Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

કચ્છના મુંગા પશુઓની વ્હારે આવતા દાતાઓઃ ૧૦ હજાર પશુઓ માટે નિરણ કેન્દ્ર શરૂ

મધ્યપ્રદેશથી ઘાસચારો મોકલ્યોઃ ઘાસનો ખાસ ડેપો બનાવાયોઃ કેન્દ્રો ચાલુ રહેશે

ભુજ, તા.૧૧: અછતગ્રસ્ત કચ્છમાં સરકારી ઘાસ ની અછત, પશુઓના ઘાસ માટેના વલખાં અને તે અંગે ઉઠેલી બૂમરાણ પછી હવે સરકારે પણ ત્રણ ના બદલે છ જિલ્લાઓમાં થી કચ્છમા ઘાસ મોકલવાનું શરૂ કર્યું છે. પણ, અછતગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ દયનીય છે એ હકીકત વસમી છે. કચ્છના મુંગા પશુઓના ઘાસ માટેના વલખાં અને પશુપાલકોની લાચારી નો અવાજ દાતાઓ સુધી પહોંચ્યો છે,અને પશુપાલકોને મદદ કરી ને ગૌમાતા ને બચાવવા ના પ્રયત્નો શરૂ કરાયા છે.

મુંગા અબોલ જીવોને બચાવવા છેક મધ્યપ્રદેશ થી આવી રહ્યો છે ચારો...

પર્યુષણપર્વ ના પ્રારંભ પૂર્વે જ બે જૈન સંસ્થાઓ ભચાઉ જીવદયા મંડળ અને ભુજ નું સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજના સુપાર્શ્વ જૈન સેવા મંડળ અને કરુણાધામ પશુ હોસ્પિટલ ના કૌશલ મહેતા કહે છે કે, અમે કચ્છના અબોલ પશુઓને પડતી ઘાસચારાની મુશ્કેલી અને પશુપાલકોની લાચારી સંબંધે દેશભર મા જીવદયા માટે જાણીતી સંસ્થાઓ સુરત ના શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને મુંબઈ ના વર્ધમાન સંસ્કારધામ ને પત્ર લખ્યો અને કચ્છના પશુઓની વહારે આવવા વિનંતી કરી. વિનંતી ને પગલે સુરત થી લહેરુભાઈ ચાવાળા અને મુંબઇ થી જે.પી. મહેતા કચ્છ આવ્યા અને અછતગ્રસ્ત અબડાસા, લખપત તેમ જ બન્ની ની રૂબરૂ મુલાકાત લીધી. કયાંક મૃત પશુઓ ના હાડપિંજર પણ જોયા અને મોટાભાગના ગામો મા ઘાસ માટે ભાંભરતી ગૌમાતાઓ અને તેમની ભૂખમરા જેવી હાલત જોઈને  તેમણે સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત અને વર્ધમાન સંસ્કારધામ, મુંબઇ તરફથી કરુણા ની સરવાણી વ્હેવડાવતા લખપત,અબડાસા અને બન્ની એમ ત્રણેય ના અંતરિયાળ ગામોના કુલ મળી ૧૦હજાર મુંગા જીવો નીરણકેન્દ્રો શરૂ કરવા ૩૦ લાખ રૂ.ની માતબર રકમની ફાળવણી કરી દીધી. કચ્છના મુંગા પશુઓ ને બચાવવા આ સંસ્થાઓ દ્વારા કચ્છથી ૧૧૦૦ કિલોમીટર દૂર થી છેક મધ્યપ્રદેશ ના સાગર જિલ્લા માં થી ઘાસચારો આવી રહ્યો છે. અત્યાર સુધી દોઢ લાખ કિલો ચારો આવીને તે પશુઓ સુધી પહોંચી ગયો છે.

કૌશલ મહેતા કહે છે કે અત્યારે અમે નલિયા નજીક તેરા ગામ માં જૈન મહાજન ના સહયોગથી ઘાસ ડેપો બનાવ્યો છે. જેમા અબડાસા લખપતના અંતરિયાળ ગામો નાગીયા, સુજાપર, ખડક, હરિપુરા, વડસર, લૈયારી, તેરા, હીરાપર, છસરા, કાનાવારી માતા, જુલરાઈ, સાભરા, કેરવાંઢ એમ ૧૩ ગામોના ૭ હજાર તેમ જ હોડકો અને ખાવડાના ૩ હજાર એમ કુલ ૧૦ હજાર ગૌમાતાઓ પ્રત્યેક ને રોજ નો ૭ કિલો ચારો મળે એ રીતે વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા મા જયાં જયાં પાણી ના અવાળા છે ત્યાં ચારાનું નિરણ કરાય અને જયા અવાળા નથી ત્યાં નર્મદાની પાઇપ લાઇન ની બાજુમાં અવાળા બનાવી ને ચારનું નિરણ કરાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. બાકી ગામ ના વથાણ મા દરેક પશુઓ ને એકસાથે ચારા નુ નિરણ કરાય છે. આ નિરણ કેન્દ્રો દ્વારા પશુઓ ને રાહત થશે. વરસાદ ન થાય ત્યાં સુધી આ નિરણ કેન્દ્રો ચલાવાશે. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને વર્ધમાન સંસ્કાર ધામે ૧ કરોડ રૂ. ફાળવી દીધા છે. સ્થાનિકે કચ્છ મા ધર્મેન્દ્ર વોરા તેમ જ નખત્રાણા ના હરેશ ઠક્કર સહયોગી રહ્યા છે. (સંપર્ક-સુપાર્શ્વ જૈન સેવા મંડળ,ભુજ, કૌશલ મહેતા મો.નં.(૯૪૨૬૨૧૫૨૧૩)(૨૩.૬)

(12:30 pm IST)