Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

સોમનાથ મહોત્સવમાં સાંજે શિવવંદના-ભકિતસંગીત

રાજય સરકાર ગુજરાતની આગવી સંસ્કૃતિ અને સભ્યતાની ગરીમાપૂર્ણ જાળવણી કરીને ભવ્ય વિરાસતનો વારસો સાચવવા પ્રતિબદ્ધ : જયેશ રાદડિયા

વેરાવળ-પ્રભાસ પાટણ, તા. ૧૩ : ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર સોમનાથ મંદીર નજીક ચોપાટી પર ત્રિ-દિવસીય સોમનાથ ઉત્સવનો ગીર-સોમનાથ જિલ્લા પ્રભારી અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ  પ્રારંભ કરાવ્યો હતો.

તા. ૧૩ સુધી કાર્યરત રહેનાર આ મહોત્સવમાં ૫૦૦ જેટલા કલાકારો દરરોજ સાંજે ૭ કલાકથી શીવભકિત સાથે શીવવંદના, લોકનૃત્યો, સંતવાણી, તલવાર રાસ, મહેર રાસ, ડાંગી નૃત્ય સહિતનાં કાર્યક્રમોથી લોકોને મંત્રમુગ્ધ કરશે.

રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, જિલ્લા વહિવટીતંત્ર અને સોમનાથ ટ્રસ્ટનાં ઉપક્રમે આયોજીત મહોત્સવનો પ્રારંભ કરાવી મંત્રીશ્રી રાદડીયાએ કહ્યું કે, ગુજરાત તેની આગવી સંસ્કૃતિ અને સભ્યતાની ગરીમાપૂર્ણ જાણવણી કરી ભવ્ય વિરાસતનો વારસો સાચવવા પ્રતિબધ્ધ છે. આથી જ દરવર્ષે લોક સંસ્કૃતિ અને લોકકલાનાં માધ્યમથી આપણી કલાઓને જીવંત રાખવા સાંસ્કૃતિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત સોમનાથના પ્રવાસી સુવિધામાં વધારો કરવામાં આવશે.

ઉત્સવનાં પ્રારંભે મેવાસી નૃત્ય, મીશ્ર હુડો રાસ, આદીજાતિ નૃત્ય, સીદી ધમાલ અને પોરબંદરની પ્રખ્યાત મેર રાસ મંડળીએ તેમની કલા દ્વારા લોકોને રસતરબોળ કર્યા હતા.

ત્રિ-દિવસીય સોમનાથ મહોત્સવનાં પ્રારંભે સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઇ પટેલ, રાજય બીજ નીગમનાં ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવા, પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડ, જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્મા, જિલ્લા પોલીસ વડાશ્રી હિતેષ જોયસર, અગ્રણીશ્રી મહેન્દ્રભાઇ પીઠીયા, લખમભાઇ ભેંસલા સહિત આગેવાનો લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારીશ્રી પ્રદિપસિંહ રાઠોડ તેમજ જિલ્લા રમત-ગમત અધિકારી વિશાલ જોષીએ કાર્યક્રમને સફળ બનાવવાં જહેમત ઉઠાવી હતી.

સોમનાથ ખાતે તા. ૧૩ ફેબ્રુ.ના રોજ શીવવંદના કાર્યક્રમ યોજાશે

સોમનાથ ખાતે રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટનાં ઉપક્રમે ત્રિ-દિવસીય સોમનાથ ઉત્સવ તા. ૧૧ ફેબ્રુઆરીથી કાર્યરત છે. આ ઉત્સવ અંગર્તત આજે સાંજે ૦૬ કલાકથી કસંુબલ લોક ડાયરો ઉપરાંત પ્રસિધ્ધ કલાકારો સલીલ મહેતા અને વિપુલ ત્રિવેદી દ્વારા ભકિત સંગ્ીત અને શીવવંદના કાર્યક્રમ યોજાશે. જેનો ધર્મપ્રેમી લોકોને લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

(11:41 am IST)