Gujarati News

Gujarati News

News of Tuesday, 10th September 2019

માતાના મઢ કચ્છમાં ૨૮મીથી આસો નવરાત્રીનો થશે પ્રારંભ : તા. પ ના રાત્રે ભવ્ય હોમાદિક ક્રિયા

રાજકોટ તા ૧૦  : ભકિત અને શકિતનો અનુપમ સંગમ એટલેે નવરાત્રી પર્વ કચ્છની ધન્ય ધરા માતાના મઢ ખાતે બિરાજતા દેશદેવી માં આશાપુરાનું ભવ્ય મંદિર છે. જે ૧૯મી સદીનું ભવ્ય તીર્થ ધામ છે, જયાં આસો નવરાત્રી તથા ચૈત્ર નવરાત્રી ઉજવાય છે.

અહીં આસો નવરાત્રી તા. ૨૮.૯.૨૦૧૯ શનિવાર ભાદર વદ અમાસ રાત્રે ૮ કલાકે  ઘટસ્થાપન થશે. આસો સુદ-૧ તા. ૨૯ ના રવિવારે નવરાત્રી પ્રારંભ થશે. તા. પ ઓકટોબરના સુદ-૭ ના શનિવાર રાત્રે ૮.૦૦ કલાકે હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. જેના અધ્યક્ષસ્થાને રાજાબાવા શ્રી યોગેન્દ્રસિંહજીના હસ્તે પૂજાવિધી શરૂ થશે. હવનવિધી ગોર મહારાજશ્રી યજ્ઞ આચાર્ય દેવકૃષ્ણ મુલશંકર વાસુ સમગ્ર પૂજાવિધી, શ્લોક શ્રુતિ પાઠ દ્વારા થશે. રાજવી પરિવારના સભ્યો, માઇ ભકતો આમંત્રિત મહેમાનો હાજર રહેશે. હવનમાં ફુલો ફળોથી આહુતી થશે. હવનમાં બીડુ હોમવાનો સમય રાત્રીના ૧૨.૩૦ કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી બીડુ હોમશે.

આસો સુદ-૮ તા.૬ ઓકટોબરના રવિવારે કચ્છ રાજપરિવાર તથા ભકતો, આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતીમાં વિધીવિધાન રાજપરીવાર દ્વારા રાજવી કચ્છ મહારાવશ્રી પ્રાગમલજી (ત્રીજા) માં આશાપુરા માતાજીને જાતર(પત્રી) સવારે ૮.૦૦ કલાકે ચડાવશે. માં આશાપુરાના ગુણગાન ગવાશે. આ સમયે મા આશાપુરા દ્વારા ફુલ સ્વરૂપે રાજવી પરિવારને જાતર (પત્રી) નોે પ્રસાદ આપે છે. આ રીતે કલયુગમાં પણ ચમત્કાર ગણાય છે. જેને પત્રીનો પ્રસાદ કહેવાય છે.

આશાપુરાના ભુવા બાધુભા રામસંગજી ચોૈહાણ સેવા આપે છે. માં આશાપુરાના દર્શન કરવા નવલા નોરતામાં હૈયામાં હામ અને હોઠે માં આશાપુરાનું નામ અવિરત જપ્તા રાસગરબાની રમઝટ માઇ ભકતો બોલાવશે. માં આશાપુરાના નામ જપ્તા અપાર શ્રધ્ધા અને વિશ્વાસના સ્નેહ સાથે પગપાળા જે હાથ લાગ્યું તે વાહન લઇ માં આશાપુરાના દર્શન કરવા સમગ્ર કચ્છ, સોૈરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્રમાથી વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ભાવિકોમાં આશાપુરાના દર્શન કરવા ભીતરમાં ભીનાશ ભરી લાગણીના લીંબાશ ભરી મનની મીઠાશથી હૈયામાં હામ અને હોઠે છે માં આશાપુરાનું નામ લેતા ઉર્મિના ઉછાળે માં આશાપુરાના દર્શન કરવા નવરાત્રી દરમ્યાન લાખોભાવિકો માં આશાપુરા ધામ કચ્છ ખાતે આવે છે. સમગ્ર કચ્છમાં આશાપુરાના નાદથી ગુંજી ઉઠે છે.

કચ્છ ભૂમી મહિમાવંતી છે. અહીં જગડુશાની દાતારી, ભિથા કકલની રાજભકિત, શ્યામકૃષ્ણ વર્માની દેશદાઝ, લાખો કુલાની વિરતા, સંત મેકરણદાદાની માનવતા, જેસલની ભકિત, તોરલની શકિત, આત્મ સમર્પણ આ ધરાને અજવાળી છે. કચ્છમાડુ રણને ઝરણુ બનાવે રજને રજત કચ્છનું ખુમારવંતી પ્રજામાં આશાપુરાના દર્શન કરવા પગપાળા આવતા ભાવિકોની વિના મૂલ્યે, વિના સંકોચે સેવા એજ ધર્મના ઉદેશની નાના મોટા કેમ્પો, સેવા કેન્દ્રો, નાત જાતના ભેદભાવ વગર ૨૪ કલાક નિસ્વાર્થ સેવા કચ્છીમાડુ આપે છે.

નવરાત્રી સમય દરમ્યાન શ્રીફળ વધેરવાની મનાઇ છે.માતાના-મઢ જાગીર ટ્રસ્ટ દ્વારાભાવિકો માટે રહેવા, જમવાની વિના મૂલ્યે સગવડ પુરી પાડવામાં આવે છે. માં આશાપુરાના દર્શન માત્રથી સોૈની મનોકામના પૂર્ણ થાય છે.

(11:37 am IST)