Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

કાલથી શ્રાવણ મહિનાનો પ્રારંભઃ શિવાલયોમાં વિશેષ પૂજન-અર્ચન

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગામે-ગામ શિવમંદિરોમાં ભાવિકો ઉમટી પડશે : અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો

રાજકોટ તા.૧૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં કાલે શ્રાવણ મહિનાના પ્રારંભે શિવાલયોમાં ભાવિકોની ભીડ જામશે. શ્રી સોમનાથ મહાદેવ (વેરાવળ) શ્રી ઘેલા સોમનાથ (જસદણ) શ્રી જડેશ્વર મહાદેવ (વાંકાનેર) સહિત ગામે ગામ એક મહિના સુધી શ્રાવણ મહિના નિમિતે વિશેષ પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેર

વાંકાનેર : અહીયા ૧૦ કી.મી. દૂર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરમાં આખો શ્રાવણ મહિનો અહીયા ભૂદેવો રોકાય છે અને જડેશ્વર દાદાની પૂજા અર્ચના કરે છે. ભજન કરે છે તેમજ વાંકાનેર - મોરબી તેમજ આજુબાજુના ગામડાઓમાંથી વિશાળ સંખ્યામાં દાદાની પૂજા કરવા દરરોજ સવારે આવે છે. તેમજ શ્રાવણ માસ દરમિયાન રાજકોટ - જામનગર - વાંકાનેર - મોરબી તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી ભાવિક ભકતજનો સ્વયંભુ શ્રી જડેશ્વર મહાદેવદાદાના દર્શનાર્થે પધારીને તન - મનને શાંતી મેળવી ધન્યતા અનુભવે છે.

શ્રાવણ માસના બીજા સોમવારે સ્વયંભુ શ્રી જડેશ્વર મહાદેવનો પ્રાગટય દિવસ હોય શ્રાવણ માસના બીજા સોમવારે દર વર્ષે મેળો ભરાય છે. આ દિવસે મંદિરના પરિસરમાંથી વાજતે ગાજતે જય જય કારના ઘોષથી જડેશ્વર દાદા મૂર્તિની પાલખી શોભાયાત્રા નીકળે છે. શ્રાવણ માસના બીજા સોમવારે દાદાના દર્શનાર્થે વિશાળ માનવ મહેરામણ ઉમટે છે. આગલા દિવસે રવિવારે લોકમેળાનો પ્રારંભ થાય છે. રવિવાર સોમવાર બે દિવસ મેળો ભરાય છે. દાતાશ્રીઓ વરસથી આખો શ્રાવણ માસ ભૂદેવોના ભંડારા થાય છે. તેમજ સ્વયંભુ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર દ્વારા ભાવિક ભકતજનો માટે પણ પ્રસાદની વ્યવસ્થા હોય છે. આખો માસ રૂદ્રાભિષેક,લઘુરૂદ્ર, ધ્વજારોહણવિધિ જેવા ધાર્મિક કાર્યક્રમો થાય છે. તેમજ ટેકરીના રડીયામણા વાતાવરણ વચ્ચે ઢોલ નગારાને શંખોદ્વાર સાથે સ્વયંભુ શ્રી જડેશ્વર મહાદેવદાદાની આરતી ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે થાય છે. આખો માસ સવારના ઁ નમઃ શિવાય અને હર હર મહાદેવના નારાથી શિવાલય ગુંજી ઉઠી છે. મંદિર પરિસરમાં શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર સદગુરૂદેવ સાંઇબાબાનું મંદિર તેમજ અનેક દેવી દેવતાઓની મુર્તિ બિરાજમાન છે. મંદિરના મહંત શ્રી રતિલાલજી મહારાજ તથા ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવે છે.

ગોંડલ

ગોંડલ : શ્રાવણ માસમાં તા. ૧૨-૮-૨૦૧૮ રવિવારથી ભાવિકો પ્રથમ શિવપુજા માટે ઠેર ઠેર ભગવાન શ્રી શિવજીના મંદિરોમાં શિવભકતોની સવારથી જ પૂજન અર્ચન દર્શન આરતીઓ માટે પુરા માસ દરમિયાન રાત્રી સુધી ખૂબ ખૂબ જ ભીડ રહે છે. ગોંડલના પ્રસિધ્ધ શિવ મંદિરો, શ્રી સુરેશ્વર મહાદેવ મંદિર, ધારેશ્વર મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, રામેશ્વર મંદિર, પંચનાથ મંદિર, નિલકંઠ મંદિર, ગોપનાથ મંદિર, કુબેરનાથ મંદિર, ભીમનાથ મંદિર, ભવનાથ મંદિર, જાગનાથ મંદિર, હાટકેશ્વર મંદિર, મંગલેશ્વર મંદિર, પીપળેશ્વર મંદિર, તત્રેશ્વર મંદિર, ભીડભંજન મંદિર, જડેશ્વર મંદિર, બુઢ્ઢેશ્વર મહાદેવ મંદિર, કોટેશ્વર મંદિર, નાગનાથ મહાદેવ મંદિર વગેરે શ્રી શિવજીના મંદિરોમાં પૂજારીઓ, ભૂદેવો, મહંતો, ભકતો અભિષેક લઘુરૂદ્ર આરતીઓ, દિપમાળાઓ, મહાપૂજાનો ધર્મલાભ આપે છે. શિવભકતો મેળવે છે. ગોંડલમાં શિવમયી વાતાવરણ ખડુ થાય છે. તેમ શ્રી શિવ પરિવારના અગ્રણી દિનેશચંદ્ર વિઠ્ઠલદાસની યાદી જણાવે છે.

શ્રી શિવ પરિવાર દ્વારા શ્રી ભીડભંજન મહાદેવના મંદિરમાં શ્રાવણ માસના ચારેય સોમવારે રાત્રીના ૧૦ થી ૧૨ વાગ્યા સુધી ભવ્ય ધૂન, સંકિર્તનનો કાર્યક્રમ યોજાયેલ છે. જેમાં શાસ્ત્રી ભજનીક નટુભાઇ રાવલ, મહેશભાઇ, ભીખુભા જાડેજા, જયકરભાઇ ખજુરવાળા, રાજુભાઇ, અરવિંદભાઇ પટેલ અને રાજકોટના વિનુભાઇ મિસ્ત્રી, દિલીપ પોપટ, કમલજી ચંદારાણા વગેરે ઉપસ્થિત રહેનાર છે અને દરેક પ્રહરોની મહાપુજાઓ થશે તેમ ભકત કમલભાઇ પુજારીની યાદી સાથે વસંત મહારાજ પુજારીની યાદીમાં જણાવે છે.(૪૫.૮)

(11:53 am IST)