Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

કાલે વિજયભાઇ ગોંડલ અને ઉપલેટાના મોટી પાનેલીમાં

ગોંડલમાં નવી કોર્ટનું ઉદઘાટન : પાનેલીમાં પંકજસિંહ જાડેજા શાળા નામકરણ - પુસ્તક લોકાર્પણ કાર્યક્રમ

ગોંડલ તા.૧૦ : રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કાલે ગોંડલમાં નવી કોર્ટનું ઉદઘાટન કરવામાં આવશે.

કાલે સવારે ૧૦ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું આગમન થશે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ગોંડલના ગુંદાળા ગ્રાઉન્ડ ખાતે નવનિર્માણ પામેલ ન્યાય મંદિર નું લોકાર્પણ આગામી તારીખ ૧૧ શનિવારના સવારે ૧૦ કલાકે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડી, ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ પરેશ ઉપાધ્યાય તેમજ રાજયના કાનૂન મંત્રી પ્રદિપસિંહ જાડેજા ના હસ્તે થનાર છે.

ગોંડલના મહારાજા સર ભગવતસિંહજી દ્વારા ભારતની આઝાદી પહેલા ગોંડલ રાજયમાં ન્યાયપ્રણાલી ની સ્થાપના કરવામાં આવી હતી આ માટેનું સંકુલ સદી વટાવી ચૂકયું હોય અતિ જર્જરિત થઈ જતા ગુંદાળા ના ગ્રાઉન્ડ ખાતે રૂપિયા ૪૦ કરોડના ખર્ચે ૧૫ કોર્ટના સમાવેશની સમતાવાળો કોમ્પ્યુટરાઈઝડ ગુજરાતનું તાલુકા કક્ષાનો નંબર વન કહી શકાય તેવું ત્રણ માળનું ન્યાય સંકુલ નું નિર્માણ થવા પામ્યું છે. નવનિર્મિત આ સંકુલમાં હાલ બે સેશન્સ કોર્ટ, બે સિનિયર કોર્ટ, તેમજ ત્રણ ફોજદારી કોર્ટ બેસનાર છે આગામી સમયમાં પંદર કોર્ટ બેસનાર છે. ઉપરોકત મહાનુભાવો દ્વારા કોર્ટ નું લોકર્પણ કરાયા બાદ અત્રે ના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે દીપ પ્રાગટ્ય સહિત ઉધ્દ્યાટન સમારોહ રાખવામાં આવ્યો છે.

નવનિર્મિત પામેલ ન્યાયમંદિર ને સીધા જ જેલ કનેકિટવિટી સાથે જોડવામાં આવ્યા છે જેથી કરીને કેદીઓને કોર્ટે આવવા-જવાની મુશ્કેલી દૂર થશે, મહિલા અને પુરુષો ના અલગ અલગ સેલ પણ રખાયા છે, વિકલાંગો ની જુબાની માટે અલગથી વ્યવસ્થા કરાઈ છે અને સાથે પ્રોકસો કોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજવી સમયની ગોંડલની ન્યાયપ્રણાલી, રાજીવી કાળ નો ઇતિહાસ તેમજ રાજવી કાળના કોર્ટ બિલ્ડિંગ કલર ચિત્ર સાથેની નિમંત્રણ પત્રિકા પણ બનાવવામાં આવી છે જેમાં ગોંડલના ઇતિહાસને પણ આવરી લેવાયો છે કાર્યક્રમ અંગે બાર એસોસીએશનના પ્રમુખ જે.બી કાલરીયા દ્વારા માહિતી આપવામાં આવી છે.

મોટી પાનેલી - ઢાંક

મોટી પાનેલી - ઢાંક : ઉપલેટા તાલુકાના પાનેલી મોટી ગામના સપુત પંકજસિંહ જાડેજાની સ્મૃતિ ચિરંજીવ રાખવા શાળા નામાભિધાન તથા પુસ્તકનું લોકાર્પણનો કાર્યક્રમ કાલે તા.૧૧ને શનિવારે બપોરના બે વાગ્યે રાખવામાં આવેલ છે.

પંકજસિંહ જાડેજા શાળા નામાભિધાન ઉદઘાટક અને વિમોચક શ્રી વિજયભાઇ રૂપાણી (માન. મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજય) આર્શિવચન પ.પુ.સંતશ્રી મુળદાસબાપુ (મહંત શ્રી રામમઢી આશ્રમ - સુરત), અતિથિ વિશેષ શૈલેષભાઇ સગપરીયા (જાણીતા વકતા લેખક), પ્રવિણભાઇ માકડીયા (પૂર્વ ધારાસભ્યશ્રી ઉપલેટા), પ્રો.કિશોરસિંહ યુ.જાડેજા (નિવૃત પ્રાધ્યાપક - રાજકોટ) અને રાજેશભાઇ ભાલોડીયા (ગેલેકસી ગૃપ રાજકોટ) વગેરે ઉપસ્થિત રહેશે.

માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની રકતતુલા કરવામાં આવશે. રકતદાન કેમ્પ સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી શ્રી કડવા પટેલ સમાજ પાનેલી મોટી ખાતે રાખવામાં આવેલ છે.

પંકજસિંહ જાડેજાના જીવન ઉપર જાણીતા લેખક - વકતા શ્રી શૈલેષભાસ સગપરીયા લિખીત નોખી માટીનો અનોખો માણસ શ્રી પંકજસિંહ જાડેજા પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરાશે. તેમજ શ્રી શૈલેષ સગપરીયાની જ્ઞાનતુલા કરાશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પાનેલી મોટી ગામના સરપંચ શ્રીમતી હંસાબેન મનુભાઇ ભાલોડીયા અને ઉપસરપંચ શ્રી બધાભાઇ રાણાભાઇ ભારાઇ અને રમેશભાઇ જમનાદાસભાઇ માખેચા, કારોબારી અધ્યક્ષ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.(૪૫.૫)

(11:54 am IST)