Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

પાણી અંગે કોઇ ફરિયાદ આવે તો તેનો તુરંત નિકાલ લાવવો :ટેન્કરની તમામ માંગણીઓ પૂર્ણ કરો : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો નિર્દેશ

અબડાસા અને લખપત તાલુકાની અછતની સ્થિતિનું આકલન અને કામોની સમીક્ષા કરતા મુખ્યમંત્રી

રાજકોટ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અબડાસા અને લખપત તાલુકાની અછતની સ્થિતિનું આકલન કરવા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઇ રહેલા અછત રાહતના કામોની સમીક્ષા કરી હતી. ઉપસ્થિત અધિકારીઓને મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે, પાણી અંગે કોઇ ફરિયાદ આવે તો તેનો તુરંત નિકાલ લાવવો અને ટેન્કરની તમામ માંગણીઓ પૂર્ણ કરવી.

  આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ કચ્છની સ્થિતીનો ચિતાર રજુ કરતાં જણાવાયું કે, નખત્રાણા અને લખપત તાલુકાના ૨૨૦ ગામોમાં કુલ ૧૭૪૭૫ ઘાસકાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં ૧,૬૩,૬૨૮ પશુઓનો નિભાવ કરવામાં આવે છે. ૧૨૫ કેટલ કેમ્પમાં ૬૩૫૨૪ પશુ આશરો લઇ રહ્યા છે. આ બન્ને તાલુકામાં ૩૧ ઘાસ ડિપો ખોલવામાં આવ્યા છે. ચાર પાંજરાપોળને રાહત દરે ૬,૧૩,૮૫૪ કિલો ઘાસ રાહત દરે આપવામાં આવ્યું છે.

  અછતની આ સ્થિતિને પહોંચી વળવા માટે જનસહયોગ પણ પ્રાપ્ત થઇ રહ્યો છે. સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે ઘાસ વિતરણ ઉપરાંત લીલો ચારો, બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

  અછતગ્રસ્ત બન્ને તાલુકામાં મનરેગા હેઠળ એપ્રિલ માસની સ્થિતિએ ૬૩ કામો લેવામાં આવ્યા છે. જેના થકી ૬૩૦૧ વ્યક્તિને રોજગારી મળી છે અને ૬,૮૬,૩૫૧ માનવ દિન રોજગારીનું સર્જન થયું છે.

  આ વિસ્તારોમાં પીવાના પાણીની સ્થિતીના સંદર્ભમાં જણાવવામાં આવ્યું કે, પાણી પુરવઠા બોર્ડની ૬૩ યોજના હેઠળ ૧૪૩ ગામોની બે લાખથી વધુ વસ્તીને આવરી લેવામાં આવી છે. આ માટે ૧૨૦૮ કિમિ લાઇન બિછાવવામાં આવી છે. પાણી માટે બાવન સ્થાનિક સ્ત્રોત, કાચા કૂવા બે, ચાલુ કરવામાં આવેલા કાચા કૂવા પાંચ અને કચેરી હસ્તકના ૭ ટેન્કર મારફત પાણી વિતરણ કરવામાં આવે છે. પાણીના સ્ત્રોતની વિગતો જોઇએ તો સ્થાનિક સ્ત્રોતથી ૬ એમએલડી, નર્મદાનું ૧૭.૫ એમએલડી, વ્યક્તિગત યોજનાનું ૯ એમએલડી મળી કુલ ૩૨.૫ એમએલડી પાણી આપવામાં આવે છે.

(8:46 pm IST)