Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

જામનગરમાં પત્નિને ગળેટૂપો દઈને ૬૦ વર્ષના પતિનો આપઘાત

મોહનભાઈ બેચરભાઈ રાઠોડે પત્નિ રામીબેન રાઠોડને ગૃહકંકાશના કારણે મોતને ઘાટ ઉતારી પોતાનો જીવ પણ આપ્યો

જામનગરઃ હનુમાન ટેકરી વિસ્તારમાં પત્નિને મોતને ઘાટ ઉતારી દઈને પતિએ પણ ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

જામનગર, તા. ૧૦ :. જામનગરમાં ૬૦ વર્ષના વૃદ્ધ પતિએ પોતાના પત્નિને મોતને ઘાટ ઉતારી દઈને પોતે પણ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા મોહનભાઈ બેચરભાઈ રાઠોડ નામના ૬૦ વર્ષના વૃદ્ધે તેના પત્નિ રામીબેન રાઠોડને દોરી વડે ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

ત્યાર બાદ પતિ મોહનભાઈ બેચરભાઈ રાઠોડે પણ ઘરમાં આવેલ ઓરડીના પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

આ બનાવની જાણ થતા સીટી સી-ડિવીઝન પી.આઈ. એન.જે. જલુ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક મોહનભાઈ અને રામીબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડેલ છે.

આજે જામનગર નજીકના ધ્રોલ તાલુકાના વાગુદડ ગામે પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધા બાદ આજે જામનગરમાં પતિએ પત્નિને મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો છે. જામનગર અને જિલ્લામાં બે બે હત્યાના બનાવથી પોલીસમાં દોડધામ મચી ગઈ છે.

(3:34 pm IST)