Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સીએમ બન્યા બાદ પ્રથમ વખત જૂનાગઢની મુલાકાતે

શહેર ભાજપના સ્નેહમિલનમાં હાજરી આપશે

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૧૨ : આગામી સોમવારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સીએમ બન્યા બાદ પ્રથમ વખત જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અત્રે શહેર ભાજપ આયોજીત સ્નેહ મિલન પ્રસંગે હાજરી આપશે.

જૂનાગઢ મહાનગર ભાજપના પ્રમુખ પુનિતભાઇ શર્માએ અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, આગામી તા. ૧૫ નવેમ્બર સોમવારના રોજ બપોરે જૂનાગઢમાં અક્ષર વાડી વંથલી રોડ ખાતે શહેર ભાજપના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે તેમની સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ મહામંત્રી વિનોદભાઇ ચાવડા તેમજ મંત્રી અરવિંદભાઇ રૈયાણી અને મેયર ધીરૂભાઇ ગોહેલ વગેરે હાજરી આપશે.

શ્રી શર્માએ વધુમાં જણાવેલ કે, સીએમ બન્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પ્રથમ વખત જૂનાગઢ આવી રહ્યા હોય તેમના ભવ્ય સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ પુનિત શર્માના માર્ગદર્શનમાં મહામંત્રીઓ શૈલેષ દવે, ભરત શીંગાળા, સંજય મણવર તેમજ સંગઠન અને ચુંટાયેલી પાંખના સભ્યો વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:57 pm IST)