Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

પ્રભાસપાટણના પ્રાચીન સુર્યમંદિરની દુર્દશા

પ્રાચીન વારસો બચાવવાની જરૂરઃ મંદિરની પાસેથી મળ્યા હતા મૌર્ય કાલિન ચિત્રો

રાજકોટઃ ગિર સોમનાથ જીલ્લાના પ્રભાસ પાટણમાં હિરણ નદીના કાંઠે ટેકરી પર આવેલુ સુર્ય મંદિર આજે પોતાની દુર્દશા પર રોઇ રહ્યું છે કયારેક યાત્રીકોની ભીડથી ભરચક રહેતું આ મંદિર આજે ખાલીખમ હોય છે અહી કોઇ નથી જતું ભૂતકાળની યાદોને સમેટીને ઉભેલા આ મંદિરની હાલત આજે જર્જરિત થઇ ગઇ છે.

બાર જયોતિર્લિગોમાં પ્રથમ એવા શ્રીસોમનાથ મહાદેવ મંદિર ક્ષેત્રમાં હિરણનદીના કાંઠે ટેકરી પર ઇસ ૧૩૫૦માં બનેલા સુંદર નકશીકામ ધરાવતા આ સુર્ય મંદિરની સ્થાપત્ય કળાની નકશીને જોઇને આપણું ધ્યાન આકર્ષિત થઇ જાય છે મંદિરમાં પ્રવેશ કરતા જ શ્રૃંગાર ચોકી, મંડપ, પ્રદક્ષિણા માર્ગ અને ગર્ભગૃહ જેવા અંગોથી બનેલા આ મંદિરને પંચાગી પણ કરી શકાય છે.

મંદિરમાં પ્રવેશતાજ શ્રૃંગાર ચોકી છે. બન્ને બાજુ બેસવા માટે કક્ષાસનની રચના કરવામાં આવી છે. ત્યાર પછી મંદિરના પ્રવેશ દ્વાર પર લલાટમાં ભગવાન ગણેશ છે, જેની ઉપર નવગ્રહ પટ્ટ છે. દરવાજાની બન્ને તરફ નીચે ગવાક્ષમાં દેવના રક્ષક સમાન દ્વાર પાળો છે જેની ઉપર બંને તરફ ગંગા અને યમુનાના શિલ્પો છે. દિવ્ય હસ્ત દેવીએ એક હાથમાં ઉત્તરીય વસ્ત્ર અને બીજા હાથમાં કુંતી ધારણ કર્યો છે.

લગભગ ૫૫૦ થી ૬૫૦ વર્ષ પ્રાચીન આ પ્રભાવશાળી મંદિરના મંડપમાં બન્ને બાજુ કક્ષાસન છે. મંદીર ઉપરથી અષ્ટકોણીય છે. પ્રવેશ દ્વારમાંથી પ્રવેશ્યા પછી ગર્ભગૃહની બહારની તરફ ભદ્ર ગવાક્ષમાં સુર્યની પ્રતિમા જડાયેલ છે. ભગવાન સૂર્ય એક યોધ્ધાની મુદ્રામાં ઉભા છે. મસ્તક પર કિરીટ મુકુટ ધારણ કરેલ છે.

આ મંદિરની પાસેથીજ પુરાતત્વવિદ્દ પી પી પંડ્યાએ પુરાતત્વીય ખોદકામ કરીને પ્રાગ મૌર્ય અને મૌર્યકાલીન સંસ્કૃતિના અવશેષો શોધ્યા હતા. એવું જણાવવામાં આવે છે કે આ શોધનું ન્યુઝ રીલ આખા ભારતના થીયેટરોમાં દર્શાવવામાં આવ્યું હતંુ.

(3:51 pm IST)