Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સૂરતનાં પરિવારની નવરાત્રી સુધરી ગુમયુવાન પાંચ વર્ષે ઘરે પહોંચ્યો

ભુજ, તા.૧૨: અજય ધનજી દુધાત ઉ.વ.૩૩ સૂરતથી પાંચ વર્ષ પહેલા ગુમ થયો હતો. તે રખડતો-ભટકતો અન્ય રાજયોમાંથી થઇ ભુજ પહોંચ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સિનિયર પેરાલીગલ વોલીન્ટીયર પ્રબોધ મુનવરને તે ભુજનાં જુના એસ.ટી.બસ સ્ટેશનેથી મળ્યો હતો. તેને માનવજયોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા-કચ્છ મધ્યે રાખી તેની સારવાર શરૂ કરાઇ હતી. તે સ્વસ્થ બનતાં જ આશ્રમનાં સામાજિક કાર્યકર બાબુલાલ જેપારે સૂરત પોલીસનો સંપર્ક કરી તેનું ઘર તથા પરિવારજનો શોધી કાઢયા હતા.

અજય આશ્રમમાં સાડા ત્રણ મહિના સુધી રહ્યો. ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલનાં મનોચિકિત્સક ડો.જે.વી.પાટનકરની સારવારથી તે જલ્દી સ્વસ્થ બન્યો હતો.

સમાચાર મળતાં જ તેનાં ભાઇ રોહિત અને કાકા બાબુલા દુધાત તેને તેડવા ભુજ આવી પહોંચ્યા હતા. તેમનાં જણાવ્યા મુજબ ખેડૂત પરિવારનો મોટો પુત્ર અજય છે. મમ્મી-પપ્પા-ભાઇ-બહેન વર્ષોથી તેની ઘરે આવવાની રાહ જોઇ રહ્યા છે. પરિવારજનોનું પાંચ વર્ષે અજય સાથે મિલન થતાં સૌની આંખો અશ્રુભીની બની હતી.

માનવતાનાં આ કાર્યમાં રમેશભાઇ માહેશ્વરી, સુરેશભાઇ માહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, બાબુલાલ જેપાલ, આનંદ રાયસોની, દિપેશ શાહ, રફીક બાવા, પંકજ કુરૂવા, કનૈયાલાલ અબોટી, સહભાગી બન્યા હતા.

(10:55 am IST)