Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતિ વર્ષ અંતર્ગત દિવાળી પર્વ નિમિતે ચોટીલા ખાતે વાલ્મીકિ સમાજના 'કોરોના વોરિયર' સફાઇ કામદાર ભાઇઓ-બહેનોના જરૂરીયાતમંદ પરિવારોને કીટ વિતરણ

ચોટીલા : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ મેઘાણી@૧૨૫ અંતર્ગત દિવાળીના પાવન પર્વ નિમિત્તે એમની જન્મભૂમિ ચોટીલા ખાતે વાલ્મીકિ સમાજનાં કોરોના વોરિયર સફાઈ કામદાર ભાઈઓ-બહેનોનાં જરૂરિયાતમંદ પરિવારોને ચોખા, તેલ, ચા, ખાંડ, બેસનની કીટનું વિતરણ ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં નિષ્ઠાથી ફરજ બજાવતાં પોતાનો જીવ ગુમાવીને શહીદ થનાર વાલ્મીકિ સમાજનાં સફાઈ કામદાર ભાઈઓ-બહેનોને પણ ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક અને મેઘાણી@૧૨૫ના પ્રણેતા પિનાકી નાનકભાઈ  મેઘાણી, શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના જગદીશગિરીબાપુ ગોસાઈ (ડુંગર પરિવાર), કિરીટસિંહ રહેવર  (મામા) અને મહિપતસિંહ વાઘેલા, શિક્ષણ-જગતમાંથી ઉગ્રસેનસિંહ ગોહિલ અને ભરતસિંહ ડાભી, ચોટીલા નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર સજુભા ઝાલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વાલ્મીકિ સમાજનાં ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.   રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત છે દેશભકિતના કસુંબલ રંગે રંગાયેલી ને પીડિતોની વેદનાને વાચા આપતી એમની કવિતા. ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધારમાં પણ વંચિત સમાજનાં શૌર્ય, શીલ અને સ્વાર્પણની અનેક ગૌરવગાથાઓ આલેખાયેલી છે. માણસ માત્રને ઝવેરચંદ મેઘાણી એક સમાન ગણતા. ધર્મ, જ્ઞાતિ કે અન્ય કોઈપણ ભેદભાવ રાખ્યા વગર સહુ તરફ પ્રેમ અને સમભાવ રાખતા. ૧૯૧૭માં ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ દરમિયાન વંચિત સમાજની છાત્રાલયની મુલાકાતે ગયા ત્યારે ત્યાંનાં બાળકને હાથે પાન પ્રેમથી સ્વીકારીને ખાધુ. કોલેજ અને હોસ્ટેલમાં ગણગણાટ શરૂ થઈ ગયો. તેમનો સામાજિક બહિષ્કાર પણ થયેલો જે તેમને હસતે મોઢે સ્વીકારેલો.ફાંસીને દિવસે જેલની કોટડીની સફાઈ કરતા વાલ્મીકિ સમાજના વયોવૃધ્ધ સફાઈ કામદારભાઈની હાથની બનેલી 'રોટી' ખાવાની ઈચ્છા અમર ક્રાંતિવીર શહીદ ભગતસિંહે વ્યકત કરેલી. શહીદ ભગતસિંહે અંતિમ સમયે ખાધેલી વાલ્મીકિ સમાજની આ શ્નરોટીલૃનું ઋણ અને મૂલ્ય કયારેય વીસરાશે નહિ.

(10:14 am IST)