Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

કાલથી જગવિખ્યાત તરણેતરના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ

ગુજરાતની લોકસંસ્કૃતિ અને સંસ્કારિતાનું પ્રતિક એટલે તરણેતરનો ભાતીગળ લોકમેળો : મેળામાં સ્વચ્છતા જાળવવા પ્લાસ્ટીક પર પ્રતિબંધ મુકાશે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૧ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ પાંચાળ વિસ્તારના તરણેતર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આગામી ૧૨ થી ૧૫ મી સપ્ટેમ્બર દરમિયાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો યોજાનાર છે. આ લોકમેળામાં તરણેતરની આસપાસના ગ્રામિણ લોકોની સાથે દેશ – વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. તરણેતરનો મેળો જયાં ભરાય છે એ ગામનું નામ અપભ્રંશ થતાં થતાં તરણેતર થઈ ગયું, પણ ખરેખર ત્રિનેત્રેશ્વર છે, પાંચાલ વિસ્તાર છે સૌરાષ્ટ્રનો. પ્રાગ ઐતિહાસિક કાળમાં સૌરાષ્ટ્ર વિસ્તાર દ્વિપકલ્પ હતો. એ વખતે ધીરેધીરે જે જમીન સમુદ્રમાંથી સૌથી પહેલા બહાર નિકળી અને હજારો વર્ષ કે લાખો વર્ષ સુધી ટકી રહી એ જે ટોંચનો વિસ્તાર છે તે સૌરાષ્ટ્રનો પાંચાલ વિસ્તાર છે.

પાંચાલનો ઘેરાવો બહું મોટો નથી પણ એનું સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક સંદર્ભમાં બહું મોટું મહત્વ છે. સ્કંધ પુરાણમાં એવો ઉલ્લેખ છે કે, ભગવાન વિષ્ણુંએ શિવજીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને તેમને ૧૦૦૧ કમળ ચડાવવાના હતા. મૂર્તિ ઉપર ૧૦૦૦ કમળ થઈ ગયાં અને છેલ્લું ૧ કમળ ખુટ્યું ત્યારે તેમણે પોતાનું નેત્ર શિવજી ઉપર ચડાવ્યું ત્યારથી તે ત્રિનેત્રેશ્વર કહેવાયા.

એક વાયકા મુજબ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની ફરતા કુંડમાં પાંચ ઋષિઓએ ભેગા થઈ ગંગાજીના અવતરણ માટે આહવાન કરી ગંગાજીનું પ્રાગટ્ય કર્યું. તેની પાછળનો ઉદ્દેશ પણ તેમનો કદાચ એ હોઈ શકે કે આ વિસ્તારની ગરીબ પ્રજા, અહીનું લોકજીવન કદાચ ગંગાજી સુધી હરદ્વાર કે ઋષિકેશ ન જઈ શકે તો અહીં ગંગાજી શા માટે ન આવે ? ગંગાજીના અવતરણને નિમિત બનાવી અહીં માણસો પોતાના પિતૃઓનું અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષિપંચમીના દિવસે તરણેતર આવતા થયા, એ રીતે ઐતિહાસિક રીતે મેળાની કદાચ શરૂઆત થઈ હોય તેવું અનુમાન છે.

ઋષિઓની હાજરીમાં લોકો મળે એટલે લોકજીવને ધાર્મિક રંગ ચડે. ભજન, ભજનની રાવટીઓમાં આવતા માણસો લોકગીતો દ્વારા ભગવાનની આરાધના કરતાં હશે, ભગવાન વિષ્ણુંને યાદ કરતા હશે. આમ મુખ્યત્વે ધીરેધીરે સૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિનો સમૂહ અહીંયા ભેગો થયો. એમાં ખાસ કરીને માલધારી સમાજ, મોટાભાઈ ભરવાડ, નાનાભાઇ ભરવાડ, રબારી સમાજ, તળપદા કોળી સમાજ, ચુવાળિયા ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજમાંથી ગરાસીયા દરબારો, કાઠી દરબારો આવતા. અહીંયા કોઈ ધાર્મિક ભેદભાવ ન હોઈ જતવાડમાંથી જત ડાયરો આવે, કાઠિયાવાડમાંથી કાઠી ડાયરો આવે અને બધા અહીંયા સમૂહગત રીતે ભેગા થાય.

