Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિતે વાલ્મીકી સમાજના કોરોના વોરિયર્સના પરિવારોને કિટ અર્પણ

રાજકોટ તા. ૧૧ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૪મી જન્મજયંતી (૨૮ ઓગસ્ટ ૨૦૨૦) નિમિત્તે વંચિત સમાજ, નિરાધાર વિધવા બહેનો, વિચરતી જાતિ સમુદાય, દિવ્યાંગ – વિકલાંગનાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને અન્ય જીવન-ઉપયોગી સામગ્રીની કીટ વિતરણનો સેવાયજ્ઞ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યો છે.આ અંતર્ગત ફરજ પર કોરોનાને લીધે શહીદ થયેલા વાલ્મીકિ સમાજના 'કોરોના વોરિયર' સફાઈ કામદાર ભાઈઓ-બહેનોનાં જરૂરીયાતમંદ પરિવારોને એક કીટમાં રૂ. ૨૫૦૦ની ઉચ્ચ ગુણવત્તાની ૪૦ કીલો જેટલી સામગ્રી : ઘઉ, ચોખા, તુવેરની દાળ, મગ, ચણા, મગની ફોતરાવાળી દાળ, શીંગ તેલ, ચા, ખાંડ, બેસન, મીઠું-મરચું-હળદર-ધાણાજીરૂ વગેરે ભેટ આપવામાં આવ્યા.

આ અવસરે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, વાલ્મીકિ સમાજના અગ્રણીઓ કે. સી. વાઘેલા (વાલ્મીકિ યુવા ઉત્થાન મિશન), ગંગારામભાઈ વાઘેલા (ભજનિક-લોકગાયક), કિશોરભાઈ સોલંકી (રાષ્ટ્રીય દલિત પિછડા વર્ગ – ગુજરાત પ્રદેશના મહામંત્રી) અને જગદીશભાઈ વાઘેલા (ભાજપ – કર્ણાવતી મહાનગર – સાબરમતી વોર્ડના મંત્રી), શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટીના કિરીટસિંહ રહેવર (મામા) અને મહિપતસિંહ વાઘેલા, ખાદી-રચનાત્મક કાર્યકર ગોવિંદભાઈ જાદવ, એન.આઈ.ડી.સી. (દિલ્હી)ના નિવૃત્ત્। ચીફ એન્જિનિયર જગજીવનભાઈ પ્રભુદાસ ગોહિલ (સુદામડાવાળા), ચોટીલા સરકારી તાલુકા પુસ્તકાલયના અનિશભાઈ લાલાણી ઉપસ્થિતિ રહ્યા હતા. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)નો સંપર્ક કરી શકાશે.    રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત છે દેશભકિતના કસુંબલ રંગે રંગાયેલી ને પીડિતોની વેદનાને વાચા આપતી એમની કવિતા. ઝવેરચંદ મેઘાણી કૃત 'સૌરાષ્ટ્રની રસધાર'માં પણ વંચિત સમાજનાં શૌર્ય, શીલ અને સ્વાર્પણની અનેક ગૌરવગાથાઓ આલેખાયેલી છે. માણસ માત્રને ઝવેરચંદ મેઘાણી એક સમાન ગણતા. ધર્મ, જ્ઞાતિ કે અન્ય કોઈપણ ભેદભાવ રાખ્યા વગર સહુ તરફ પ્રેમ અને સમભાવ રાખતા. ૧૯૧૭માં ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ દરમિયાન વંચિત સમાજની છાત્રાલયની મુલાકાતે ગયા ત્યારે ત્યાંનાં બાળકને હાથે પાન પ્રેમથી સ્વીકારીને ખાધુ. કોલેજ અને હોસ્ટેલમાં ગણગણાટ શરૂ થઈ ગયો. તેમનો સામાજિક બહિષ્કાર પણ થયેલો જે તેમને હસતે મોઢે સ્વીકારેલો.ફાંસીને દિવસે જેલની કોટડીની સફાઈ કરતા વાલ્મીકિ સમાજના વયોવૃધ્ધ સફાઈ કામદારભાઈની હાથની બનેલી 'રોટી'ખાવાની ઈચ્છા અમર ક્રાંતિવીર શહીદ ભગતસિંહે વ્યકત કરેલી. શહીદ ભગતસિંહે અંતિમ સમયે ખાધેલી વાલ્મીકિ સમાજની આ 'રોટી'નું ઋણ અને મૂલ્ય કયારેય વીસરાશે નહિ.

આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(11:55 am IST)