Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

વાવાઝોડાનો ખતરો-સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ૧૧ ટુકડી તૈનાતઃ વિજયભાઇ

ગીર સોમનાથ જીલ્લા કલેકટરની રજા રદ કરીને તાત્કાલીક ફરજ ઉપર હાજર થવા આદેશ

'વાયુ' વાવાઝોડુ ગુરૂવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં આવવાની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઈ ગયુ છે અને ગુજરાતમાં ૨૨ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ વાવાઝોડાના પગલે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારીઓને હેડ કવાર્ટર ન છોડવા સૂચના આપી છે. રાજકોટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાખા દ્વારા એનડીઆરએફની ટીમની આગેવાનીમાં રાહત અને બચાવ કામગીરી માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જે તસ્વીરમાં નજરે પડે છે.

વેરાવળ-પ્રભાસ પાટણ તા. ૧૧: આગામી તા. ૧ર જુનથી સૌરાષ્ટ્રના દરિયા કાંઠે વાવાઝોડા ત્રાટકવાની સંભાવના હોવાના પગલે રાજય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે દરિયા કિનારાના જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ કરી સાબદુ રહેવા સુચના આપી હોવાનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવતા વધુમાં કહેલ કે, રાજય સરકારે સંભવીત વાવાઝોડાના ખતરાને ધ્યાને લઇ એન.ડી.આર.એફ.ની ૧૧ ટીમોને સતર્કતાના ભાગરૂપે બોલાવી છે.

આ ટીમો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે અને જરૂર પડશે તો અર્ધલશ્કરી દળોની ટીમો પણ બોલાવાશે. સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતા ગીર સોમનાથના જિલ્લા કલેકટર હાલ રજા પર હોય જે વાત ધ્યાને લઇ મુખ્યમંત્રીએ તેમની રજા રદ કરી તાત્કાલીક અસરથી ફરજ પર આવવા આદેશ કર્યો હોવાનું જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સંભવિત આફતવાળા વિસ્તારોમાં સ્થાનિક કક્ષાએ જરૂરી તમામ તકેદારી રાખી આફતમાં નુકસાન ન થાય તે માટેની તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા આદેશો કરાયા છે.

ગુજરાતના વેરાવળથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં ૯૩૦ કિ.મી. દૂર વાવાઝોડું આકાર લઇ રહ્યું છે. જેની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે એક સમીક્ષા બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ બેઠકમાં શ્રી પંકજકુમારે રાજયના વિવિધ વિભાગોને સંકલનમાં રહીને સંભવિત વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા માટે એક માઇક્રો પ્લાનીંગ તૈયાર કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ભારતના હવામાન ખાતાના હવામાનશાસ્ત્રી શ્રી જયંત સરકારે વાવાઝોડાની સ્થિતિ વિશે વિશેષ માહિતી આપી હતી. જે મુજબ વેરાવળથી દક્ષિણ-અગ્નિ દિશામાં ૯૩૦ કિ.મી. દૂર જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને આગામી ૧ર તારીખ સુધીમાં તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરવાની પૂરી સંભાવના છે. આ વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાઇ-કાંઠાળા વિસ્તારને વધુ અસર કરશે. વાવાઝોડા દરમિયાન સમુદ્રના મોજાં બે મીટરથી વધુ ઉછળવાની સંભાવના છે. પવનની ઝડપ ૮૦ કિ.મી.થી વધીને ૧૦૦ કિ.મી.  સુધી પહોંચવાની સંભાવના છે. કેટલાંક વિસ્તારોમાં પાંચ-સાત ઇંચ જેટલો ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે.

સંભવિત વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે રાજય સરકાર ભારતના હવામાન ખાતા અને ઇસરો સાથે સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. ખાસ કરીને રાહત-બચાવ કામગીરી કરનારી એજન્સીઓ, લશ્કર, હવાઇદળ, તટરક્ષક દળ, નેશનલ ડિઝાસ્ટર રેસ્કયુ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રેસ્કયુ ફોર્સને સજજ કરવામાં આવ્યા છે. દરિયામાં માછીમારી માટે ગયેલી અને પરત ફરી રહેલી બોટ ઝડપથી પાછી દરિયાકાંઠે સલામત જગ્યાએ આવી જાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ પ્રવાસીઓને દરિયા કિનારે કે બીચ ઉપર સહેલગાહે નહીં જવા પણ જણાવાયું છે.

રાજય સરકારે વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા આગોતરૃં સઘન આયોજન હાથ ધર્યું છે. જેની વિગતો આપતા અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે વધુ માહિતી આપી હતી. તેમણે વીજળી, રસ્તા, મકાનો, વૃક્ષો વગેરેના નુકસાનને પહોંચી વળવા સંભવિત વિભાગોને સંકલનમાં રહી સજજ થવા સુચના અપાઇ છે. જરૂર પડયે સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાળા વિસ્તારમાં વાવાઝોડાની સ્થિતિ સામે રાહત-બચાવ કામગીરી અને સંભવિત સ્થિતિના સામના માટે મોકડ્રીલ કરવા સંબંધિત વિભાગોને જણાવાયું છે. આ વિસ્તારના નાગરિકોને સાવચેત રહેવા, જીવન જરૂરી ચીજ વસ્તુઓ, પીવાનું પાણી, દવા-ચાર્જીંગ કરેલી બેટરી વગેેરે હાથવગા રાખવા અને દરિયા નજીક નહીં જવા પણ જણાવાયું છે.

આ બેઠકમાં લશ્કર, હવાઇદળ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત રાજય સરકારના સંબંધિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને ઉપસ્થિત રહી સંભવિત વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે સમીક્ષા કરી હતી.

(3:50 pm IST)