Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

શ્રાવણે શિવદર્શનમ્

ગોંડલ નજીક બિરાજમાન શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરનો મહિમા

શિવભકતોની શ્રધ્ધાના કેન્દ્રનું શિવાલય એટલે ગોંડલથી ચારેક કી.મી. દૂર આવેલુ શ્રી ધારેશ્વર મહામંદિર અઢીસો વર્ષ પુરાણા મનાતા આ શિવાલયમાં પવિત્ર શ્રાવણ માસનું વાતાવરણ શિવમય બની જાય છે તો આસપાસની લીલુડી ધરતી નૈસર્ગિક સૌદર્ય સાથે ભકિત અને શાંતિનો સંગમ સર્જે છે.

રાજાશાહી વખતમાં આ મંદિર માટે સ્ટેટ દ્વારા ૧૫૦ વિઘા જમીન આપવામાં આવેલી. પૂજાવત્સવ રાજવી સ્વ.સરશ્રી ભગવતસિંહજીનો દર સોમવારે અહી દર્શનાર્થે આવવાનો ક્રમ હતો. સમયાનુસરે મંદિરનો પણ વિકાસ થવા લાગ્યો. તા.૨૭-૮-૭૩ના રોજ ગોંડલના સખાવતી કોન્ટ્રાકટર શ્રી રાણાભાઇ હમીરભાઇએ ધામધૂમે હોમાત્મક મહારૂદ્ર કરાવ્યો, સાથે સાથે મંદિરનો જીર્ણોધ્ધાર પણ થયો. બાદમાં તા.૧૮-પ-૦૯ના રોજ ગોંડલના જ પીઠ કર્મકાંડી શાસ્ત્રીશ્રી મણીશંકર લાલજીભાઇ પંડયા દ્વારા પણ મહારૂદ્ર સંપન્ન થયો. વર્તમાન મહંત પૂજારીશ્રી ગુણવંતગીરીજી બાપુ અહી સેવા પુજા વગેરે કાર્યો કરે છે. જે પાંચમી પેઢી ગણાય છે. અગાઉની પેઢી માંહેના અગિયાર પૂર્વજોને અહી જ સમાધી આપવામાં આવી છે.

વિશાળ ચોગાન ધરાવતા આ પરિસરમાં અંબાજીનું મંદિર પણ છે. તદુપરાંત ગોંડલના પ્રખ્યાત ગૌપ્રેમી સંત સ્વશ્રી રામગરબાપુનુ સ્મૃતિ મંદિર અહી બનાવાયુ હોવાથી ગૌસેવકોની ઉપસ્થિત પણ વિશેષ હોય છે. અત્યારે જયા યજ્ઞકુંડ છે ત્યા ભોયરૂ હતુ અને તેમા અગાઉના મહંતો ધૂણો ધખાવી અલખ જગાવતા. બાલક્રિડાંગણના સાધનો હોવાથી ભૂલકાઓને પણ ભારે મોજ પડે છે. આમ શ્રાવણ માસ સિવાય પણ વાર તહેવાર કે રજાના દિવસોએ માનવ મહેરામણ ઉમટે છે.

ભીલવાડા (રાજસ્થાન) પંથકમાંથી શ્રી બાલકૃષ્ણ શર્મા નામના બ્રાહ્મણ છેલ્લા ૩૫ (પાત્રીસ) વર્ષથી શ્રાવણ માસ દરમિયાન અહી આવે છે અને આખો શ્રાવણ માસ દરરોજ પાર્થેશ્વર શીવલીંગની સ્થાપના કરે છે અને શ્રાવણ માસ પુર્ણ થતા વતન પરત જાય છે.

દર વર્ષે મહાશિવરાત્રી અને શ્રાવણ માસની અમાસનો ઉત્સવ ઉજવાય છે. અહી આવેલા લીમડાના વૃક્ષો પૈકી એક લીમડામાં મીઠી ડાળ છે. જેને ભકતો શિવજીનો સાક્ષાત્કાર માને છે. આ પવિત્ર અને રમણીય સ્થળની પસંદગી વિવિધ મંડળો, સંસ્થાઓની બેઠકો, વિદાય સમારોહ, લગ્ન સમારોહ તેમજ ધાર્મિક કાર્યો માટે પણ કરવામાં આવે છે.

અહેવાલ : હરેશભાઇ ગણોદિયા તસ્વીર : હર્ષ એસ.હાથી ગોંડલ

(11:31 am IST)