Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

નારાયણ સરોવર નર્મદા નીરથી ભરાશેઃ વિજયભાઇ રૂપાણી

વિજયભાઇ કચ્છમાં: અછતગ્રસ્ત કચ્છીમાડુઓ સાથે સંવાદઃ કેટલ કેમ્પ-ઢોરવાડાની મુલાકાતઃ જિલ્લા - તાલુકાના અધિકારીઓ સાથે બેઠકઃ પાણી-ઘાસચારાની સ્થિતિની સમીક્ષાઃ અછતની સ્થિતિમાં કેન્દ્ર અને રાજયની ભાજપ સરકાર કચ્છના લોકો સાથેઃ શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરે જલાભિષેકઃ લોકોને મળીને પ્રશ્નો સાંભળ્યા

પ્રથમ તસ્વીરમાં શ્રી કોટેશ્વર મહાદેવના દર્શન કરીને જલાભિષેક કરતા વિજયભાઇ રૂપાણી, બીજી તસ્વીરમાં લોકોના પ્રશ્નો સાંભળતા મુખ્યમંત્રીશ્રી નજરે પડે છે. (૪.૧૨)

ભુજ, તા. ,૧૦ : રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સરહદી ક્ષેત્ર કચ્છ જિલ્લાની એક દિવસીય મુલાકાતે આવ્યા છે. તેઓએ કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના ગ્રામજનો સાથે સંવાદ તેમજ કેટલ કેમ્પ-ઢોરવાડાની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જિલ્લા-તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજીને આ અસરગ્રસ્ત જિલ્લામાં પાણી, ઘાસચારો, રોજગારી જેવા કાર્યોનો જાયજો મેળવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે બપોરે કચ્છની મુલાકાતના પ્રારંભે  લખપત તાલુકાના નારાયણ સરોવર પહોચ્યા હતા અને ગ્રામજનો સાથે સંવાદ-મુલાકાત કરી હતી.  તેઓ કોટેશ્વરમાં લખપત તાલુકાના અધિકારીઓની બેઠક યોજીને અછત રાહત કાર્યો માટે માર્ગદર્શન આપ્યું હતું.

વિજયભાઇ રૂપાણી બપોરે બે વાગ્યે ધોરડોના ગોરેવલીના વોટર વર્કસની મુલાકાત લઇને ધોરડોના ગ્રામજનો સાથે વાર્તાલાપ સંવાદ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે કચ્છનું નારાયણ સરોવર તળાવ પણ નર્મદાના નીરથી ભરાશે. અછતનો સામનો કરતા કચ્છી માડુઓ સાથે કેન્દ્રની અને રાજયની ભાજપ સરકાર છે તેથી કોઇ મુશ્કેલી નહિ સર્જાય પાણી પ્રશ્નને ગંભીરતાથી લઇને લોકોને તથા પશુ-પક્ષીઓ માટે પણ પાણીની અછત ન સર્જાય તે માટે કામગીરી કરવામાં આવશે.

મુખ્યમંત્રી ધોરડો ખાતે ત્યારબાદ જિલ્લા અધિકારીઓની બેઠક પણ યોજી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં હાલ ૪૮૧ ઢોરવાડામાં ર લાખ ૮પ હજાર પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. રરપ ઘાસ ડેપો અંતર્ગત ૧ લાખ ૧૭ હજાર ઘાસ કાર્ડ ધારકોના કુલ ૩ લાખ ૯૦ હજાર પશુઓને આવરી લેવાયા છે. એટલું જ નહિ, કચ્છ જિલ્લાને ગત વર્ષની તુલનાએ રોજનું વધુ ૧૦ કરોડ લીટર પાણી પુરૃં પાડવામાં આવે છે. નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા ટપ્પર ડેમને માર્ચ-ર૦૧૯ સુધીમાં ૧ર૦૦ MCFT ભરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી તેમના એક દિવસીય કચ્છ પ્રવાસમાં જિલ્લાની અછતની સ્થિતીના સામના માટે રાજય સરકારના વ્યાપક આયોજનની પણ સમીક્ષા જિલ્લાના અધિકારીઓ સાથે કરશે. તેઓ સાંજે ગાંધીનગર પરત આવશે.  વિજયભાઇ રૂપાણી સાથે રાજયમંત્રી વાસણભાઇ આહીર ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ ભાજપ અગ્રણી રાજુભાઇ સરદાર સહિત ભાજપના આગેવાનો જોડાયા હતા.

કોંગી ધારાસભ્યએ સમય માંગ્યો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આજના કચ્છ પ્રવાસ દરમ્યાન કચ્છી ધારાસભ્યએ લખેલો પત્ર અત્યારે ચર્ચામાં છે. આ પત્ર અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ લખ્યો છે, જેમાં મુખ્યમંત્રી અને કલેકટર બન્નેને કચ્છના અછત તેમ જ અત્યારે ખૂબ જ સળગતા એવા લિગ્નાઇટ ખાણ બંધ થવાના મુદ્દે જણાવીને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને રૂબરૂ રજુઆત માટે સમય ફાળવવા માગ કરી છે. લખપત કે જયાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આવવાના છે ત્યાં લિગ્નાઈટની ખાણ બંધ કરવાના નિર્ણય પછી માત્ર ૧૫ જેટલા વ્યાપારીઓને કવોટા ફાળવવા જીએમડીસીના કરેલી ફેર વિચારણા પછી પણ કચ્છનો ટ્રક ટ્રાન્સપોર્ટ વ્યવસાય મૃતપાય થઈ જશે. જયાં રોજની ૭૦૦ થી ૮૦૦ ટ્રકો લિગ્નાઇટની ભરાતી ત્યાં હવે નહિવત ધંધો છે. પરિણામે, આજે ૭૦૦૦ ટ્રક માલિકો અને તેને સંલગ્ન ૫૦ હજાર જેટલા નાના મોટા ધંધાર્થીઓ બેકાર થઈ ગયા છે. અછતને પગલે કચ્છના ગ્રામીણ લોકો મુશ્કેલીમાં તો છે જ, પણ હવે ટ્રક ઉદ્યોગ પણ ભાંગી પડતા 'પડયા ઉપર પાટુ' જેવો તાલ સર્જાયો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છના ટ્રક ટ્રાન્સપોર્ટના વ્યવસાયીઓને રૂબરૂ મળી તેમની વ્યથા જાણે એવી વિનંતી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કરી છે.

ટ્રાન્સપોર્ટ અગ્રણીના રાજ્યમંત્રી વાસણભાઇ આહિરને સવાલો

કચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પૂર્વ મંત્રી એચ.એસ. આહીરે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છના ટ્રક ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના વ્યવસાયકારોને મળે તે માટે સમય માંગ્યો છે. તો, જીએમડીસીની વર્તમાન લિગ્નાઈટની નીતિ થી કચ્છના ૭૦૦૦ ટ્રક માલિકો અને ૫૦,૦૦૦ લોકો બેકાર થશે અને આ બધું અદાણીના કોલસાના વ્યવસાયને ફાયદો કરાવવા થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. એચ.એસ આહીરે રાજયમંત્રી વાસણભાઈ આહીર દ્વારા પણ કચ્છના ટ્રક માલિકોને માત્ર લોલીપોપ અપાઈ હોવાનો આક્ષેપ કરીને લિગ્નાઈટની ખાણ ફરી શરૂ કરાવવામાં તેઓ નિષફળ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. કચ્છના ટ્રક માલિકોના હિત માટે અવાજ ઉઠાવવા જણાવ્યું છે.

(2:55 pm IST)