Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

યુવાનોમાં તાલીમ દ્વારા કૌશલ્ય જગાડવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે : દિલીપકુમાર ઠાકોર

લીંબડીમાં સાત કરોડના ખર્ચે નિર્માણ પામેલ આઇટીઆઇના આધુનિક ભવનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

વઢવાણ - સુરેન્દ્રનગર તા. ૧૦ : સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૨ માં સ્વાતંત્ર પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત લીંબડી ખાતે શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે અંદાજિત રૂપિયા ૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આઇ.ટી.આઇ.ના આધુનિક ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોમા તાલીમ દ્વારા કૌશલ્ય જગાડવાનું કામ રાજય સરકારે કર્યું છે. વાઇબ્રન્ટ ગુજરાતના કારણે રાજયમાં નવા ઉદ્યોગો આવી રહ્યા છે, ત્યારે આ ઉદ્યોગોને અનુરૂપ કુશળ માનવબળ ઉપલબ્ધ બને એ માટે રાજયની આઈ.ટી.આઈ.ઓમાં નવા તાલીમી કોર્ષ પણ શરૂ કરવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, આઈ.ટી.આઈ. ના ટેકનિકલ કોર્સમાં દીકરાઓની સાથે દીકરીઓ પણ ભણે તેની ચિંતા સરકારે કરી છે, આ માટે ગુજરાતમાં ૨૫ જેટલી મહિલા આઈ. ટી. આઈ.  પણ કાર્યરત છે, જેમાં માત્ર મહિલાઓ માટેના વિવિધ કોર્ષ ચલાવવામાં આવે છે. જયાં આધુનિક મશીનો દ્વારા મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે.

મંત્રીશ્રી આ તકે ઉમેર્યું હતું કે, દરેક હાથને કામ મળી રહે તે માટેના સંનિષ્ઠ પ્રયાસો રાજય સરકાર કરી રહી છે, જેના પરિણામે સમગ્ર દેશમાં રોજગારી આપવામાં ગુજરાત રાજય અગ્રેસર રહયું છે.

આ પ્રસંગે પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાએ યુવાનોમાં પડેલી શકિતઓને બહાર લાવવાનું કાર્ય શ્રમ અને રોજગાર વિભાગ કરી રહયો છે, તેમ જણાવી વિદ્યાર્થીઓને આગળ વધવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મનીષકુમાર બંસલ, વિભાગીય નાયબ નિયામકશ્રી પટેલ, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, અગ્રણીઓ બાબાભાઈ ભરવાડ, જગદીશભાઈ મકવાણા, રાજભા ઝાલા, સહિતના મહાનુભાવો અધિકારી પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.(૨૧.૩)

(10:10 am IST)