Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

સરકાર સારી રીતે ભણાવે નહીં તો ટયુશન કરવા દે : ભુજમાં વિદ્યાર્થીઓ ઉતર્યા રસ્તા પર

ભુજ તા. ૧૨ : ખાનગી ટયુશન કલાસ વિરુદ્ઘ ભુજ મા થયેલી કાયદાકીય કાર્યવાહી બાદ વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. રસ્તા રોકો આંદોલન સાથે હાથ માં બેનરો સાથે વિદ્યાર્થીઓએ પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નો અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓ એ પોતાનો વિરોધ સૂત્રોચ્ચાર સ્વરૂપે, રેલી સ્વરૂપે અને લેખિત રજુઆત સ્વરૂપે વ્યકત કરીને સરકાર તેમ જ શિક્ષણ વિભાગ સામે સવાલો કર્યા છે.

દેખાવો બાદ જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ પાસે પહોંચેલા વિદ્યાર્થીઓએ તેમની પાસે પોતાના સવાલો ની ચર્ચા કરી હતી. અત્યારે સરકાર દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓની કોમ્પિટીટીવ એકઝામ લીધા બાદ જ એન્જીનીયરીંગ, મેડીકલ અને વિજ્ઞાન પ્રવાહ માં આગળની કારકિર્દી માટે પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓ ને શાળાઓ માં તો કોમ્પિટીટીવ એકઝામ નું કંઈ પણ ભણાવાતું નથી. તો અમે વિધાર્થીઓ કરીએ શું? વિધાર્થીઓ એ સીધે સીધી વાત કરી હતી કે કાં તો સરકાર ને કહો NEET, JEE, GUJCET, AIMES જેવી કોમ્પિટીટીવ એકઝામ બંધ કરે અથવા તો શાળાઓ માં કોમ્પિટીટીવ એકઝામ નું શિક્ષણ આપે. અત્યારે ધોરણ ૧૨નું વર્ષ વિદ્યાર્થીઓ માટે કારકીર્દીનું મહત્વનું વર્ષ છે. ત્યારે, ખાનગી ટયુશન સામે ની કાર્યવાહી થી અમારા શિક્ષણને અસર પહોંચી રહી છે. આ વિદ્યાર્થીઓ હિમાંશુ બારોટ પાસે ટયુશન લેનાર વિધાર્થીઓ હતા. પણ, તેમણે કાયદા ની પ્રક્રીયા ને આવકારી અને કહ્યું અમને વૈકલ્પિક ભણવાની વ્યવસ્થા કરી આપો પછી ટયુશન પ્રથા બંધ કરાવો. જોકે, આ વિદ્યાર્થીઓએ એવી પણ રજુઆત કરી હતી કે સરકારી શાળા સાથે સંકળાયેલા શિક્ષકો ખાનગી ટયુશન આપતા અન્ય શિક્ષકોની તુલનાએ સારું ટયુશન ભણાવી શકે છે.

વિદ્યાર્થીઓ ની રજુઆત ને પગલે જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે તેમને સમજાવ્યું હતું કે, રાજયભરમાં કાયદો છે કે સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળા ના શિક્ષકો ખાનગી ટયુશન ભણાવી શકતા નથી. તો તેમણે એ વાત પણ માનવી પડી કે કોમ્પિટીટીવ એકઝામનું શિક્ષણ કોઈ શાળાઓ દ્વારા અપાતું નથી. પણ હવે જિલ્લા શિક્ષણ કચેરી કચ્છ ની ઉચ્ચ માધ્યમિક શાળાઓના આચાર્યો સાથે બેઠક યોજી ને એક અઠવાડિયામાં કોમ્પિટીટીવ એકઝામ ના માર્ગદર્શન માટે આયોજન કરશે.

ખરેખર વાસ્તવિકતા એ છે કે ભુજ માં વિજ્ઞાન પ્રવાહ નું મેથ્સ, કેમેસ્ટ્રી, ફિઝિકસ અને બાયોલોજી નું ટયુશન કરાવતા શિક્ષકો ગણ્યા ગાંઠ્યા છે અને તેઓ સરકારી તેમ જ ગ્રાન્ટેડ સ્કૂલ સાથે જ સંકળાયેલા છે. એકાદ શિક્ષક કે શિક્ષિકા નોકરીને બદલે માત્ર ટયુશન જ કરાવે છે. આવી પરિસ્થિતિ માં ટયુશન ની મલાઈદાર આવક જતી કરીને વિદ્યાર્થીઓ ને માત્ર નૈતિકતા સાથે નિસ્વાર્થ પણે ભણાવવા એ કપરું કામ છે. જુની પેઢીના માસ્તરોનો યુગ હવે નથી રહ્યો.(૨૧.૧૩)

(12:26 pm IST)