Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

વાંકાનેરના ભોજપરા પાસે વાદી વસાહતમાં છેલ્લા ૨ વર્ષથી પીવાના પાણી માટે લોકોના વલખા

રાજકોટ: ગુજરાતના અનેક શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પાણીની સમસ્યા સર્જાયી છે. ત્યારે આજે અમે આપને એક એવા ગામની સમસ્યા બતાવવા જઇ રહ્યાં છે. જે ગામ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હાથ છે. જે ગામમાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મંદિર. આખરે કયું ગામ છે અને પાણીને લઇને કેવી તકલીફો અહીંના લોકો ભોગવી રહ્યા છે.

એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ભારે ગરમીમાં ઘણા એવા ગ્રામ્ય પંથકો છે કે જ્યાં પાણી પહોચતું નથી અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે વાંકાનેર તાલુકા ભોજપરા પાસે વાદી વસાહત આવેલું છે કે જ્યાં છેલ્લા બે વર્ષથી પીવાના પાણી માટે અહીંના લોકો વલખા મારે છે.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાદી આગેવાનોની રજૂઆતના પગલે અહીં 2૦૦ જેટલા પાકા મકાનો અને વાદી પરિવારના બાળકો ભણી શકે તે માટે શાળા બનાવવાના આદેશ અપાયા છે. જે વર્ષ 2002માં નિર્માણ થયું હતું અને મોદીની મેહરબાનીથી પરિવારો માટે મોદી ભગવાન બની ગયા હતા.

એટલુ નહિં અહીં લોકો દ્વારા એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે. જેમાં ભગવાન નહિં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીની તસ્વીર રાખવામાં આવી હતી અને દરરોજ પૂજા અર્ચના કરવામાં આવતી હતી. પરંતુ આજે વાદી પરિવારના સભ્યો સરકાર પાસે મદદની ભીખ માંગી રહ્યા છે.

એટલુ નહિ પાણીની તકલીફના કારણે કેટલાક પરિવારો ગામ છોડીને પણ જતા રહ્યાં છે. વર્ષ 2002માં ગામની સ્થાપના થઇ હતી. ત્યારે રાજ્યના મંત્રી નરોતમ પટેલ દ્વારા ગામને પાણી મળે તે માટે વિશેષ સુવિધાઓ કરી દેવામાં આવી હતી કારણ કે... નરેન્દ્ર મોદી દ્વારા પરિવારોને આશરો આપી જગ્યા ફાળવી ૨૦૦ મકાનો બનાવી દેવામાં આવ્યા હતા.

અહી છેલ્લા બે વર્ષથી પાણી આવતું નથી. જેને કારણે અહીના પરિવારની મહિલાઓ તેમજ બાળકો માથે પાણીના ઘડા લઇને 5થી 10 કિલોમીટર સુધી દુર દુર પાણી ભરવા જાય છે. અહીંના લોકો પાસે પાકા મકાનો છે. સુંદર રેવાની વ્યવસ્થા પણ છે. પરંતુ પાણી વિના વાદી પરિવારો ભારે ચિંતામાં મુકાયા છે.

વાંકાનેરના હસનપર ગામથી એક પાણીની પાઇપલાઇન ગામ સુધી પહોચાડવામાં આવી હતી. જે પાઈપલાઈન થકી પાણી ગામના પાણીના ટાકામાં આવતું અને ટાકા થકી અહીના 1200 પરિવારોને પાણી મળતું હતું. પરંતુ કોઈ કારણો શર પાણીનું એક ટીપું પણ ટાકામાં છેલ્લા બે વર્ષથી આવ્યું નથી. જેથી લોકોને ભારે મુશ્કેલી પડે છે.

જે ગામમાં લોકો પાકા મકાનો અને શાળા બનવવાને કારણે લોકો મોદીની પૂજા કરતા આજે એજ પરિવારના સભ્યો મોદી પાસે પાણીની ભીખ માંગી રહ્યા છે. તંત્રને પણ અવાર નવાર રજૂઆત કરવા છતાં પરિવારની તકલીફ કોઈએ સાંભળી નથી. ત્યારે પરિવાર ભગવાન પર આશ રાખીને બેઠો છે કે, સરકારના કોઈ એક અધિકારી કે નેતા તેમની વાત સાંભળે અને ફરી ગામમાં પાણી આવવા લાગે.

(5:00 pm IST)