Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

બાબરાની ધરતી ઉપર અંજળ ખુટયા તેમ કહીને ધરમશી શેઠે મિલ્કત ગૌસેવામાં અર્પણ કરી દીધી'તી

બાબરા, તા. ૧૩ : અમરાપરા ખાતે પાંજરાપોળની વાત આવે એટલે સ્વ.શેઠ ધરમશી હરભમે પોતાના રહેઠાણ સહિત વેપારક્ષેત્રના તમામ ગોડાઉન પોતાની પડતીના સમયે એકજ ઝાટકે પશુધન માટે આપી ધંધા રોજગાર માટે મુંબઇની વાટ પકડી હતી. વરસો પહેલા ઉનના વેપારમાં સૌરાષ્ટ્ર રાજયથી માંડી મહારાષ્ટ્ર સુધી નામના ધરાવતા બાબરાના વતની શેઠ ધરમશી હરભે ૧૦૦ વરસ પહેલા વિદેશમાં ફાટેલા તોફાનોના કારણે ઉનના ધંધામાં બહુ મોટી ખોટ થવાથી એક દિવસ ટંક ખાવાના વાંધા પડયા હતાં.

સમસ્ત બાબરા તાલુકાને સાચવી શકે તેવો શેઠ કુદરતી કોપથી રાજામાંથી રંક બની જતા પોતાના પરિવાર સાથે બાબરા છોડી મુંબઇની વાટ વ્યવસાય અર્થે પકડવા તૈયારી દર્શાવતા અમુક લોકો દ્વારા તેમના રાચરચીલા મકાન ગોડાઉન વેચાણથી માંગવામાં આવેલા ત્યારે તેમના પત્ની દ્વારા મિલ્કત વેચી રકમ હાથવગી કરવા અને મુંબઇ તરફના પ્રયાણમાં આ રકમ દિશા સુચક સાબીત થવા કરેલુ, પરંતુ અબોલ પશુ પ્રત્યેમા પ્રેમમાં રંગાયેલા શેઠ ધરમશી હરભમે... બાબરાની ધરતીના અંજળ ખુટયા આટલુ બોલી તમામ મિલ્કત ગૌસેવામાં આપી દેવાની ઇચ્છા વ્યકત કરી બાબરાના મહાજનોને બોલાવી ઢોરવાડો ઉભો કરવા માટે તમામ મિલ્કત લખી આપી પશુ પ્રત્યે ઉદાર સખાવત આપી એક અબોલ પશુ પ્રેમી તરીકે નામના મેળવી ઘડીભરમાં મનનો રાજા બની ગયા હતાં.

હાલ આ પાંજરાપોળ તરીકે ટ્રસ્ટ મંડળની દેખરેખ નીચે ૪૦૦થી વધુ પશુનો નિભાવ થવા પામી રહ્યો છે. ૧૦૦ વરસ જુની સંસ્થામાં સરકારશ્રીમાંથી પૈસાની આવક નથી લોકભાગીદારી ખુશીભેટ સખાવતી દાતાના અનુદાન સામે પશુ નિભાવનો ખર્ચ વધુ થવા પામે છે.

ટ્રસ્ટી મહેશભાઇ ગમનભાઇ મહેતા બાબબરાના જણાવ્યા મુજબ ટ્રસ્ટ મંડળમાં કુલ ૭ ટ્રસ્ટી છે જેમાના એકનું અવસાન થયા બાદ જગ્યા ખાલી પડેલી છે. ટ્રસ્ટી મંડળ બાબરા પાંજરાપોળની માલીકીની કરીયાણા રોડ ઉપર ૧૮ વીઘા જમીન પશુ નિભાવ માટે વેચાણથી લીધેલી છે. હાલ પશુ નિભાવ સહિતનો રોજીંદો ખર્ચ -૧૩૦૦૦ થાય છે. મર્યાદીત આવકના કારણે વિશાળ સુવિધા વાળા પાંજરાપોળમાં વધુ પશુ રાખી શકાતા નથી અને ખર્ચને પહોંચવા માટે ઉદારદિલના દાતા પરિવારને આગળ આવવા ટ્રસ્ટી મંડળ દ્વારા જાહેર અપીલ થવા પામી છે.

ઉતરાયણ મકરસંક્રાંતિ નિમિતે જીવદયા પ્રેમીઓને નમ્ર વિનંતી સાથે ગૌશાળા પાંજરાપોળ બાબરામાં અનુદાન આપવા તથા બાબરા તાલુકામાં ફરજ બજાવતા તમામ કેટેગરીના કર્મચારીઓને પોતાનો એક દિવસનો પગાર દાનમાં આપવા અપીલ કરવામાં આવી છે. પાંજરાપોળના એસ.બી.આઇ. બેન્કના એકાઉન્ટ નંબર પ૬૦૩૬૦૦ર૮ર૦ અનુદાન મોકલવા તથા બાબરા પાંજરાપોળના ટ્રસ્ટી મંડળ વતી ૯૭૧૪૧ ૮૪પ૪૦ સંપર્ક સાધવા યાદીમાં જણાવ્યું છે તથા દાન માટે રૂબરૂ આવનારા સેવાભાવી પાસે પહોંચ લેવા જણાવ્યું છે.

(11:58 am IST)