Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

મોરબીમાં કોરોનાનો કહેર યથાવત, આજે વધુ પાંચના મૃત્યુ : હવે લોક જાગૃતિ અનિવાર્ય

ઘરે ઘરે કોરોનાના દર્દીઓની સ્થિતિની વચ્ચે આજે પણ સરકારી ચોપડે માત્ર 48 કેસ જ દર્શાવ્યા: સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4047 કેસમાંથી 3403 સાજા થયા, જ્યારે આજે વધુ 5 દર્દીના મૃત્યુ સાથે કુલ 268ના મોત, એક્ટિવ કેસ વધીને 375 થયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. જ્યારે ભાજપે પણ તેના રેપીડ ટેસ્ટ કેમ્પમાં કેટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવયા તે આંકડો જાહેર કરવાનું બંધ કરી દીધુ છે. જ્યારે આજે આરોગ્ય વિભાગે 12 એપ્રિલ, સોમવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 3151 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ 48 વ્યક્તિના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે અત્યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. વાસ્તવિક રીતે મોરબી જિલ્લામાં રોજના સેંકડો નવા કેસ આવી રહ્યા છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. હાલમાં મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પણ જગ્યા નથી.

 જ્યારે આજે મોરબી જિલ્લામાં સરકારી આંકડા મુજબ વધુ 5 કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જોકે નિર્ભર સરકારી તંત્ર દ્વારા સત્તાવાર આજે પણ મોરબી જિલ્લામાં એક પણ કોવિડ ડેથ જાહેર કર્યું નથી.

(10:17 pm IST)