Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોનાને પરાસ્ત કરીને પોરબંદરના જ્યોતિબહેન ગૌસ્વામીએ જીવનનો જંગ જીત્યો

૧૨ દિવસની આઇસોલેશન વોર્ડમાં સારવાર મેળવ્યા બાદ ૪૮ વર્ષિય મહિલા ચેપ મૂક્ત બન્યા: સરકાર-જિલ્લા તંત્રની સારવાર સેવા અદભુત છે :સરકારની સુચનાઓનું પાલન કરવાની સાથે લોકડાઉન દરમ્યાન લોકોએ ઘરમાં જ રહેવુ જોઇએ : જ્યોતિબહેન ગૌસ્વામી

પોરબંદર : વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાઇરસને પરાસ્ત કરીને જીવનનો જંગ જીતનાર પોરબંદરના ૪૮ વર્ષિય જ્યોતિબહેન ગૌસ્વામીએ નાગરિકોને સંદેશો પાઠવ્યો કે લોકો આપસમાં સામાજિક અંતર રાખે.સતત ૧૨ દિવસ સુધી પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં સારવાર મેળવીને કોરોનાને પરાસ્ત કરનાર જ્યોતિબહેને અશ્રુભીની આંખોએ ભાવુક થઇને હોસ્પિટલનાં ડોકટર્સ, નર્સ, સફાઇ કર્મીઓનો આભાર વ્યક્ત કરી “કોરોના હારેગા ઇન્ડિયા જીતેગા” સુત્ર પોકારયુ હતું. તથા પોરબંદર જિલ્લાને કોરોના ચેપ મૂક્ત કરવા સતત કામ કરતા જિલ્લા  વહિવટીતંત્ર, પોલીસ વિભાગ સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો.
          ભારત સહિત વિશ્વ આખુ જ્યારે કોરોના મહામારી અને કોરોના ફોબીઆનો સામનો કરી રહ્યુ છે, ત્યારે ગાંધીભૂમિમાંથી રાહતના સમાચાર આવ્યા છે. કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણો જણાતા ગત તા.૨૮ માર્ચના રોજ જ્યોતિબહેન ગૌસ્વામીને ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. તા.૨૯ માર્ચના રોજ જ્યોતિબહેનનો રીપોર્ટ પોઝીટીવ સમગ્ર પરિવાર ચિંતામાં  મુકાયો હતો. પણ હોસ્પિટલના તબીબોએ જ્યોતિબહેનને આશ્વાસન પુરૂ પાડ્યુ હતું. રાજ્ય સરકારની સુચના મુજબ કલેકટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ સિવિલના તબીબો, નર્સિંગ સ્ટાફની સઘન સારવાર વચ્ચે આજે ૧૨ દિવસ બાદ જ્યોતિબહેન કોરોના ચેપ મૂક્ત બન્યા છે.
 આ સંદર્ભે જ્યોતિબહેને અશ્રુભીની આંખોએ ભાવુક થઇને જણાવ્યુ કે, ભાવસિંહજી હોસ્પિટલના તબીબો, નર્સ તથા સફાઇ કર્મચારીઓએ રાત દિવસ ખડે પગે રહીને મારી સેવા કરી છે, હું કોરોના ચેપ મૂક્ત બની છું તેમા હોસ્પિટલના તબીબોનો ખુબ જ મહત્વનો ફાળો છે, માણસ જીવનના અંતિમ શ્વાસ સુધી આત્મવિશ્વાસ અને હિંમત રાખે તો કોઇપણ સમસ્યાથી વિજય મેળવી શકાય. આ સાથે જ્યોતિબહેને નાગરિકોને સંદેશો પાઠવતા કહ્યુ કે, કોરોના વાઇરસ સંદર્ભે લોકોએ સરકારની સુચનાઓનું ખાસ પાલન કરવુ જોઇએ, એકબીજા લોકોએ આપસમાં સામાજિક અંતર જાળવવુ જોઇએ, લોકડાઉનનું પાલન કરી ઘરમાં રહેવુ જોઇએ, તથા ઘરમાં રહીને પોતાને ગમતા કાર્યો કરવા જોઇએ.

 કોરોના ચેપગ્રસ્ત બનેલા દર્દીઓને અંઘકારથી ઉન્નસ તરફ લઇ જનાર અને બિમારને નિરોગી બનાવવા રાત દિવસ સારવાર કરનાર હોસ્પિટલના તબીબ ડો.દેવેન્દ્ર સોજીત્રાએ જણાવ્યુ કે, જ્યારે જ્યોતિબહેનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો ત્યારે સૌપ્રથમ તો દર્દીને અમે હિંમત આપીને કહ્યુ કે, સરકારના સીધા માર્ગદર્શન હેઠળ તબીબી ટીમ તમારી સારવાર માટે રાત દિવસ ખડે પગે રહેશે. ત્યારબાદ પ્રોટોકોલ મુજબ જરૂરી તમામ સારવાર આપી હતી. અને ૧૧ દિવસમાં તેમનો રિપોર્ટ નેગેટીવ આવતા આજે તેમને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે. સારવાર દરમ્યાન જ્યોતિબહેન પોતાનો મોટાભાગનો સમય પુસ્તક વાંચનમાં અને ભગવાનના નામ લેવામાં પસાર કરતા હતાં. તેમને નિયમ મુજબ ભોજન આપવાની સાથે એક પરિવારની જેમ તેમની કાળજી રાખવામાં આવતી હતી. લોકો કોરોના વાઇરસથી ગભરાયા વગર સરકારશ્રીની સુચનાઓનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવે તો કોરોનાની હાર થાય અને ઇન્ડિયાની જીત થાય. જ્યોતિબહેનને આઇસોલેશન વોર્ડમાં ડો. સિધ્ધાર્થ જાડેજા, ડો.નિરાલી ઓડેદરા, ડો.નિલેશ મકવાણા, ડો.ભાદરકા, ડો.સોજીત્રા, ડો.કેવલ પાંજરી તથા નર્સિંગ સ્ટાફે સારવાર આપી હતી. આમ કોરોના વાઇરસના અંધકાર ચીરીને પોરબંદરમાં જ્યોતિબહેને જીતનો ઉજાસ પાથર્યો છે.   

સંકલન :- જીતેન્દ્ર નિમાવત, માહિતી બ્યુરો, પોરબંદર  

(10:35 pm IST)