Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

જયેશ રાદડીયા સંચાલીત કોવીડ સેન્ટરમાં જામ કંડોરણામાં ૬૯ર, જેતપુરમાં ૧૭૩ દર્દીઓ સાજા થયા

બન્ને હેલ્થ સેન્ટરમાં દરરોજ ૪ ટન ઓકસીજનનો વપરાશ

(મનસુખભાઇ બાલધા) જામકંડોરણા, તા.,૧૦: સમગ્ર વિશ્વ અને આપણો દેશ કોરોનાની લપેટમાં આવી ગયેલ છે ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓની વ્હારે આવીને યુવા મંત્રી જયેશભાઇ રાદડીયાએ આગવી પહેલ કરીને ૧૦ એપ્રિલથી જામકંડોરણા લેઉવા પટેલ કન્યા છાત્રાલય તેમજ જેતપુર લેઉવા પટેલ કન્યા છાત્રાલય (હિરપરા સંકુલ) ખાતે મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ દાતાઓના સહયોગથી કોવીડ હેલ્થ સેન્ટર કાર્યરત કરીને કોરોના સંક્રમીત દર્દીઓને સુવિધાસભર સારવાર વિનામુલ્યે મળી રહે તે માટે દિવસ રાત જોયા વગર પોતાની તબીયતની ચિંતા કર્યા વગર મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ આગેવાનો સતત કોવીડ સેન્ટર પર હાજર રહીને કોવીડમાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપતા સ્વયંસેવકભાઇઓને પ્રોત્સાહીત કરીને દર્દીઓને વિનામુલ્યે સારામાં સારી સારવાર મળી રહે તે માટે જહેમત ઉઠાવી રહયા છે. મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ દાતાશ્રીઓના સહકારથી જામકંડોરણા તેમજ જેતપુર કોરોના હેલ્થ સેન્ટર ખાતે કોઇ પણ નાત-જાતના ભેદભાવ વગર તમામ દર્દીઓને દાખલ કરીને પ્રાઇવેટ હોસ્પીટલ જેવી સુવિધા વિનામુલ્યે આપવામાં આવી રહી છે. તેમજ મંત્રી જયેશભાઇ રાદડીયાની સુચનાથી જરૂરીયાતવાળા ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને ડોકટરની સલાહ મુજબ બહારથી દવા મંગાવીને પણ સારવાર આપવામાં આવી રહી છે બંને કોરોના સેન્ટરમાં દર્દીઓને ડોકટરની સલાહ મુજબનું શુધ્ધ સાત્વીક ભોજન તેમજ ફ્રુટ તેમજ જયુશ, નાળીયેર પાણી અને રાત્રે હળદર વાળુ ગરમ દુધ આપવામાં આવે છે અને દર્દીઓની સાથે આવેલ તેમના સગાને પણ સંસ્થા તરફથી રહેવા તથા જમવાની સુવિધા વિનામુલ્યે આપવામાં આવે છે.

જામકંડોરણા કન્યા છાત્રાલય કોવીડ હેલ્થ સેન્ટર ખાતે અત્યાર સુધીમાં કુલ ૮૭૯ દર્દીઓને દાખલ કરીને સારવાર આપેલ છે. જેમાંથી ૬૯ર દર્દીઓ રીકવર થયેલ છે. તેમજ હાલ ૧૬૮ દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમાંથી ૯૨ દર્દીઓ ઓકસીજન સારવાર હેઠળ છે તેમજ જેતપુર છાત્રાલય કોવીડ હેલ્થ સેન્ટર ખાતે કુલ ર૭પ દર્દીઓને દાખલ કરવામાં આવેલ છે. જેમાંથી ૧૭૩ દર્દી રીકવર થતા રજા આપેલ છે અને હાલ ૯૦ દર્દી સારવાર હેઠળ છે જેમાંથી ૮૨ દર્દીઓ ઓકસીજન સારવાર હેઠળ છે.

ઉપરોકત બંન્ને કોવીડ સેન્ટરો ખાતે મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના અથાગ પ્રયાસોથી તાત્કાલીક ધોરણે ઓકસીજન લાઇન ફીટ કરાવીને તેમજ વધારાના ઓકસીજનની જરૂરીયાત પુરી કરવા ઓકસીજનના ૪૦૦ જેટલા સીલીન્ડર વસાવીને વધારેમાં વધારે ઓકસીજનની જરૂરીયાતવાળા દર્દીઓને સારવાર આપવામાં આવે છે. હાલ બંને હેલ્થ સેન્ટરમાં દરરોજ ૪ ટન જેટલો ઓકસીજનનો વપરાશ છે. આ બંને કોવીડ હેલ્થ સેન્ટરો હાલ ચાલી રહેલ કોરોના કાળમાં આ વિસ્તારના કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રહેલ છે.

(11:44 am IST)