવકા ભાઇ સાથે ૯ વર્ષની બાળા રહેતી હતીઃ શરીર ઉપર ડામ તથા હાથનાં કાંડામાં ગંભીર પ્રકારની ઇજાઓ

તસ્વીરમાં મૃતક બાળાનો મૃતદેહ જે મકાનમાંથી મૃતદેહ મળ્યો તે તથા પોલીસ કાફલો અને લતાવાસીઓ નજરે પડે છે. (તસ્વીર કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૩ :  જામનગરમાં ૯ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચરીને તેની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. આ બાળા ઉપર અત્યાચાર ગુજારીને તેને ડામ દેવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે તેમજ હાથ અને પગ ઉપર ગંભીર પ્રકારની ઇજાઓ જોવા મળી રહી છે.

આ બાળા જામનગરના કૃષ્ણનગર શેરી નં. ૪-પમાં રહેતા પરિવારની ''ઇશા'' નામની બાળા હોવાનું પોલીસની પ્રાથમિક  તપાસમાં ખુલ્યુ છે.

પોલીસે મૃતદેહનો કબ્જો લઇને ૧૦૮ એમયુલન્સની મદદથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દરમિયાન પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ કૃષ્ણનગર શેરી નં. ૪/પ માં ચેતનભાઇ વણિકની પુત્રી ઇશાનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં ઇશાની સાવકી માતા ઘર છોડીને ચાલી ગઇ છે અને તે કર્ણાકટ બાજુની પરપ્રાંતિય હોવાનું જાણવા મળ્યુ છે. હાલમાં મૃતક ઇશા કૃષ્ણનગરમાં કૃષ્ણકૃપા મકાનમાં તેમના પિતા ચેતનભાઇ વણિક અને સાવકા ભાઇ સાથે રહેતી હોવાનું અને આજે તબીયત લથડતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે. શંકાસ્પદ હાલતમાં મળેલ મૃતદેહ અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(4:32 pm IST)