Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

આવાસના લાભાર્થીઓ હશે જામકંડોરણામાં, મોદી હશે ધરમપુરમાં : પરસ્પર સંવાદ થશે

જિલ્લા પંચાયત દ્વારા તા. ર૦મીના કાર્યક્રમની તૈયારી

રાજકોટ, તા. ૧ર : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા. ર૦મીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તે દિવસે સવારે વલસાડ પાસેના ધરમપુરમાં આવાસ યોજના અંગેનો તેમનો કાર્યક્રમ છે. તે વખતે તેઓ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી મોટા પડદા પર જામકંડોરણાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.

જામકંડોરણામાં આવાસ યોજનાના ૪૯ આવાસો પૈકી ૪પ તૈયાર થઇ ગયા છે. જેમાંથી ૧૪ લાભાર્થીઓને તા. ર૦મીએ ગૃહ પ્રવેશ કરાવાશે. શાસ્ત્રોકત વિધિ પણ રાખેલ છે. નવા ઘરના ઘરમાં પ્રવેશ નિમિતે આ લાભાર્થીઓ પૈકી અમૂક બહેનોને વડાપ્રધાન સાથે સંવાદની તક મળશે. રાજયના ર૦ જિલ્લામાં આ પ્રકારનો કાર્યક્રમ યોજાશે. રાજકોટ જિલ્લાનો કાર્યક્રમ જામકંડોરણામાં યોજાયેલ છે જેના માટે જિલ્લા પંચાયતનું તંત્ર જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી રહ્યું છે.

 

(4:36 pm IST)