Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

વડતાલ અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પૂ. મોરારીબાપુના નિવેદન મુદ્દે શાંતિ જાળવવા અપીલ

જૂનાગઢ, તા. ૧૦ :. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા પૂ. મોરારીબાપુના નિવેદન સંદર્ભે ચાલતા વિવાદનો અંત લાવવો જોઈએ તેમ જણાવાયુ છે. શાસ્ત્રી સ્વામી નવતમપ્રકાશદાસજી પ્રમુખશ્રી સમસ્ત દક્ષિણ દેશ સત્સંગ મહાસભા દ્વારા જણાવાયુ છે કે, વિવાદને સમસ્ત હિન્દુ સનાતન ધર્મના પરિપ્રેક્ષમાં વિચારતા વધુ વિખવાદ ન થાય તે તમામના હિતમાં છે. જેથી ટીકા-ટીપ્પણીથી દૂર રહેવુ જોઈએ.

જ્યારે અમદાવાદ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જણાવાયુ છે કે, તાજેતરમાં ધાર્મિક લાગણી દુભાયાના મુદ્દે જે કંઈ બન્યુ છે તે બનવાકાળ બની ગયુ છે. અમે સૌ પ્રત્યે પ્રેમ અને આદર ધરાવીએ છીએ. આથી સંપ્રદાયના તમામ સંતો અને ભકતો તેમજ તમામ ધર્મપ્રેમી ભાવિકો, સંતો, મહંતો, આચાર્યોને હાર્દિક અપીલ કરીએ છીએ કે સૌ પરસ્પર વયમનસ્ય ભૂલીને વિવાદ અને વિખવાદોથી પર થઈએ. સનાતન હિન્દુ ધર્મની એકતા માટે ધર્મના સેવાકાર્યો તથા ઉત્કર્ષમાં સાથે મળીને પ્રવૃત્ત થઈએ. હવે પરસ્પર નિવેદનો કરવાના બદલે પરસ્પર આદર રાખીએ. આપણે સનાતન હિન્દુ ધર્મની સેવામાં જોડાઈએ.

(4:23 pm IST)