Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

કચ્છનાં આદિપુર-અંજાર રોડ ઉપર ટ્રેનના પાટા ઉપર બસ ખોટકાઇ જતા ટ્રાફિકજામ

ભુજ : કચ્છના અંજાર-આદિપુર હાઇ-વે ઉપર આજે સવારે એક ખાનગી કંપનીની બસ રેલ્વે ફાટક ઉપર જ બગડી હતી. બસમાં તકનિકી ખામી સર્જાતા ધકકાં મારીને ફાટકથી આગળ વધારી શકાય ન હતી. આ સમસ્યાના કારણે આદિપુરથી અંજાર આવતા અને અંજારથી આદિપુર આવતા સેંકડો વાહનોના થપ્પા લાગ્યા હતા.

વાહનોની લાંબી કતારના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જેને નિવારવા સ્થળ પર કોઇ પોલીસ ન પહોંચતાં અનેક વાહનચાલકો કલાકો સુધી અટવાયા હતા.

ટ્રાફિકજામના કારણે ભુજ-ગાંધીધામ વચ્ચે અવર-જવર કરતી બસોને વાયા અંજાર ગળપાદર રોડ તરફ દોડાવવાની ફરજ પડી હતી.

જેથી આદિપુર જતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમ્યાન ફાટક વચ્ચે જ બસ અટકી જતા મુંદરાથી ગાંધીધામ તરફ આવતું ટ્રેનનું એન્જિન અટકાવાયું હતું. ૨ કલાક બાદ બસ આગળ નીકળતાં ટ્રાફિક રાબેતા મુજબ થયો હતો.

(8:14 pm IST)