Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

લંડન, સિંગાપોર પછી અખાતી દેશ મસ્કતમાં કચ્છની કેસર કેરીની ડિમાન્ડ

બાગાયતી ખેતી થકી કચ્છના ખેડૂતો બન્યા સમૃધ્ધ : સરકારી યોજનાઓનો લાભ મેળવતા કચ્છના ધરતીપુત્રોની મહેનત : સુઝબુઝ થકી ખેતરમાંથી સીધો જ માલ બજારમાં પહોંચે છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : ખેડૂત માટે સૌથી મોટો પડકાર હોય છે, તેમના પાકનો યોગ્ય ભાવ મળવો!! આ પડકારને ઝીલીને પોતાના પાકનો યોગ્ય ભાવ મેળવી કચ્છના પ્રગતિશીલ ખેડૂતો સમૃદ્ઘ બન્યા છે. જોકે, આ હકીકતને શકય બનાવવા સરકારના પ્રયત્નોનો ઉલ્લેખ કરવો જરૂરી છે. સરકારના બાગાયત ખાતાના ચાર પાયાના વિચાર કચ્છના અનેક પ્રગતિશીલ ખેડૂતોએ અપનાવ્યા છે. આ વિચારો છે, બાગાયતી ખેતી અપનાવો, ગામડાઓને સમૃદ્ઘ બનાવો, યશસ્વી કારર્કિદી ઘડી તગડો નફો મેળવો. આ ચારેય વિચારોના પ્રથમ અક્ષરથી બને છે 'બાગાયત'!!

આ ચારેય પાયાની બાબતો કચ્છના પ્રગતિશીલ ખેડૂતો સાર્થક કરી રહયા છે. વર્ષ ૨૦૧૯-૨૦ ના આંકડાઓ પ્રમાણે કચ્છમાં ૧ લાખ ૪૩ હજાર હેકટરમાં ખેડૂતો બાગાયતી ખેતી કરી રહયા છે. ૫૬ હજાર હેકટરમાં ફળઝાડ, ૧૪ હજાર હેકટરમાં શાકભાજી અને ૭૨ હજાર હેકટરમાં મસાલા પાક લઇ રહયા છે. જયારે

અત્યારે ૧૩ હજાર હેકટરમાં કેરીનું ઉત્પાદન થવાનો અંદાજ છે. જેમાં ૯૦ ટકા પાક કેસર કેરીનો છે અને ૧૦ ટકા અન્ય આંબા જેવાં કે, આલ્ફાન્સો, આમ્રપાલી, સોનપુરી, તોતાપુરી, દેશીઆંબાનો છે. ખેડોઇમાં જમ્બો કેસર વગેરેનો પાક હાલે મે થી જુન માસ દરમ્યાન બજારમાં લોકો સુધી સ્વાદ અને સોડમ લઇ પહોંચે છે. કચ્છના મદદનીશ બાગાયત અધિકારી કે.પી.સોજીત્રા કહે છે કે, ' સ્વાદ ગુણવતાના પગલે કચ્છની કેસર કેરી વિશ્વ પ્રખ્યાત છે. પ્રગતિશીલ ખેડૂતોએ સરકાર દ્વારા ફળઝાડ વાવેતર વિસ્તાર, ગ્રીન હાઉસ, નેટ હાઉસ અને પેક હાઉસ માટેના પ્રોત્સાહનનો ભરપુર લાભ લીધો છે. સરકાર આ ઉપરાંત પણ વિવિધ સહાયો આપે છીએ. હાલે ખેડૂત આઇ પોર્ટલ ખુલ્લું હોઇ ખેડૂતો પોર્ટલના માધ્યમથી વિવિધ સહાયનો લાભ લઈ શકે છે.'

કેરી માટે કચ્છના અંજાર તાલુકામાં ખેડોઈ, ખંભરા, નખત્રાણા તાલુકાના ખીરસરા, રોહા, વેસલપર અને ભુજ તાલુકામાં રેલડી, વાવડી, આણંદપર, બીરાસર, તળાવળા અને દહીંસરા તેમજ માંડવી તાલુકાના ગઢશીશા, મોટી મઉ, નાની મઉ અને દેવપુર ગામો પ્રખ્યાત છે. જેમાં ગઢશીશા વિસ્તાર એ કેસર આંબાનું પોકેટ (વાવેતર વિસ્તાર) કહેવાય છે.