સૌરાષ્ટ્રના ત્રણ મેળા મહત્વના છે. ભવનાથનો શિવરાત્રિનો મેળો, ઘેડ પ્રદેશમાં માધવપુરનો મેળો અને પાંચાળનો તરણેતરનો મેળો. આ ત્રણેય મેળાને વિવિધ રીતે જો વહેંચવા હોય તો એમ વહેંચી શકાય કે, તરણેતરનો મેળો છે એ રંગનો મેળો છે, માધવપુરનો મેળો એ રૂપનો મેળો છે અને શિવરાત્રિનો મેળો છે એ ભકિતનો મેળો છે. અહીં વિવિધ રંગોમાં રમતી અને આનંદ ઉલ્લાસથી પોતાની અભિવ્યકતી જાહેર કરતી, લોકજીવનને ધબકતું રાખતી પ્રજા મન છૂંટુ મુકીને મેળામાં મહાલે છે.

આ મેળામાં આવતા લોકોની તેમના પહેરવેશ ઉપરથી જ્ઞાતિ ઓળખાઈ જતી, એમનો એક આગવો પોશાક હતો, એમની પાઘડીઓ હતી. એમના સાફા હતા. એમની ચોરણીઓ, એમના ઘરેણામાં પણ વિવિધતા હતી. એ આખી જે પરંપરા હતી તે હવે માલધારી સમાજે થોડીઘણી ટકાવી રાખી છે. બાકીનો સમાજ પોતાની પરંપરાગત રૂચિ અને ઘરેણાઓ છોડતો જાય છે. આ મેળામાં ચોર ડાકુઓ પણ આવતા, બહારવટીયાઓ પણ અહીં આવતા, સંતો પણ આવતા, સાધુઓ પણ આવતા. મેળાથી મેળાનું વરસ ગણાતું.

આ વિસ્તારમાં ખાસ કરીને તળપદા કોળી જ્ઞાતિ જે પાંચાળ વિસ્તારમાં સ્થિર થયેલી છે એને તો આ તરણેતરના મેળાનો એવડો મોટો પોરહ હતો કે, એક મેળો જાય એટલે તરત જ તે બીજા મેળા સુધી એની તૈયારીમાં લાગી જતી. બળદ માટેના શણગાર બળદગાડા અને એવું કૈક સજતું રહેતું અમુક - અમુક ગામના બળદગાડા વખણાતા. મેળામાં શણગાર સજીને આવતા દરેક ગામના બળદગાડાના અલગ - અલગ ઉતારા રહેતા. એ ઉતારામાં લોકો ત્રણ દિવસ સુધી સતત રોકાય, આનંદ કરે.

મેળાને પણ ભૌગોલિક રીતે ત્રણ રીતે વહેંચી શકાય એમ છે. મંદિરથી પૂર્વ બાજુ જે તળાવ છે, એ  તળાવમાં જીવન ખીલતું હોય તેમ જીતેલા જેને કમળ સાથે સરખાવી શકાય તેવા ફૂલો એ વખતે ખીલ્યા હોય છે. આપણને એમ થાય કે અહીંથી જીવન શરૂ થાય છે અને એ જીવનની ગતિ તળાવના કાંઠે આવે એટલે યૌવન સ્વરૂપે રમવા માંડે છે. બચપણ યૌવનમાં રમે અને યૌવન બચપણમાં રમતું હોય એવું તાદ્રશ ત્યાં ખડુ થાય. થોડી ઉમર વધે એટલે બજાર આવે. જયાં વ્યવહાર કરાતા હોય, ખરીદી થાય, ખરીદી કેમ કરવી એ શિખવામાં આવે, પ્રૌઢાવસ્થા ઢળતી થાય એટલે મંદિરમાં દર્શન થાય છે. દર્શન કરી અને મેળો પશ્ચિમ બાજુ જયાં પૂરો થાય ત્યાં રાવટીઓ હોય. ઉત્તરાવસ્થામાં રાવટીઓમાં ભજન કરીને મેળો પુરો થતો હોય. દરેક ઉંમર પ્રમાણેનો આ મેળો ભરાતો હોય છે.

