Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સિંધાવદરમાં પતિ સુરેશ સાથે વિડીયો કોલમાં વાત કર્યા બાદ નવોઢા મનિષાનો આપઘાત

ચાર મહિના પહેલા જ મનિષાના લગ્ન ધ્રાંગધ્રાના દેસડા ગામના સુરેશ ડાભી સાથે થયા'તાઃ ત્રણ મહિનાથી સિંધાવદર માવતરે હતીઃ ઝેર પી જીવ દીધોઃ આપઘાતનું કારણ જાણવા વાંકાનેર પોલીસની તપાસ સુરેશે સાળાના ફોનમાં પોતાના અને પત્નિના બિભત્સ ફોટા પણ મોકલ્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૧: વાંકાનેરના સિંધાવદર ગામે માવતર ધરાવતી અને ધ્રાંગધ્રાના દેસડા ગામે સાસરૂ ધરાવતી અને હાલ ત્રણેક માસથી માવતરે રહેતી મનિષા સુરેશ ડાભી (ઉ.વ.૧૮) નામની નવોઢાએ ગઇકાલે પતિ સાથે વિડીયો કોલીંગમાં વાત કર્યા બાદ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. સુરેશે વિડીયો કોલ કર્યા પહેલા પોતાના સાળા કિશોરના ફોનમાં પોતાના અને પત્નિ મનિષાના બિભત્સ ફોટા પણ મોકલ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જાણવા મળ્યા મુજબ મનિષા ડાભીએ ગઇકાલે સાંજે ઝેર પી લેતાં વાંકાનેર સારવાર અપાવ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેણીના લગ્ન ચાર મહિના પહેલા જ ધ્રાંગધ્રાના દેસડા ગામે રહેતાં સુરેશ ઉકાભાઇ ડાભી સાથે થયા હતાં. સુરેશ મોરબી ગ્લેઝ ફેકટરીમાં નોકરી કરે છે. મનિષા ત્રણ બહેન અને એક ભાઇમાં બીજી હતી.

તેણીના પિતાનું નામ દામજીભાઇ પુનાભાઇ મહાલીયા છે. તેમણે આક્ષેપો સાથે કહ્યું હતું કે લગ્નના એકાદ મહિના બાદ દિકરી મનિષાને અમે તેના મામાના ઘરે શકત સનાળા ગામે સાતમ કરવા મોકલી ત્યારે જ તેના પતિ સુરેશે કહેલું કે હવે હું કહું એમ કરવાનું, હવે એ મારી ઘરવાળી છે...તેને ગમે ત્યાં મોકલવી નહિ તેમ કહી માથાકુટ કરી હતી. ત્રણેક માસથી દિકરી અમારા ઘરે જ હતી. ગઇકાલે જમાઇ સુરેશે મારા દિકરા કિશોરના મોબાઇલમાં તેના અને મારી દિકરી મનિષાના બિભત્સ ફોટા મોકલ્યા હતાં. એ પછી મારી દિકરીએ આ ફોટા ડિલીટ કરી નાંખ્યા હતાં અને પતિ સુરેશ સાથે વિડીયો કોલથી વાત કરવા માટે તે ઘરની અગાસીએ જતી રહી હતી. કોલ પુરો થયા પછી તેણીએ ઝેરી દવા પી લીધી હતી.

આપઘાતનું કારણ અમને સ્પષ્ટ ખબર નથી. અંતિમવિધી બાદ અમે પોલીસને નિવેદન આપશું. તેમ વધુમાં દેવજીભાઇએ જણાવ્યું હતું. લગ્નના ચાર જ મહિનામાં દિકરીએ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:15 pm IST)