Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

જૂનાગઢ : જૂનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટને ૫૦ વર્ષ પુર્ણ : વિવિધ કાર્યક્રમો

જૂનાગઢ તા.૧૩ : જૂનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટે પોતાની ૫૦ વર્ષની શૈક્ષણિક યાત્રા પુર્ણ કરી છે ત્યારે સંસ્થા દ્વારા ગોલ્ડન જયુબીલી સેલીબ્રેશનની ઉજવણી તા.૧૨ તથા ૧૩ જાન્યુ.ના રોજ યોજાશે તેમ સંસ્થાના અગ્રણીઓએ પત્રકારપરિષદમાં જણાવ્યુ હતુ.

આજથી પ૦ વર્ષ પુર્વે સોરઠની આવનારી પેઢી શિક્ષિત બની તમામ ક્ષેત્રે પોતાનુ પરીવાર અને જૂનાગઢનું અને ગુજરાતનું ગૌરવ લઇ શકે તેવી કારકીર્દી ઘડતર કરે તેવો ઉમદા વિચાર જૂનાગઢના પૂર્વ સાંસદ અને જૂનાગઢ જૂનીયર ચેમ્બર એજયુ.ટ્રસ્ટના પ્રમુખ નાનજીભાઇ વેકરીયાને આવ્યો હતો.

હંમેશા લોકો માટે લડતા અને સેવા માટે સદાય તત્પર એવા નાનજીભાઇની આ મોટી મહેચ્છા તેમના ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓએ સહર્ષ સ્વીકારી લીધી. ૧૯૬૯માં જૂનાગઢ જૂનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી કોમર્સ કોલેજની માન્યતા મેળવી એ વખતે ટ્રસ્ટ પાસે કોઇ મોટી રકમ કે મકાન ન હતુ ત્યારે સરદાર પટેલના બાવલા પાસે આવેલ મહાવીર વિનય મંદિરની બિલ્ડીંગ ભાડે લેવાઇ હતી અને કોલેજમાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની સાથે એક જ વર્ષમાં ૪૫૦ વિદ્યાર્થીઓ કોલેજમાં પ્રવેશ મેળવતા નાનજીભાઇ સહિત ટ્રસ્ટી મંડળે વિદ્યાર્થીઓને સર્વોતમ શિક્ષણની સુવિધા સારી મળે તે હેતુ થી કવોલીફાઇડ ચુનંદા શિક્ષણ સ્ટાફની ભરતી કરી અને કોલેજમાટે બિલ્ડીંગની વ્યવસ્થા પણ આરંભી દીધી હતી.

પરંતુ નાનજીભાઇ વેકરીયા આટલેથી ખુશ ન હતા તેણે દેશભર અને વિદેશમાં નજર દોડાવી અને પોતાનો સોરઠનો વિદ્યાર્થી દરેકક્ષેત્રે જ્ઞાન મેળવે તેવા અભ્યાસક્રમ પોતાની કોલેજમાં શરૂ થાય તે માટે પ્રયત્નશીલ રહ્યા. તેના કુલ સ્વરૂપ સૌરાષ્ટ્રની સૌપ્રથમ લો કોલેજ ૧૯૭૮, સૌરાષ્ટ્રની સૌપ્રથમ બીબીએ કોલેજ ૧૯૮૨, સૌરાષ્ટ્રની સૌપ્રથમ એમબીએ કોલેજ ૨૦૦૦, જૂનાગઢની સૌપ્રથમ ફાર્મસી કોલેજ ૨૦૦૫, સૌરાષ્ટ્રની સૌપ્રથમ એલએલએમ કોલેજ ૨૦૧૬ની મંજૂરી મેળવી જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને મોટા શહેરમાં જવાના બદલે જૂનાગઢમાં જ સર્વોતમ શિક્ષણ મળે તેવી વ્યવસ્થા ઉભી કરી. આમની સાથોસાથ એમકોમ, એમફાર્મ, ઇન્ટીગ્રેટેડ એમબીએ તથા ડીપ્લોમાના કોર્ષીષ પણ શરૂ કર્યા અને સંસ્થાની શિક્ષણ અવિરત ઝળહળતી જયોત ૫૦ વર્ષ દરમિયાન ૩૫ હજારથી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણ રૂપી જ્ઞાનજયોતથી પ્રકાશીત બની સર્વક્ષેત્રે પ્રગતીશીલ બન્યા.

આગામી તા.૧૨ના રોજ સંસ્થાના ગોલ્ડન જયુબેલી સેલી. ૨૦૨૦ પ્રસંગે ભુતપુર્વ વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન તથા વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ સવારે ૧૦ કલાકે યોજાશે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નાનજીભાઇ વેકરીયાના અધ્યક્ષસ્થાને બિરાજશે. જયારે જૂનાગઢના ડી.એન્ડ સેશન્સ જજ એન.બી.પીઠવાના સંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમા મુખ્ય મહેમાન તરીકે તેમજ એગ્રી યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો.ચોવટીયા તથા જૂનાગઢ ધારાસભ્ય ભીખાભાઇ જોશી અને અગ્રણી કેળવણીકાર પ્રદિપભાઇ ખીમાણી અતિથિ વિશેષ પદ શોભાવશે.

તા.૧૩ના રોજ વિદ્યાર્થી સન્માન સમારોહ સાંસ્કૃતિક કાર્યક્રમની સોનેરી ઘડીએ ટ્રસ્ટના પ્રમુખ નાનજીભાઇ વેકરીયાની સાથે વિધાનસભાના વિરોધપક્ષ નેતા પરેશભાઇ ધાનાણી, મેયર ધીરૂભાઇ ગોહેલ, જીટીયુના વાઇસ ચાન્સેલર ડો.નવીન શાહ, નરસિંહ મહેતા યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો.ચેતન ત્રિવેદી, એસજીજી યુનિ.ના ગોધરાના વાઇસ ચાન્સેલર ડો.પ્રતાપસિંહ ચૌહાણ, સૌ.યુનિ.ના વાઇસ ચાન્સેલર નીતીનભાઇ પેથાણી, એસજીજી યુનિ. ગાંધીનગરના વાઇસ ચાન્સેલર ડો.અર્જુનસિંહ રાણા,મનપા કમિ. તુષાર સુમેરા તથા કેળવણીકાર મોહનભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના તમામ પ્રિન્સીપાલ પ્રોફેસર તથા સ્ટાફે ભારે જહેતમ ઉઠાવી રહ્યા છે.

(1:01 pm IST)