Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કચ્છમાં વધુ ૫ મોત : ૧૮૧ નવા કેસ : ભુજ-ગાંધીધામમાં કોરોના સામે મીની લોકડાઉન બેઅસર : કેસો વધ્યા

અધકચરા લોકડાઉન,ઇન્જે., ઓકિસજનની અછત સાથે વેકિસનની બૂમરાણ વચ્ચે સમગ્ર જિલ્લાને કોરોનાનો ભરડો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૨: કચ્છમાં કોરોનાએ વધુ ૫ જણનો જીવ લીધો છે. તો, નવા ૧૮૧ કેસ સાથે અત્યારે સારવાર હેઠળ ૩૪૮૬ દર્દીઓ છે. અત્યારે એક બાજુ સરકાર કોરોનાને કાબૂમાં લેવા મીની લોકડાઉન સાથે રસીકરણ ઉપર ભાર મૂકી રહી છે. બીજી બાજુ સરકાર સામે હજીયે કોરોનાનો પડકાર યથાવત જ છે. તેનું કારણ એક તો અધકચરું લોકડાઉન છે.

કચ્છમાં બે શહેરો ભુજ અને ગાંધીધામમાં ૧૮ મી સુધી રાત્રિ કરફ્યુ સાથે આંશિક લોકડાઉન લંબાવાયું છે. પણ, અત્યાર સુધીમાં મીની લોકડાઉન ના અમલ વચ્ચે ભુજ અને ગાંધીધામમાં કોરોનાના કેસો વધ્યા છે.

એ જ રીતે તાલુકા અને જિલ્લા મથકોએ સમીક્ષા બેઠકો કરતાં નેતાઓ ઈન્જેકશન, ઓકિસજન અને રસીકરણના સ્થળે લોકોને પડતી મુશ્કેલી તેમ જ લાંબી લાઈનો વચ્ચે જતાં નથી અને વિતરણની ખામીઓ સુધારવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તંત્રને સમીક્ષા તેમ જ ઉદ્દઘાટનમાં વ્યસ્ત રાખે છે. જો, નેતાઓ લાઈનમાં ઊભા રહે તો વ્યવસ્થાની ખામીઓ સુધરી શકે. બાકી, પરિસ્થિતિ વણસતી જાય છે અને ત્રસ્ત થયેલા લોકો સરકાર ઉપર દોષારોપણ કરે છે.

(10:59 am IST)