લોધીકા : તાલુકા કોંગ્રેસની સંગઠનની મિટીંગમાં ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકરો નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ : સલીમ વલોરા,લોધીકા)
લોધીકા તા.૧૦ : લોધીકા સામુહીક આરોગ્ય કેન્દ્રમાં હાલ એક જ ડોકટર હોવાથી દર્દીઓ પરેશાની ભોગવી રહેલ છે ત્યારે પુરતો સ્ટાફ ફાળવવા રજૂઆત કરવામાં આવેલ છે.
આ અંગે થયેલ રજૂઆત મુજબ ૩૮ ગામનો બનેલ લોધીકા તાલુકાનું એકમાત્ર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં અસુવિધાથી લોકો પરેશાન થઇ રહ્યા છે. હાલ એક માત્ર ડોકટરથી હોસ્પિટલ ચાલે છે ત્યારે રાત્રીના સમયે અપુરતા સ્ટાફથી દર્દી પરેશાની ભોગવી રહેલ છે.
બે મોટી ઔદ્યોગિક વસાહતોને જોડતો સ્ટેટ હાઇવે લોધીકાથી પસાર થતો હોય આ રોડ પર અવારનવાર નાના મોટા અકસ્માતો દરમિયાન ઇજા પામેલા દર્દીઓને લોધીકાની સરકારી હોસ્પિટલમાં તાત્કાલીક સારવાર અર્થે લાવવામાં આવે છે પરંતુ અસુવિધા તેમજ રાત્રી દરમિયાન ડોકટરના અભાવના કારણે પ્રાથમિક સારવાર આપી દર્દીને રાજકોટ રીફર કરવામાં આવે છે. હાલમાં આ કેન્દ્રમાં ચાર - ચાર ડોકટરના સ્ટાફ સામે માત્ર એક ડોકટર હોય દર્દીઓ પરેશાની ભોગવી રહેલ છે. આ ઉપરાંત સોનોગ્રાફી સહિતના નિદાન માટે કોઇ સુવિધા નથી. અહીની હોસ્પિટલમાં ગાયનેક,ઓર્થોપેડીક વગેરે વિભાગ શરૂ કરવામાં આવે તે જરૂરી છે. અહી એમ.એસ.સર્જનની જગ્યા કાયમી ધોરણે ખાલી રહેલ છે. વધુમાં અહીની એમ્બ્યુલન્સ વેન પણ ખખડધજ હાલતમાં છે. વારંવારની રજૂઆત બાદ નવી એમ્બ્યુલન્સ મંજુર થઇ ગયેલ છે પરંતુ હજુ સુધી ફાળવવામાં આવેલ નથી.
આ અંગે ચાંદલીના સામાજીક કાર્યકર દિલીપસિંહ જાડેજા, મહેશ સોરઠીયા, દિલીપ ઘીયાળ, વિજય પારખીયા, શૈલેષ સાકરીયાએ રજૂઆત કરેલ છે.
એસ.ટી.પ્રશ્ન
ગોંડલ - કાલાવડ વાયા કાલ મેઘડા, માખાકરોડ બસ રૂટ નિયમિત અને સમયસર ચલાવવા રજૂઆત કરવામાં આવેલ છે.
રજૂઆત મુજબ એસ.ટી.નિગમની સ્થાપના કાળથી ગોંડલ - કાલાવડ રૂટ શરૂ છે. જેનો ગોંડલથી ઉપડવાનો સમય સવારના ૯-૪૦ વાગ્યાનો છે, પરંતુ વારંવારની રજૂઆતો છતા યેનકેન પ્રકારે આ રૂટના સમયમાં ફેરફાર કરી બસ ખાલી દોડે તેવી પેરવી થઇ રહેલ છે. હાલમાં પણ નિયમિત ચાલતા આ રૂટના સમયમાં ફેરફાર કરી ગોંડલથી ઉપડવાનો સમય બપોરનો ૧૨-૧૫ કરી દેવાતા બસ ખાલી દોડે છે. પરિણામે એસ.ટી.તંત્રને નુકશાન થઇ રહેલ છે અને આ રૂટની મુસાફર જનતા હેરાન થઇ રહેલ છે.