પાંચાળ વિસ્તાર જોરૂકા માણસોનો વિસ્તાર છે. અહીં પ્રજા ખડતલ છે. પણ રમત ગમતનું પ્રમાણ બહું ઓછું, ગ્રામીણ રમતો એક જમાનામાં જે રમાતી એ ધીરે ધીરે ગામડાઓમાં લુપ્ત થતી ગઇ. જેને પુનઃજીવંત કરવા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતે પહેલ કરી, તરણેતરના મેળામાં સીધે સીધો રસ લીધો  જેના ફલસ્વરૂપે જે – તે સમયે તરણેતરના મેળાની કમિટીના ચેરમેનશ્રી વગેરેએ મેળામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતને જરૂર હતી એ પ્રમાણનું પંચાયત સાથે રાખીને સ્થાનિક આગેવાનોના સહકારથી ગ્રામ્ય રમતોત્સવનું આયોજન કર્યું.

આ તરણેતરના લોકમેળામાં રાજય સરકારે  બીજુ મહત્વનું પગલું ભર્યુ પશુ પ્રદર્શન હરીફાઇ યોજીને રાજયના પશુપાલન વિભાગ દ્વારા ૨૦૦૮ના વર્ષથી મેળામાં પશુ પ્રદર્શન અને હરિફાઇનો પ્રારંભ કરવામાં આવ્યો જેના કારણે મેળામાં આવતાં પશુપાલકો પશુઓની ઓલાદોના શ્રેષ્ડ પશુઓને નજીકથી નિહાળી પશુઓના માલિકો સાથે શ્રેષ્ઠ ગુણધર્મોવાળા પશુઓ અને તેના થકી મળતું ઉચ્ચ વળતર તથા તેમનું સારામાં સારી રીતે પાલન કેવી રીતે કરી શકાય તે બાબતેનું જ્ઞાન મેળવતાં થયાં. ઉચ્ચ ગુણધર્મો વાળા પશુઓના બચ્ચાની ખુબ જ સારી કિંમત ઉપજતી હોય, સારા ગુણોધર્મોવાળા પશુઓ રાખવાથી થનાર ફાયદાઓ પશુપાલકોએ નજરે નિહાળ્યા અને તેના કારણે સામાન્ય પશુપાલકો પણ સારી ઓલાદના પશુઓ પાળવા પ્રેરાયા. જેની ખૂબ સારી અસર ગ્રામ્ય જીવન ઉપર થવા પામી છે.

ચાર દિવસ સુધી ચાલતા આ મેળામાં આરોગ્યની સાથેસાથે સ્વચ્છતા પણ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા વહિવટીતંત્રે પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ મુકયો છે અને મેળાના મુલાકાતીઓને પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણીના ૩૦ સ્ટેન્ડ ખાસ મુકવામાં આવશે.

આ ઉપરાંત આપણી સંસ્કૃતિમાં દર્શાવેલ વાજીંત્રોનું અસ્તિત્વ ટકીર હે તે માટે રાવણ હથ્થા જેવા સંગીતના વાદ્યની હરીફાઈ રાખવામાં ચાલુ વર્ષે રખાશે.

આમ જોવા જોઇએ તો, આ લોકમેળામાં સાચા અર્થમાં લોક સંસ્કૃતિ જીવંત રહે, લોકજીવન ધબકતું રહે તે માટે રાજય સરકાર દ્વારા સમયાંતરે અનેકવિધ પ્રયાસો થયા છે, જેના કારણે આજે તરણેતરનો આ  ભાતીગળ મેળો દેશના સિમાડાઓ વટાવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મેળો બન્યો છે.

(9:23 am IST)