Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

મારા ૩૪ વર્ષના રાજકીય જીવનમાં મારા માટે સૌથી જો કોઇ ઉતમ કામ થયું હોય તો તે રાજકોટને એઇમ્સ મળવાનું છેઃ મોહનભાઇ કુંડારીયા

મોરબી જીલ્લા ભાજપ દ્વારા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાનો અભિવાદન સમારોહ યોજાયો

 મોરબી, તા., ૧૦: જીલ્લા ભાજપ દ્વારા વીરપર પાસેના ડ્રીમલેન્ડ રીસોર્ટ ખાતે રાજકોટના સતત બીજી વખત સૌરાષ્ટ્રમાં સૌથી વધારે લીડથી વિજયી બનેલા મોહનભાઇ કુંડારીયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો.

આ તકે એક નાનકડા ગામમાં આર્થિક રીતે ખુબ નબળા પરીવારમાં જન્મેલા, હિરાઘસી, ખેતી કરી, સાંઢીયા ગાડી ચલાવવા જેવી મુશ્કેલીભર્યા કામો કરી પોતાની આગવી સુજબુજ હસમુખો સ્વભાવ અને નિરભીમાનીપણા જેવા ગુણોના હિસાબે છેલ્લા ૩૪ વર્ષમાં રાજકીય ક્ષેત્રે અનેક વિજયો હાંસલ કરનાર અનેક ગૌરવપુર્ણ પદ પર બિરાજી ઉતરોતર રાજકીય ક્ષેત્રે પ્રગતીના શિખરો સર કરનાર મોહનભાઇ કુંડારીયાએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતુ કે મે ૧૯૮૪-૮પમાં પ્રથમ મોરબી નગર પાલીકાની ચુંટણીમાં ઝંપલાવ્યું તેમાં મને વિજય હાંસલ થયો ૮૬માં મોરબી તાલુકા ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારી સુપેરી નિભાવી, પા પા પગલી કરતાં કરતાં પાંચ-પાંચ વખત વિધાનસભામાં વિજય મળ્યો, સતત આજે બીજી વખત સાંસદ તરીકે લોકોએ મને વિજયી બનાવ્યો છે. મારો દરેક  વિજય બાદ મારી જવાબાદારીઓ વધતી ગઇ, સવારમાં છ વાગ્યે ઉઠી લોકોને અરજદારોને મળવા હું જાહેરમાં આવી જાવ છું. મારી તમામ વિજય કુચમાં કાર્યકરોએ પાડેલ પરસેવો અને મતદારોએ મુકેલ વિશ્વાસ છે. તે તમામનું ઋણ છે મારા પર, હું તેમનો ઋણી છું. ર૦૦૯ માં હું રાજકોટ જીલ્લા ભાજપ  પ્રમુખ બન્યો અને રાજકોટ જી.પં. કોર્પોરેશન તમામ પાલીકા-પંચાયતો કબ્જે કરી તેમાં પણ રાજકીય આગેવાનો-કાર્યકરોએ ખુબ જહેમત ઉઠાવી.

મારા રાજકીય ૩૪ વર્ષના કાર્યકાળ દરમિયાન મારો પણ સહયોગ હોય અને જોઇ કોઇ રીવેલીંગ કામ થયું હોય તો તે છેે રાજકોટને એઇમ્સનું મળવું. એક એવુ આરોગ્યધામ બનશે જેમાં અકાળે જીવનનો અંત આણનારા અનેકને નવજીવન મળશે. ગરીબ જરૂરતમંદ દર્દીઓ માટે ઉતમ પ્રકારની આરોગ્ય સેવાઓ પ્રાપ્ત હશે.

અંતમાં તેમણે જણાવ્યું હતું કે જો ગામડા અને શહેરોનો વિકાસ કરવો હોઇ તો આપણી પાસે તા.પં. જી.પં. પાલીકામાં સતા હોવી જરૂરી છે અને મોરબી જીલ્લામાં આમાથી કંઇ પણ આપણી પાસે નથી. આગામી સમયમાં આ તમામ પંચાયતી સંસ્થાઓમાં કમળ ખીલવવા, ભગવો લહેરાવવા કાર્યકરોને હાંકલ કરી હતી અને ર૦૧૯ની લોકસભાની જેમ સુનામી સર્જી વિજય પતાકા લહેરાવવા કામે લાગી જવા જણાવ્યું હતું.

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ જણાવ્યું હતું કે ર૦૧૯ની લોકસભાની ચુંટણી પછીનું જો ગણીત જોઇએ તો ગુજરાતમાં ૧૮ર માંથી ૧૭૩ સીટો પર ભાજપ પ્લસમાં રહયું છે. તેમણે ર૦ર૪ માં પણ મોદી જ દેશના વડાપ્રધાન બનશેનો વિશ્વાસ વ્યકત કરવા સાથે તમામ જગ્યાએ કાર્યકરોની ખુબ મહેનત હોવાનું જણાવી તમામનો અભાર વ્યકત કર્યો હતો. મોરબીને લાગતી-ચારેય સંસદીય સીટ પર ભાજપના સાંસદો છે. તો હવે તમામ કાર્યકરોએ સંકલ્પ કરવાનો સમય આવી ગયો છે કે મોરબી જીલ્લાની તમામ પંચાયતી સંસ્થાઓમાં ભાજપનું શાસન લાવવું અને તેના માટે અત્યારથી પ્લાનીંગ કરવા સાથે કામે લાગી જવા પુર્વધારાસભ્ય કાંતીલાલ અમૃતીયાએ કાર્યકરોને હાંકલ કરી હતી. આ તકે પુર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મોરલીયા, ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, જયંતીભાઇ કવાડીયા સહીતનાઓએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.

સમારોહમાં ૭પ ટકાથી વધારે મતોવાળા બુથના કાર્યકરોનું સન્માન આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. મોહનભાઇને વિવિધ જ્ઞાતિ-સંસ્થાઓ દ્વારા પાઘડી-હાર સહીત સન્માનીત કરાયા હતા. રાઇના દાણાથી મોહનભાઇની પ્રતિકૃતિ બનાવનાર કમલેશભાઇ પ્રજાપતીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગીક પ્રવચન રાજકોટ લોકસભા ચુંટણી ઇન્ચાર્જ દુર્લભજીભાઇ દેથરીયાએ કર્યુ હતું. મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયાએ આંકડાકીય સહીત માહીતી રજુ કરી હતી.

કાર્યક્રમમાં પછાત વિકાસ નિગમના પુર્વ ચેરમેન પ્રદીપભાઇ વાળા, મોરબી જીલ્લા ભાજપ ઉ.પ્ર. નરેન્દ્રસિંહ ઝાલા, પ્રભુભાઇ ભુત, આપાભાઇ કુંભરવાડીયા, મહામંત્રી જયોતીસિંહ ઝાલા, મોરબી જીલ્લા મહીલા ભાજપ પ્રમુખ મંજુલાબેન દેત્રોજા, જીલ્લા યુવા પ્રમુખ કેશુભાઇ રૈયાણી, હંસાબેન પારેઘી, મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઇ  વડાવીયા, મોરબી સીરામીક એસોસીએશનના ચારેય પ્રમુખો, અગ્રણી ઉદ્યોગપતિઓ વેલજીભાઇ પટેલ (બોસ) ઠાકરશીભાઇ અઘારા, પ્રવિણભાઇ ભાલોડીયા(અજંતા) સહીત અનેક ઉદ્યોગપતિઓ, દિલીપભાઇ ગાંધી, હિરેન પારેખ સહીત તમામ મંડલોના આગેવાનો સહીત બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

(3:55 pm IST)