ગઢશીશા વિસ્તારના અને કેસર આંબાને પરદેશમાં અને હાલે મસ્કતમાં માર્કેટ ઉભું કરનાર અને ગુણવત્તાના મસ્કત સરકારના ૨૮૬ માપદંડોથી કેસરને પ્રમાણિત કરી કચ્છી કેસરની આગવી શાખ ઉભી કરનાર પ્રયોગશીલ અને પ્રગતિશીલ ખેડૂત બટુકસિંહ જાડેજાએ પોતાના નાનકડા એવા મઉ ગામમાં 'બાગાયત' ખેતીને સાચા અર્થમાં સમૃદ્ઘિમાં પરિવર્તિત કરી છે !! બટુકસિંહ જાડેજા 'બાગાયત' ખેતી માટે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ અને રાજય સરકાર દ્વારા અપાતી સહાય પૈકી વિવિધ પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર, ટીસ્યુકલ્ચર છોડથી ખારેકની ખેતીમાં વધારો, માર્કેટિંગ માટે પેકીંગ મટીરીયલ્સ, કો૯ડરૂમ વ્યવસ્થા માટે સબસીડીનો લાભ મેળવી ચૂકયા છે.

હાલે ગઢશીશા વિસ્તારમાં મોટી મઉ ખાતે ૨૫૦ એકર જમીનમાં ડ્રીપ ઈરીગેશન, પેકહાઉસ, સ્ટોરેજની સહાયથી આ પ્રયોગશીલ ખેડૂત મસ્કતની માર્કેટમાં કચ્છની કેસર કેરી ખવડાવી રહયા છે.

આ પ્રગતિશીલ ખેડૂતે ૨૦૦૪માં સૌ પ્રથમ કચ્છની કેસર વિદેશમાં લંડનમાં પહોંચાડી હતી. ૨૦૦૬માં સિંગાપુરમાં ટ્રાન્સપોર્ટ કરી હતી. જેની નોંધ લઇ હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇમોદીએ તે સમયે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ૨૦૦૬માં નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા સિંગાપુરમાં ગુજરાતના ખેડૂત પ્રતિનિધિ તરીકે હાજર રહી પ્રથમ આવ્યા હતા.

આ પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂત અન્ય ખેડૂતનો પ્રોત્સાહિત કરતા કહે છે કે, ઓર્ગેનિક ખેતી કરો, રસાયણ મુકત જમીન કરો, સરકારી યોજનાના લાભ લો અને વૈજ્ઞાનિક આધુનિક પધ્ધતિનો ઉપયોગ કરો.'

તેમના શબ્દોમાં જ કહીએ તો 'વરસો પહેલાં ખેડુતોને કોઇ પૂછતું નહોતું. પણ, આજે ખેડૂતો અને ખેતી બન્નેની નોંધ લેવાય છે. પોતે અનુભવ અને નિરીક્ષણ દ્વારા વાતાવરણ, જમીન, પાણી સાથે પ્રયોગ કરી મબલખ પાક લેતા હોવાનું બટુકસિંહ જાડેજા કહે છે. જોકે, સરકાર દ્વારા ઘરઆંગણે આવી ખેડૂતોને માર્ગદર્શન આપી સહાય કરતા કૃષિરથ, કૃષિ મહોત્સવનો મહત્ત્।મ ફાળો છે!!

ઘેર બેઠાં કૃષિ મહોત્સવ થકી સરકારે ખેડૂતોને સધ્ધર કરવા જમીનના સોઇલ ટેસ્ટ , વાતાવરણ, ઓર્ગેનિક ખેતી, આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પધ્ધતિથી કરવાના ઉપાયો બતાવવાય છે. જેના પગલે ભણેલાં ગણેલા યુવાનો પણ ખેતી તરફ વળ્યા છે. વિષમ વાતાવરણ અને પ્રતિકુળ પરિસ્થિતિઓ વચ્ચે પણ ખેડૂતો અને આજના યુવાઓ વિવિધ ખેતી કરી રહયા છે.

ખેડૂત આઇ પોર્ટલનો લાભ લઇ દરેક ખેડૂતે પોતાના પાકની ગુણવત્ત્।ા અને પ્રમાણને ઉત્ત્।મ બનાવવા જ જોઇએ. જેથી માર્કેટ ખેતરમાં આવે ખેડૂતે માર્કેટમાં જવાની જરૂર ના પડે. આપણો માલ જ આપણું માર્કેટીંગ કરે અને માર્કેટ સામે આવી તમને મોં માંગ્યા દામ આપે જેથી ઘરઆંગણે ખેડૂતને સધ્ધર કરવાનો સરકારનો અને ખેડૂતોના પોતાના સંકલ્પ પણ સાકાર થઇ શકે છે.

હાલે કચ્છમાંથી આંબા, ખારેક, પપૈયા, સ્ટ્રોબરી, ડ્રેગનફુટ, પપૈયા વગેરેની મોટી માંગ અન્ય બજારોમાં છે.

'વસતી વધવાની છે જમીન નહીં આથી દરેક ખેડુતને હું અનેકોવાર મીટીંગો અને વ્યકિતગત રીતે પણ કહું છું. પાણી, હવા, વાતાવરણ, જમીનનો અને પાકનો કયાસ કાઢવો ઓછી મજુરી અને પાણી તેમજ ગુણવત્તાયુકત પાક પકવીને ચીલાચાલુ ખેતી પધ્ધતિ બદલી આધુનિક ખેતી કરવી વધુ ફાયદાકારક છે.'

(10:23 am IST)