Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

પાલીતાણાના વડાલ ખાતે એશિયાટિક લાયન કેર સેન્ટર

તા.૧૧:   પાલીતાણા તાલુકાના વડાલ ખાતે  વન, આદિજાતિ વિકાસ તથા મહીલા અને બાળ વિકાસ વિભાગના મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા દ્વારા વન્ય જીવોના સંરક્ષણ માટે અતિ આધુનિક એવા એશિયાટિક લાયન કેર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ સેન્ટરમાં ફુલટાઈમ વેટરનીટી ડોકટર,લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર,તેમજ એનિમલ કીપર હાજર રહેશે.ઉપરાંત આ કેન્દ્રમાં વન્યપ્રાણીઓના બચાવ માટે ટ્રાંકીલાઇઝિંગ ગન,લેબોરેટરી,એકસ રે,ઓપરેશન થિયેટર,પોસ્ટમોર્ટમ રૂમ,આધુનિક પિંજરા વગેરે જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.

 વનમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે વન્યજીવો ના રેસ્કયુ તેમજ સારવાર માટે આ સેન્ટર આશીર્વાદ રૂપ સાબિત થશે. વન્ય જીવોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૦૦ કરોડ તથા ગુજરાત સરકાર દ્વારા ૨૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે અને વન્યજીવોની તકેદારી માટે સરકાર હંમેશ જરૂરી પગલાં લેવા કટિબદ્ઘ છે અને તેથી જ એક સમયે માત્ર ૧૮ ની સંખ્યા પહોંચી ગયેલી સિંહોની સંખ્યા આજ ૬૦૦ ને પાર થઈ ચૂકી છે.  સાસણ પર પર્યટકોનું ભારણ ન વધે તે માટે સાસણમાં શરૂ કરાયેલ નવા સફારી પાર્ક જેવો જ સફારી પાર્ક સિહોર ખાતે પણ શરૂ કરવાની જાણકારી આપી હતી.તેમજ આ કાર્યક્રમમાં વન્યપ્રાણીઓ દ્વારા મારણ કરાયેલા પશુ માલિકોને વળતરરૂપે ચેક અર્પણ કરાયા હતા.

પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુંબેન મકવાણા, વન વિભાગના અગ્ર વન સંરક્ષક ડો. ડી.કે.શર્મા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન નાગજીભાઈ વાઘાણી વગેરે અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:57 am IST)