Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

મોરબીમાં હવે મ્યુકરમાઇકોસિસના ઇલાજ માટેના ઇન્જેકશનો ના મળતા હોવાથી દર્દીઓની હાલત કફોડી : પ્રજામાં રોષ

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૧૧: મોરબીમાં કોરોના પછી હવે મ્યુકોરમાઇકોસિસ નામની બીમારીએ જબરો ઉત્પાત મચાવ્યો છે ત્યારે રેમડીસીવર બાદ હવે મ્યુકોરમાઇકોરસિસના ઈલાજ માટેના ઇન્જેકસનોની રામાયણ સર્જાઈ છે. મ્યુકરમાઇકોસિસના ઈલાજ માટે ઇજકેશનોની અછત સર્જાતાં દર્દીઓની કફોડી હાલત થઇ છે.

મોરબીમાં છેલ્લા કેટલાક દિવસોથી મ્યુકરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે. ખાનગી ડોકટરોના જણાવ્યા મુજબ મ્યુકોરમાઇકોરસિસના કેસ વધ્યા છે. પરંતુ આ બીમારીના ઈલાજ માટે ઉપયોગી ઇન્જેકસનોની મોટી અછત ઉભી થઇ છે. કંપનીમાંથી ઇન્જેકસનોની સપ્લાય ઓછી થઈ ગઈ છે. આ બીમારીના ઈલાજ માટે એમ્ફોટેવીટીંન બી નામના ત્રણ પ્રકારના ઇન્જેકસનો આવે છે. જેમાં એક સાદું ઇન્જેકસનનો ભાવ રૂ. ૩૦૦ આસપાસ છે. જયારે અન્ય ઇન્જેકસનના ૧૭૦૦ થી ૭૩૦૦ સુધીમાં મળે છે. દર્દીઓને રોજ સાત ઇન્જેકશન આપવાના હોય છે. પરંતુ એક અઠવાડિયાથી મોરબીના એકપણ મેડિકલ સ્ટોરમાં આ ઇન્જેકસન મળતા ન હોવાનું ડોકટરોનું કહેવું છે. એટલે હાલ બહારના શહેરોમાંથી આ ઇન્જેકશનો મંગાવવા પડે છે.

મ્યુકોરમાઇકોરસિસથી અત્યાર સુધીમાં એકનું મોત થયું છે. જેમાં મોરબીના બગથળા ગામના એક મહિલાનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ મ્યુકોરમાઇકોરસિસના ઈલાજ માટેના ઇન્જેકશનો વેંચીને કંપનીએ નફાખોરી કરવા રાતોરાત ભાવો વધારી દીધા છે. બે મહિના પહેલા જેની કિંમત ૨૫૦૦ રૂપિયા હતી. તે ઇન્જેકશનોની કિંમત કંપનીએ રૂ. ૭૩૦૦ કરી નાખી છે. કંપનીએ તકનો લાભ લઈને ઇન્જેકશનોમાં ભાવ વધારો કરી દેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

ડો. હિતેશ પટેલે જણાવ્યું હતું કે ઇન્જેકશનો મળતા ન હોય અને મોંઘા હોવાથી દર્દીઓના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે. જયારે મોરબી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિકક્ષ ડો. સરડવાએ જણાવ્યું હતું કે, સિવિલમાં એકપણ ઇજકેશન નથી. ઉપર ૨૦૦ ઇન્જેકશનોની ડિમાન્ડ કરી છે. પણ હજુ સુધી ઇન્કેકશનો આવ્યા નથી. જો કે સિવિલમાં આ બીમારીના એકપણ કેસ નથી. જયારે ડો. હિતેશ પટેલે જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં રોજના ૮ થી ૧૦ કેસ આવે છે. છેલ્લા ૨૦ દિવસમાં આ રોગના દર્દીઓ વધ્યા છે.

(11:44 am IST)