ગોંડલથી બપોરના ૩ કલાકે ઉપડતી ગોંડલ ખરેડી બસ રૂટને પણ ટુંકાવીને ગોંડલ કોલીથડ કરી દેવામાં આવેલ છે. આ રૂટના મુસાફરો તકલીફ ભોગવી રહેલ છે અને બપોરના ૧૧-૪૫ વાગ્યાની ગોંડલ મોરીદડ વાળી બસ ઉપડી ગયા પછી સાંજના પ-૩૦ વાગ્યા સુધી ખરેડી જવા બસ મળતી નથી. આ બસ રૂટને પણ નિયમિત કરવા કાલમેઘડાના ઉપસરપંચ વનરાજસિંહ જાડેજાએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ છે.
કોંગ્રેસની મીટીંગ
લોધીકા ખાતે તા.૮ના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના શકિત પ્રોજેકટ અન્વયે તાલુકાભરના કોંગ્રેસના કાર્યકરોની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવેલ હતુ.
આ બેઠકમાં ઉપસ્થિત મોરબીના ધારાસભ્ય અને પ્રભારી બ્રિજેશભાઇ મેરજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઇ બોરા, જીલ્લા પં.પ્રમુખ અલ્પાબેન ખાટરીયા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં તાલુકા કોંગ્રેસની સંગઠન મીટીંગમાં રાહુલ ગાંધીના શકિત પ્રોજેકટ હેઠળ તાલુકામાંથી ૩ થી પ હજાર સભ્ય નોંધણીનો ટાર્ગેટ રાખવામાં આવેલ હતો. જે માટે હાજર કોંગ્રેસના નવયુવાનોને જવાબદારી સોપવામાં આવેલ હતી. આ તકે તાલુકા કોંગ્રેસના આગેવાન હરિશ્ચંદ્રસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરેલ હતુ. બાદમાં મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું કે, કોંગ્રેસ હંમેશા સૌ સમાજને સાથે રાખી ચાલનારો પક્ષ છે. વિકાસના પાયાનો માણેક સ્થંભ કોંગ્રેસે રોપેલ છે અને હવે ભાજપ ખાટે છે.
તેમણે કાર્યક્રમની રૂપરેખા વિશે જણાવ્યું કે, પ થી ૧૦ ઓગષ્ટ દરમિયાન શકિત પ્રોજેકટ હેઠળ સભ્ય નોંધણી ઝુંબેશ, દરેક તાલુકામાં જન મિત્રોની વરણી તથા આગામી ૨૦ ઓગષ્ટના રોજ દિવંગત વડાપ્રધાન રાજીવગાંધીની જન્મજયંતિ નિમિતે ગામેગામ વૃક્ષારોપણ સહિતની માહિતી આપેલ હતી.
આ કાર્યક્રમમાં જીલ્લા પં. સદસ્ય અર્ચનાબેન સાકરીયા, સોનલબેન પરમાર, મેઘજીભાઇ સાકરીયા, મહેન્દ્રસિંહ જાડેજા, સવજીભાઇ પરમાર, શૈલેષભાઇ સોજીત્રા, અજીતભાઇ ગઢવી, વિક્રમસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, સંજયભાઇ ઘીયાળ, સુરૂભા જાડેજા, મહેશભાઇ સોરઠીયા, ડાયાભાઇ ઘાડીયા, રઘુવીરસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, મનસુખભાઇ ખુંટ, છગનભાઇ ખુંટ, કાનજીભાઇ ખીમસુરીયા, બહાદુરભાઇ પરમાર, દેવજીભાઇ ખીમસુરીયા, મુનાભાઇ આહીર, શૈલેષભાઇ નંદાસીયા, લાધાભાઇ મારકણા, જયેશભાઇ દવેરા, મનોજભાઇ સભાયા, ઇકબાલભાઇ આદમાણી, અશોકભાઇ હંસોરા સહિત તાલુકાભરમાંથી કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા