Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

પોરબંદરમાં ૧૯ બોટોમાંથી ૩ બોટ ડૂબીઃ ૩ માછીમારોના મૃત્‍યુ, ૪ લાપતા, ૮ બોટ પણ લાપતા

અર્જુનભાઇ મોઢવાડીયાએ ૩ મૃતક માછીમારોના પરિવારજનો અને ખારવા સમાજના આગેવાનોને આશ્વાસન આપ્‍યું

        રાજકોટઃ  પોરબંદરમાં ગઇ રાત્રે ભારે પવન અને વરસાદને કારણે માછીમારી માટે  દરિયામાં ગયેલી ૧૯ બોટ અને ખલાસીઓ પવન અને મોજામાં ફસાઇ જતા ૩ માછીમારોના મૃત્‍યુ થયા હતા. ૪ માછીમારો લાપતા છે અને પાંચ માછીમારો મોજાનો સામનો કરીને દરયિાકાંઠે સહીસલામત આવી ગયા છે.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુભાઇ મોઢવાડીયાએ ભાવસિંહજી હોસ્‍પિટલ ખાતે દોડી જઇને મૃતક માછીમારોના પરિવારજનો અન માછીમાર ખારવા સમાજના આગેવાનોને મળીને આશ્વાસન આપ્‍યું હતુ. તથા ગૂમ થયેલા માછીમારો અને પરત ન આવેલી ૧૧ બોટને બચાવવા માટે તાકીદે કામગીરી હાથ ધરવા અને એનડીઆરએફની ટીમને કામે લગાડવાની સરકારને અપીલ કરી હતી.

        અર્જુનભાઇ મોઢવાડીયાએ વિગતો આપતા જણાંવ્‍યુ હતુ કે, પોરબંદરમા રોજી-રોટીના અભાવે કુલ ૧૯ જેટલી બોટ ગઇકાલે નજીકના દરિયાકિનારા ઉપર ચોમાસુ વરસાદ અન પવનના ભય વચ્‍ચે માછીમારી માટે ગઇ હતી.  પરંતુ ગઇ કાલે  ભારે વરસાદ અને  પવનને કારણે દરિયો તોફાની બનીને ભારે મોજા ઉછાળતાં બોટને લંગર નાખીને માછીમારો દરિયો શાંત થવાની રાહ જોતા હતા. પરંતુ તોફાનની સામે ત્રણ બોટ ડૂબી ગઇ હતી તેમજ માછીમારો પૈકી ૩ માછીમારો શ્રી મનીષ લાલજી મસાણી, વસંત ભોવાન ભરાડા અને મુળુ લાખા ચાવડા મૃત્‍યુ પામ્‍યા હતા. ત્રણેય માછીમારોના મૃતદેહો પોરબંદર અને માધવપુર વચ્‍ચેના દરિયાકિનારે તણાઇ આવતુ તેઓનું પોસ્‍ટમાર્ટમ કરીને ત્રણેયના સગા-વ્‍હાલાઓને સોંપણી થઇ હતી. હજી ૪ માછીમારો ગુમ થયેલ છે જેનો પત્તો નથી. પાંચ માછીમારો તોફાનોનો સામનો કરીને દરિયાકિનારે હેમખેમ આવી ગયા હતા. ૧૯ બોટો પૈકી ૩ બોટ ડૂબ ગઇ છે. ૮ બોટો હજુ સુધી દરિયાકિનારે આવી શકી નથી. જયારે ૮ બોટ સહી સલામત પરત આવી ગઇ છે.

        અર્જુનભાઇ મોઢવાડીયાએ દરિયાઇ તોફાન, પવન અને વરસાદની આગોતરી આગાહી અને જાણ માછીમારોને ન કરતા આવી કરૂણ  ઘટના બની હોવાનુ જણાવીને રાજય સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. મૃતક માછીમાર ભાઇઓના પરિવારજનોને દરેકને રૂ. ૮ લાખની સહાય આપવા, જે માછીમાર ભાઇઓએ પોતાની બોટ ગુમાવી છે તેને નવી બોટ બનાવવા નાણાંકીય સહાય આપવા અને ગૂમ થયેલ માછીમાર ભાઇઓ અને ગુમ થયેલી બોટોને બચાવીને પરત લાવવા માટે એનડીઆરએફ અને કોસ્‍ટગાર્ડ-નેવીને કામે લગાડવા માટગે વિનંતી કરી હતી.

        અર્જુનભાઇ મોઢવાડીયાએ બચાવ કામગીરીમા કામે લાગેલ કોસ્‍ટગાર્ડ અને ખારવા સમાજના જાંબાઝ યુવાનોને અભિનંદન આપ્‍યા હતા.

(9:56 pm IST)