Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ભાવનગરમાં આંતરિક ઝઘડામાં દેરાણીના ૧૬ દિ'ના પુત્રને જેઠાણીએ મારી નાખ્યો!

લગ્ન થયા ત્યારથી પોતે ગમતી ન હતી અને પુત્રનો જન્મ થયો તે પણ સારૂ લાગ્યું ન હોવાનું દેરાણી રવિનાબેનનું બ્યાનઃ અણગમાના લીધે યુવરાજનો ભોગ લેવાયો

ભાવનગરમાં માસુમની હત્યા : ભાવનગરમાં દેરાણી-જેઠાણીના ઝઘડામાં ૧૬ દિ'ના માસુમ બાળકની હત્યા થયાનો બનાવ બનવા પામ્યો છે. (તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

ભાવનગર, તા. ૧૦ : ભાવનગરમાં દેરાણી-જેઠાણીના ઝઘડામાં દેરાણીના ૧૬ દિવસના માસુમ પુત્રની જેઠાણીએ ઠંડા કલેજે હત્યા કર્યાનો બનાવ બનતા અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે.

આ બનાવની વિગતો એવી છે કે શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મારૂતીનગરમાં રહેતા અનિલભાઇ દિનેશભાઇ પરમારનો માત્ર ૧૬ દિવસનો પુત્ર યુવરાજ તેના ઘેર સુતો હતો ત્યારે ગુમ થયા બાદ તેની લાશ તેના જ ઘરમાં આવેલા પાણીના ટાંકામાંથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

દરમ્યાન આ બનાવ અંગે મૃતક બાળક યુવરાજની માતા રવિનાબેન એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તેની જેઠાણી લીલાબેન જયેશભાઇ પરમાર વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના લગ્ન થયા ત્યારથી તેઓ ઝઘડતા હોય અને હું તેઓને ગમતી ન હોય જેથી તેઓ બોલતા ન હતા. તેણીને દીકરાનો જન્મ થયો તે જેઠાણીને સારૂ લાગ્યું ન હતું. જેને કારણે ગત રાત્રે તેનો પુત્ર રડતો હોય તેઓ અને તેના પતિ આખી રાત જાગ્યા હતાં અને સવારે આંખ લાગી ગઇ હતી ત્યારે તેની જેઠાણીએ તેનો ૧૬ દિવસના પુત્ર યુવરાજને ઉપાડી પાણીના ટાંકામાં ફેંકી તેનું મોત નિપજાવ્યું છે. આ અંગે ડી-ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આમ દેરાણી-જેઠાણીના અણગમાને કારણે ૧૬ દિવસના માસુમ પુત્રનો ભોગ લેવાયો છે. આબનાવે ભારે ચકચાર જગાવી છે. (૮.૭)

(11:53 am IST)