Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ધંધુકાની ખાદી ગ્રામોદ્યોગ સંશોધન સાધના સંસ્થાની મુલાકાત લેવા બોર્ડ પ્રમુખ પઢેરીયા

ધંધુકા, તા. ૧૦ :. ધંધુકા ખાતે ખાદી ગ્રામોદ્યોગ સંશોધન અને સાધના સંસ્થા છેલ્લા ૪૨ વર્ષથી ચાલી રહી છે.

સ્વ. રવિશંકર મહારાજ અને સ્વ. પ્રભુદાસ પટવારી (ભૂતપૂર્વ ગવર્નર તામીલનાડુ અને ચૂસ્ત ગાંધીવાદી) તેમજ પૂર્વ ધારાસભ્ય બાબુલાલ મોહનલાલ શાહે ગરીબોને રોજીરોટી મળી રહે તે માટે ખાદીકામ કરાવવા માટે આ સંસ્થા ચાલુ કરાવી હતી. આ સંસ્થાની મુલાકાતે ગુજરાત રાજ્ય ખાદી બોર્ડના ચેરમેન કુશળસિંહ પઢેરીયાએ મુલાકાત લીધી હતી તથા ખાદી સંસ્થાની લોકોપયોગી સેવા કાર્યથી પ્રભાવિત થયા હતા. ખાદીનુ પણ નિરીક્ષણ કર્યુ હતું. આ સંસ્થાએ ઉની ખાદી ક્ષેત્રે પણ ઝંપલાવ્યુ છે જેને સારો એવો પ્રતિસાદ મળેલ છે.

આ સંસ્થા સરકાર તરફથી અપાતી સહાય દ્વારા વિવિધ લોક સેવાના કાર્ય કરી રહેલ છે. જેમાં પ્રૌઢ શિક્ષણ, આરોગ્ય પર્યાવરણ, સમાજ ઉત્થાન, સફાઈ સ્વચ્છતા, નશાબંધી ગ્રામ્ય રોજગાર, કારીગરો તથા નાના ખેડૂતોને બિયારણ સહાય વિગેરે કરે છે. આ સંસ્થા ખાદી તૈયારી કરાવીને દિલ્હી, બનારસ, લખનૌ, કાનપુર તેમજ રાજસ્થાનમાં પહોંચાડે છે.

સુતરની આંટી પહેરાવી તથા શાલ ઓઢાડી ખાદી ગ્રામોદ્યોગ સંશોધન અને સાધના સંસ્થાના પ્રમુખ હર્ષદભાઈ પરીખ તથા મંત્રીએ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.(૨-૨)

 

(11:47 am IST)