Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ઘોઘા - હજીરા રો-રો ફેરી સર્વિસમાં ખોટકો : કલાકો રાહ જોયા છતાં ટ્રીપ કેન્સલ થતાં મુસાફરોમાં રોષ

ભાવનગર તા. ૧૧ : ઘોઘા- હજીરા રો- રો ફેરી સર્વિસમાં ગઇ કાલે ખોટકો સર્જાતા મુસાફરો કલાકો સુધી હેરાન થયા હતા છતાં ટ્રીપ કેન્સલ કરાતા મુસાફરોમાં રોષની લાગણી ફેલાઇ હતી.

હજુ ત્રણ દિવસ પહેલા જ વડાપ્રધાને જેને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું તેવી ઘોઘા - હજીરા રો - પેકસ ફેરી સર્વિસ તેના પ્રારંભના ત્રીજા દિવસે બંધ પડી ગઈ છે . આ ફેરી સર્વિસના ભવિષ્યને લઈ મુસાફરોમાં અનેક પ્રકારની શંકાઓ ઉપજી છે . જેમાં ફેરી સર્વિસના પ્રારંભના ત્રીજા દિવસે શીપમાં ખામી સર્જાતા આ શિપ કે જે આજે બપોરે ૧૨ વાગે ઘોઘાથી હજીરા તરફ જવાનું હતું . પરંતુ ૬ કલાક મુસાફરો રઝળી પડ્યા બાદ સાંજે ૫ વાગે કેન્સલ કર્યાની શિપ મેનેજમેન્ટ વિભાગે જાહેરાત કરતા મુસાફરો રોષ સાથે પોતાના ઘરે પરત ફર્યા હતા . મુસાફરો ૧૧ વાગ્યાથી જ ઘોઘા ટર્મિનસ પહોંચી ગયા હતા વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટ એવા રો - પેકસ ફેરી સર્વિસ સાચા અર્થમાં કયારે સાકાર થશે તેવા ઉદગારો મુસાફરોના મોઢેથી નીકળવા અને એ પણ જયારે ફેરી સર્વિસના પ્રારંભને માત્ર ૪૮ કલાક જ વીત્યા છે . આ ફેરી સર્વિસના ભવિષ્ય સામે અનેક સવાલો ઉભા થયા છે . રવિવારે શરૂ થયેલી ઘોઘા - હજીરા રો - પેકસ ફેરી સર્વિસમાં ૪૮ કલાકમાં જ ખામી સર્જાઈ છે . જેમાં આ શિપ બપોરે ૧૨ વાગે ઘોઘાથી રવાના થવાનું હતું . લોકો રો - પેકસ ફેરીમાં દરિયાઈ મુસાફરીનો આનંદ માણવા ૧૧ વાગે ઘોઘા ટર્મિનસ પહોંચી ગયા હતા . પરંતુ શિપમાં ટેકિનકલ ખામી સર્જાઈ હતી . લાઈટ પણ શિપમાં બંધ રહેતા એસી સહિતની સુવિધાઓ અટકી પડતા મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘોઘા- હજીરા રો-રો ફેરી સર્વિસ શરૂ થયાના અગાઉ બે દીવસ પહેલા ટ્રાયલમાં પણ ટેકનિકલ ખામી સર્જાઇ હતી. ઉપરાંત ઘોઘા -દહેજ રો રો ફેરી સર્વિસ છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી બંધ છે.

(11:26 am IST)