Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

વિપક્ષના નેતાના ગઢમાં જ સળવળાટઃ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સામે જિલ્લા પંચાયતના સદસ્યો મેદાનમાંઃ રાજીનામાની માંગણી

અમરેલી : પોતાના નેતાઓ સાચવી રાખવામાં અને પક્ષનું ડેમેજ કન્ટ્રોલ રોકવામાં ક્યાંક ને ક્યાંક વિપક્ષ નેતા પરેશ ધાનાણી અસફળ દેખાઈ રહ્યાં છે. માણાવદરનાં ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાના રાજીનામા બાદ પક્ષમાં દરેક કાને ચર્ચા થઈ રહી છે. તો બીજી તરફ, વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં જ સળવળાટ શરૂ થયો છે. પરેશ ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે જિલ્લા પંચાયતના સદસ્યો મેદાનમાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિપક્ષના નેતા પરેશ ધાનાણી રાજીનામુ આપે તેવી કોંગી જિલ્લા પંચાયતના ત્રણ સદસ્યોએ માંગ કરી છે. જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ભરત ગીડાએ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સામે સવાલો ઉઠાવ્યા છે. તો વિજ પડી બેઠકના લાલભાઈ મોર, આંબરડી બેઠકના દિપક માલાણી અને ભરત ગીડાએ પ્રદેશ કોંગ્રેસને આ અંગે પત્ર લખ્યો છે કે, વિપક્ષના નેતા રાજીનામુ આપે.

ચાર ધારાસભ્યોના રાજીનામાં બાદ નેતા વિપક્ષ પરેશ ધાનાણી સામે અમરેલીમાં કોંગ્રેસે બળવો કર્યો છે. તો સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે પણ મોરચો માંડ્યો છે. ત્યારે હાલ કોંગ્રેસની 1 સાંધે ત્યાં તેર ટુટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. એક તરફ, અલ્પેશ ઠાકોરના રિસામણા-મનામણા ચાલી રહ્યા છે. તો બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્યોને મંત્રી પદનું લાલચ આપીને પોતાના તરફ આકર્ષવામાં ભાજપ સફળ નીવડ્યું છે.

કોંગ્રેસ પ્રભારીના અમદાવાદમાં ડેરા

કૉંગ્રેસની યોજાનાર CWC બેઠકને લઇને આજે પ્રભારી રાજીવ સાતવ અમદાવાદ પહોંચ્યા છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી અને અડાલજ ખાતે ત્રીમંદિર ખાતે યોજાનારી સભા પહેલા ગુજરાત પ્રભારી રાજીવ સાતવ માટે અમદાવાદની આ મુલાકાત મહત્વની બની રહેવાની છે. ત્યારે તેઓ 2 ધારાસભ્યોના ભાજપમાં સામેલ થવા મામલે પણ ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે તેવી શક્યતા છે. ત્યારે રાજીવ સાતવે આ અંગે મીડિયાને જણાવ્યું કે, 12 માર્ચે વર્કિંગ કમિટીની બેઠક છે. 28 મી હાલત જોતા અમે કાર્યક્રમ રદ્દ  કર્યો હતો, પરંતુ બીજેપીએ તો એ દિવસે પણ સભા કરતી હતી. આજે અમારી cwcની અંતર્ગત બેઠક કરીશું. ચૂંટણી આવે એટલે નેતાઓ પક્ષ પલટો કરતા હોય છે. કૉંગ્રેસ છોડીને જે પણ ભાજપમાં ગયા તે પછતાયા છે. હું બીજેપીને અભિનંદન કહીશ. હવે ભાજપ કૉંગ્રેસયુક્ત ભાજપ થઈ ગઈ છે. ભાજપના જુના નેતાઓ પર વિશ્વાસ નથી. તેથી કૉંગ્રેસમાંથી નેતા લીધા છે. અમે 26 સીટ જીતીશું. અમને કોઈ ફરક નહિ પડે. ભાજપનું મનોબળ તૂટી ગયું છે. હવે ભાજપના નેતાઓની માનસિકતા એવી થઈ ગઈ છે કે જો મંત્રી બનવું હોય તો કૉંગ્રેસમાંથી આવવું પડશે.

(5:03 pm IST)