Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

શુદ્ધ ઘીનો શીરો બનાવી હજારો યાત્રિકોને પીરસ્યો

સુરતના સિદ્ધનાથ સેવા મંડળ દ્વારા ગિરનાર પરિક્રમાના પ્રથમ પડાવ પાસે

જુનાગઢ : ૩૨ કરોડ દેવતાનો જયાં વાસ છે તેવા જટાધારી જોગી સમાન ગિરીવર ગિરનારની પરંપરાગત રીતે યોજાતી પરિક્રમામાં સુરતનું સિદ્ધનાથ સેવા મંડળ બાર વર્ષથી અનોખું અન્નક્ષેત્ર ચલાવી રહ્યું છે. પરિક્રમાના પ્રથમ પડાવ જીણાબાવાની મઢી પાસે આ ગ્રુપના કાર્યકરો દ્વારા આ વખતે ૩૦ મણ રવો, ૩૦ મણ ખાંડ, અને ૩૬ ડબ્બા શુદ્ધ ઘીમાંથી તૈયાર કરેલો ગરમા ગરમ શીરો યાત્રિકોને પીરસ્વામાં આવ્યો હતો.

જુનાગઢ લેઉવા પટેલ સમાજના અગ્રણી અને સમુહ લગ્ન પ્રણેના હરસુખભાઇ વઘાસીયા, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા તથા અરવિંદભાઇ મારડિયાએ આ અન્નક્ષેત્રની મુલાકાત લઇને કાર્યકરોની પ્રવૃતિને બીરદાવી હતી. બીજી તરફ આ  આગેવાનો તેમજ સુનિધી ચેરીટી ફાઉન્ડેશનના સહયોગથી વડાલના આઇશ્રી ખોડિયાર સેવા મંડળ દ્વારા જીણાબાવાની મઢી પાસે ભાડવાડી ખાતે છેલ્લા ૨૫ વર્ષથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે. જયાં યાત્રિકોને ચા, પાણી, શરબત, છાશ, ફરાળ પ્રસાદી તરીકે ચાર દિવસ સુધી પીરસવામાં આવ્યું હતું. માધાભાઇ પારધી, ભીખાભાઇ, બાબુભાઇ, છગનભાઇ, ધનજીભાઇ વગેરે દરવર્ષે અહીં અવિરત સેવા આપી રહ્યા છે. આ અન્નક્ષેત્રની મુલાકાત પણ આગેવાનોએ લીધી હતી.

(1:50 pm IST)